National

અમદાવાદ એર ઈન્ડિયાના પ્લેન ક્રેશની તપાસમાં ચોંકાવનારો ખુલાસો

તાજેતરમાં ગુજરાતના અમદાવાદમાં થયેલા એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના કેસમાં એક નવું અપડેટ આવ્યું છે. બ્લૂમબર્ગના એક અહેવાલમાં સૂત્રોને ટાંકીને એર ઇન્ડિયાના પાઇલટ્સે ફ્લાઇટ સિમ્યુલેટરમાં વિમાનના પેરામીટરનું ફરીથી પરીક્ષણ કર્યું હતું અને ટેક્નિકલ ખામીને અકસ્માત પાછળનું સંભવિત કારણ તરીકે ઓળખવામાં આવી છે.

જોકે, AI 171 વિમાનના ક્રેશ પાછળનું વાસ્તવિક કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. સિમ્યુલેશનના ભાગ રૂપે, પાઇલટ્સે લેન્ડિંગ ગિયર ગોઠવ્યું અને વિંગ ફ્લૅપ્સ પાછા ખેંચી લીધા. જોકે, એવું જાણવા મળ્યું કે અકસ્માત પાછળનું આ એકમાત્ર કારણ ન હોઈ શકે. એર ઇન્ડિયાએ પ્રકાશમાં આવેલા તથ્યો પર ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે. એર ઇન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, આ અટકળો છે અને અમે હાલમાં ટિપ્પણી કરી શકતા નથી.

બોઇંગ 787 ડ્રીમલાઇનરના કાટમાળના ફોટા દર્શાવે છે કે અપેક્ષા મુજબ ફ્લૅપ્સ લંબાયેલા હતા અને પાછા ખેંચાયા ન હતા. જ્યારે પ્લેન ધીમી ગતિએ હોય ત્યારે ટેક-ઓફ અને લેન્ડિંગ દરમિયાન ફ્લૅપ્સ વિમાનને જરૂરી વધારાની લિફ્ટ પૂરી પાડે છે.

લંડન જતી ફ્લાઇટ અમદાવાદમાં ટેકઓફ થયાના થોડા જ સેકન્ડમાં મેડિકલ કોલેજ કેમ્પસમાં ક્રેશ થઈ ગઈ હતી, જેમાં 242 મુસાફરો અને ક્રૂ સભ્યોમાંથી એક સિવાય બધાના મોત થયા હતા અને જમીન પર 34 અન્ય લોકો મૃત્યુ પામ્યા હતા. ઘણા નિષ્ણાતોએ પુષ્ટિ આપી છે કે ટેકનિકલ ખામી અકસ્માત પાછળનું એક કારણ હોઈ શકે છે.

શું બંને એન્જિન ફેલ થવાને કારણે અકસ્માત થયો હતો?
ઉડ્ડયન નિષ્ણાત અને ભૂતપૂર્વ યુએસ નેવી પાઇલટ કેપ્ટન સ્ટીવ શેબનરે જણાવ્યું હતું કે આ અકસ્માત પાછળનું કારણ બે એન્જિન ફેઈલ્યોર હોઈ શકે છે. તેમણે કહ્યું કે ટેકઓફ પછી તરત જ રેમ એર ટર્બાઇન (RAT) ખુલવું એ બે એન્જિન ફેઈલ્યોર તરફ નિર્દેશ કરે છે. આ સિમ્યુલેશન એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) દ્વારા કરવામાં આવી રહેલી સત્તાવાર તપાસથી અલગ રીતે હાથ ધરવામાં આવ્યું હતું.

સૂત્રોએ બ્લૂમબર્ગને જણાવ્યું હતું કે સંભવિત કારણો શોધવા માટે આ કરવામાં આવ્યું હતું. એર ઇન્ડિયાના પાઇલટ્સ દ્વારા ક્રેશ ફૂટેજના વિશ્લેષણમાં દર્શાવવામાં આવ્યું હતું કે લેન્ડિંગ ગિયર આગળ તરફ નમેલું હતું, જે દર્શાવે છે કે પૈડા પાછળ હટવા લાગ્યા હતા. તે સમયે લેન્ડિંગ-ગિયરના દરવાજા ખુલ્યા ન હતા, જે પાઇલટ્સે જણાવ્યું હતું કે વિમાનમાં ઇલેક્ટ્રિકલ નુકસાન અથવા હાઇડ્રોલિક નિષ્ફળતાનો સંકેત છે, જે એન્જિન સમસ્યા તરફ ઈશારો કરે છે.

ક્રેશ થયેલા એર ઇન્ડિયા વિમાનના બ્લેક બોક્સમાંથી મળેલા ડેટાનું વિશ્લેષણ હાલમાં દિલ્હી સ્થિત AAIB લેબમાં ચાલી રહ્યું છે. આનાથી અકસ્માતમાં બનેલી ઘટનાઓનો ક્રમ, એટલે કે તબક્કાવાર શું બન્યું તે જાણવા મળશે. આ સાથે, તે એ પણ જણાવશે કે બંને એન્જિનનો પાવર એક સાથે કેમ ગયો.

Most Popular

To Top