Columns

જે વેક્સિન સંરક્ષણ ન આપતી હોય તેનો પ્રચાર કરીને કોને ફાયદો થશે?

વેક્સિન તેને કહેવાય, જે વાયરસ સામે સંરક્ષણ આપે. કોવિડ-૧૯ ની જેટલી પણ વેક્સિન હાલ દુનિયામાં અપાઈ રહી છે, તે સાર્સ કોવી-૨ વાયરસ સામે સંરક્ષણ આપશે કે નહીં? તેની આપણને કોઈ ખબર નથી; કારણ કે તમામ વેક્સિન પ્રાયોગિક તબક્કામાં છે. ભારતના લોકોને વેક્સિનના જે ૧૩૦ કરોડ ડોઝ આપવામાં આવ્યા, તે પણ પ્રયોગોના ભાગ રૂપે હતા. દુનિયામાં કોઈ પ્રાયોગિક દવા આટલી મોટી વસતિને આપવામાં આવી હોય, તેનું બીજું ઉદાહરણ ઇતિહાસમાં નહીં મળે. આ પ્રયોગોનાં પરિણામો હજુ જાહેર કરવામાં આવ્યાં નથી. વેક્સિન લેવાને કારણે મનુષ્ય નપુંસક તો નહીં બની જાય ને? ખબર નથી; કારણ કે પ્રયોગો ચાલી રહ્યા છે.

વેક્સિન લેવાને કારણે લોકોનું લોહી તો નહીં ગંઠાઈ જાય ને? જો ગંઠાઈ જશે તો કેટલા ટકાનું? તેમાંથી કેટલાને હાર્ટ એટેક આવશે? કેટલાંનાં મોત થશે? ખબર નથી; કારણ કે પ્રયોગો ચાલી રહ્યા છે. તેમ છતાં સરકાર ગાઈ-વગાડીને આપણને કહી રહી છે કે વેક્સિન સલામત છે. ક્યા આધારે? ખબર નથી. જો કરોડો લોકોને વેક્સિન આપી દીધા પછી ખબર પડશે કે તેનાથી કોઈ ભેદી જીવલેણ બીમારી થાય છે, તો તેના માટે કોણ જવાબદાર? શું સલામતીની ખાતરી આપનાર સરકાર પર કેસ કરી શકાશે?

આપણા દેશમાં જ્યારે સામુહિક વેક્સિનેશનની ઝુંબેશ વ્યક્ત કરવામાં આવી ત્યારે આ કોલમમાં શંકા વ્યક્ત કરવામાં આવી હતી કે ૬ મહિના પછી જો વાયરસ પોતાનું રૂપ બદલશે તો આ વેક્સિન કામ નહીં લાગે. હવે ભારતમાં વેક્સિનના ૧૩૦ કરોડથી વધુ ડોઝ આપી દેવામાં આવ્યા તે પછી કોવિડ ટાસ્ક ફોર્સના વડા વી.કે. પૌલે કબૂલ કર્યું છે કે ‘‘વર્તમાનમાં ઉદ્ભવી રહેલી પરિસ્થિતિમાં આપણી વેક્સિન બિનઅસરકારક બની શકે છે. આપણે વેક્સિનને જરૂરિયાત મુજબ સુધારવા તૈયાર રહેવું જોઈએ.’’ તેમના કહેવાનો સ્પષ્ટ અર્થ એવો થાય છે કે ભારતમાં વર્તમાનમાં જે કોવીશીલ્ડ અને કોવેક્સિન અપાઈ રહી છે તે નવા વેરિયન્ટ સામે લડવા સક્ષમ નથી.

વિજ્ઞાનીઓ તો પહેલેથી જ કહેતા હતા કે દરેક વાયરસ મનુષ્યના શરીરમાં જઈને પોતાનું સ્વરૂપ બદલે છે અને નવા નવા વેરિયન્ટ બનાવે છે. કોરોના વાયરસ પણ તેનાથી અલગ નથી. ગયા જાન્યુઆરી મહિનામાં જ્યારે દેશમાં વેક્સિનેશનની ઝુંબેશ ચાલુ કરવામાં આવી ત્યારે આપણને કહેવામાં આવ્યું હતું કે વેક્સિનના બે ડોઝ લેનારને ૮૦ થી ૯૦ ટકા સંરક્ષણ મળી શકે છે. તેને કારણે અને કોરોના માટે ફેલાયેલા ગભરાટને કારણે લોકો વેક્સિન લેવા દોડ્યા હતા.

હવે જ્યારે ભારતના ૮૨ કરોડ લોકોએ પહેલો ડોઝ અને ૫૨ કરોડ લોકોએ બંને ડોઝ લઈ લીધા છે ત્યારે સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવે છે કે હાલની વેક્સિન નવા વાયરસ સામે સંરક્ષણ આપી શકે તેમ નથી. શું તેનો અર્થ એવો કરી શકાય કે સરકાર વેક્સિનના ૧૩૪ કરોડ ડોઝ આપવામાં આવ્યા તે નકામા ગયા છે? જો હાલમાં અપાઈ રહેલા ડોઝ ઓમિક્રોન વેરિયન્ટ સામે કામ ન કરી રહ્યા હોય તો વેક્સિનેશનની ઝુંબેશ તાત્કાલિક બંધ કરીને કોરોના સામે લડવાના બીજા ઉપાયો ન શોધવા જોઈએ?

ઓમિક્રોનની વાત કરીએ તો તે સાર્સ કોવી-૨ નો વેરિયન્ટ છે. અગાઉ આલ્ફા, બીટા, ગામા, ડેલ્ટા વગેરે વેરિયન્ટ આવી ગયા; પણ તેનો એટલો ભય મીડિયા દ્વારા ફેલાવવામાં આવ્યો નહોતો. તો પછી ઓમિક્રોનનો આટલો બધો ભય કેમ ફેલાવાઈ રહ્યો છે? વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન કહે છે કે ઓમિક્રોન વેરિયન્ટ કેટલો ઘાતક છે, તેની તેને ખબર નથી. તેના પર કોઈ વર્તમાન વેક્સિન કામ કરશે કે નહીં? તેની પણ તેને ખબર નથી. તો પછી વેક્સિન બનાવતી કંપનીઓ ક્યા આધારે ઓમિક્રોન સામે લડવા માટે બૂસ્ટર ડોઝ લેવાનો આગ્રહ રાખી રહી છે? જો વર્તમાન વેક્સિનના બે ડોઝ ઓમિક્રોન સામે લડવામાં નિષ્ફળ જતા હોય તો ત્રીજો ડોઝ કેવી રીતે સફળ થશે?

ઓમિક્રોન વેરિયન્ટ નવો હોવાથી તેની અસરકારક વેક્સિન બનાવવામાં મહિનાઓ કે વર્ષો લાગી શકે તેમ છે.  વેક્સિન બનાવતી કંપનીઓની હાલત મનુષ્યનું લોહી ચાખી ગયેલા વાઘ જેવી છે. કોરોનામાં તેમને અબજો ડોલર કમાવાની તક દેખાઈ રહી છે. તાજેતરમાં બહાર આવ્યું હતું કે ભારતમાં તેમની કોરોના વેક્સિનનો પ્રચાર કરવા માટે અમેરિકાની કંપનીઓ દ્વારા ભારતના રાજકારણીઓ, વિજ્ઞાનીઓ અને મીડિયા પાછળ ૩,૭૦૦ કરોડ રૂપિયાનો ધુમાડો કરવામાં આવ્યો હતો.  વેક્સિન બનાવતી કંપનીઓને લાગ્યું કે જો દેશના બધા લોકો બે ડોઝ લઈ લેશે તો તેમની કમાણી કાયમ માટે બંધ થઈ જશે. માટે તેમણે નવા વેરિયન્ટનો ભય મીડિયા દ્વારા ફેલાવ્યો છે. હવે લોકો બૂસ્ટર ડોઝ લેવા દોડશે તો તેમની કમાણી વધી જશે. તેમણે દર ૬ મહિને બૂસ્ટર ડોઝ લીધા કરવા પડશે.

તાજેતરમાં દક્ષિણ આફ્રિકામાં અને હોંગકોંગમાં થયેલું સંશોધન પુરવાર કરે છે કે જોનસન એન્ડ જોનસન, ફાઈઝર અને સિનોવેક કંપનીઓ દ્વારા બનાવવામાં આવતી કોરોનાની વેક્સિન ઓમિક્રોન વેરિયન્ટ સામે કામ આપતી નથી. હોંગકોંગ યુનિવર્સિટીના વિજ્ઞાનીઓ દ્વારા ૨૫ માનવો પર પ્રયોગો કરવામાં આવ્યા હતા. પરિણામે જણાયું હતું કે ૨૫ પૈકી માત્ર પાંચમાં નવા વેરિયન્ટ સામે લડી શકે તેવા એન્ટીબોડી પેદા થયા હતા. તેમને ફાઈઝરની અને સિનોવેકની ચાલુ વેક્સિન આપવામાં આવી હતી. ફાઇઝરની વેક્સિન અમેરિકા બનાવે છે, જ્યારે સિનોવેક ચીન બનાવે છે. ચીનની વેક્સિન સસ્તી હોવાથી દુનિયાની બહુમતી પ્રજાએ તે વેક્સિન લીધી છે. 

આ સંશોધકો દ્વારા સલાહ આપવામાં આવી છે કે નવા વેરિયન્ટ સામે અસરકારક વેક્સિન ન શોધાઈ જાય ત્યાં સુધી બધા લોકોએ બૂસ્ટર ડોઝ લઈ લેવો જોઈએ. આ સૂચના પરથી ખ્યાલ આવે છે કે આ સંશોધન કરવાનો હેતુ બૂસ્ટર ડોઝનું વેચાણ કરવાનો હતો. તેમને કોઈ એવો સવાલ કેમ નથી પૂછતું કે જે વેક્સિનના બે ડોઝ નકામા પુરવાર થયા છે, તેનો ત્રીજો ડોઝ કામ કરશે ખરો? ભારતમાં પણ ૫૦ ટકા પુખ્ત વયનાં લોકોએ બે ડોઝ અને ૮૦ ટકાએ એક ડોઝ લઈ લીધા છે ત્યારે સરકાર તરફથી જ ઇરાદાપૂર્વક વાત વહેતી મૂકવામાં આવી છે કે હાલની વેક્સિન નવા વેરિયન્ટ સામે કામ આપશે નહીં. તેનો હેતુ બૂસ્ટર ડોઝ માટે માહોલ ઊભો કરવાનો છે. જો કે ભારતમાં હજુ ૫૦ ટકાના જ બે ડોઝ થયા હોવાથી બૂસ્ટર ડોઝની વાત થોડી વહેલી છે.

માટે જ સરકારી પ્રવક્તા દ્વારા કહેવામાં આવે છે કે હાલમાં બૂસ્ટર ડોઝની આવશ્યકતા જણાતી નથી. આ વિધાનમાં ‘હાલ’ શબ્દ બહુ મહત્ત્વનો છે. હાલમાં આવશ્યકતા જણાતી નથી; પણ ૮૦ ટકાથી વધુ લોકો ડબલ ડોઝ લઈ લે તે પછી બૂસ્ટર ડોઝ લાવવામાં આવશે. જો હાલમાં બૂસ્ટર ડોઝ આપવાનું ચાલુ કરવામાં આવે તો એક ડોઝ લેનારા લોકો બીજો ડોઝ લેવાને બદલે બૂસ્ટર ડોઝ લેવા દોડી શકે છે. જો સરકાર ઓમિક્રોન વેરિયન્ટ સામે લડવા માટે બૂસ્ટર ડોઝ લેવાની સૂચના આપશે તો નક્કી થઈ જશે કે ભારતની કે વિશ્વની પ્રજાએ દર ૬ મહિને બૂસ્ટર ડોઝ લેવાના છે, કારણ કે દર ૬ મહિને નવો વેરિયન્ટ આવશે તે નક્કી છે. આ બધું ત્યારે થઈ રહ્યું છે જ્યારે નવો વેરિયન્ટ કેટલો ઘાતક છે? તેનાથી કેટલા લોકોનાં મોત થવાની વકી છે? તેની કોઈ માહિતી આપણી પાસે નથી. જો નવો વેરિયન્ટ ઘાતક ન હોય તો તેનાથી ડરવાની કે વેક્સિન લેવાની કોઈ જરૂર નથી. જો નવો વેરિયન્ટ ઘાતક હોય તો પણ વેક્સિન લેવાની જરૂર નથી; કારણ કે કોઈ વેક્સિન તેના પર કામ કરવાની નથી.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top