Dakshin Gujarat

નેત્રંગમાં 800થી વધુ બેઘરોનો આંતર્નાદ: ‘ગરીબીની નનામી’ કાઢી

નેત્રંગ: નેત્રંગમાં (Netrang) રેલવે તંત્રે (Railway system) 70 વર્ષ ઉપરાંતથી વસતાં 368 પરિવારોના મકાનો ઉપર બુલડોઝર (Bulldozer) ફેરવી દેવાતાં બેઘર બનેલા 800થી વધુ લોકોએ શુક્રવારે નનામી કાઢી કલેક્ટર કચેરી ગજવી પુનઃ વસનની માંગ સાથે કલેક્ટરને આવેદન આપ્યું હતું.

  • રેલવેએ બુલડોઝર ફેરવી દેતાં બેઘર કરેલા 368 પરિવાર નનામી લઈ કલેક્ટર કચેરીએ પહોંચ્યા, તંત્રનાં છાજિયાં લીધાં
  • બંદૂકની અણી અને લાઠી બતાવી મકાનો તોડી પડાયા: અસરગ્રસ્તોના આક્ષેપ, વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગ કરી

રેલવે તંત્રે નેત્રંગમાં મેગા ડિમોલિશન હાથ ધર્યું હતું, જેમાં 5 કલાકમાં જ 368 જેટલા પરિવારોની મિલકતો ઉપર તંત્રએ બુલડોઝર ફેરવી દીધું હતું. કાળઝાળ ગરમીમાં પરિવારોને નિરાધાર બનાવી અચાનક રસ્તા ઉપર લાવી દેવાતાં રોષ ફેલાયો હતો. આદિવાસી પટ્ટી ઉપરના ગામમાં થયેલી આકરી કાર્યવાહીના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. ડિમોલિશન બાદ નિરાધાર થયેલા લોકોએ રાજકીય અગ્રણીઓ અને સરકાર તરફ રહેમની ગુહાર લગાવી હતી. નેતાઓ મુલાકાતે તો દોડી ગયા પણ સ્થાનિકોને અપેક્ષા હતી તેવી કોઈ સરકારી જાહેરાત કે અન્ય મદદ મળી નહીં. આખરે સ્થાનિકોએ જાતે જ આંદોલનનું શસ્ત્ર ઉઠાવી કલેક્ટર કચેરીએ પહોંચી કચેરીની બહાર ‘ગરીબીની નનામી’ કાઢી ડિમોલિશનની કામગીરીથી અસરગ્રસ્તોને પડેલી હાલાકી તરફ સરકારનું ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો હતો.

અસરગ્રસ્તોએ જણાવ્યું હતું કે, ડિમોલિશન વખતે બતાવવામાં આવેલા સુપ્રીમ કોર્ટના જજમેન્ટમાં ચોખ્ખું ટાંકવામાં આવ્યું છે કે, સરકાર અને કલેક્ટરે અસરગ્રસ્ત થયેલા લોકોની દરકાર રાખવી જ પડશે. પણ અહીં કોઈ સહાય કે વૈકલ્પિક વ્યવસ્થા સહિતનાં પગલાં ભરાયાં નથી. એક તરફ મોંઘવારીએ માઝા મૂકી છે, તો બીજી તરફ દબાણ દૂર કરવાની કાર્યવાહીના નામે અનેક પરિવારોને રોડ ઉપર લાવી દેવાતાં રોષ ભભૂકી ઊઠ્યો છે. ડિમોલિશન બાદ ગામમાં સ્થાનિકોની પડખે ભાજપ અને બીટીપીના નેતાઓ પહોંચ્યા હતા. નેતાઓએ રજૂઆત દ્વારા સમસ્યા ઉપર સુધી પહોંચાડવા હૈયાધારણા આપી હતી. પણ નેતાઓનાં વચન માત્ર વાતો પૂરતા મર્યાદિત દેખાયા છે તેવા આક્ષેપો કર્યા હતા.

બેઘર બનેલા લોકોએ બળાપો કાઢ્યો હતો કે, તેઓ 7 દશકથી રહેતા હતા. મારા બાપ-દાદાનું મકાન હતું. ગત 30 માર્ચે લાઠીના જોરે ઘર-સામાન પર બુલડોઝર ફેરવી દીધું હતું. અમે વેરા અને બિલ ભરીએ છીએ. છતાં અમને ઘરવિહોણા કરી નંખાયા છે. 800થી વધુ લોકો ઘરવિહોણા બની ગયા છે. લોકોએ છાજિયા લેતાં હૈયા-વરાળ ઠાલવી હતી કે, અમે ગરીબ છીએ એટલે અમારા ઉપર અત્યાચાર કરાયા છે. અમારા પાસે ગુજરાન ચલાવવા પૈસા નથી અને હવે કઈ રીતે ફરી બેઠા થઈશું.

Most Popular

To Top