Comments

વીર કોણ હતા?…મદનલાલ ઢીંગરા કે સાવરકર

Madanlal Dhingra: The Martyr Extraordinaire - Home

મદનલાલ ઢીંગરાએ પોતાના કૃત્યના બચાવમાં કહ્યું હતું: I do not plead for mercy; nor do I recognize your authority over me. All I wish is that you should at once give me a capital punishment. I want to be hanged, for then the vengeance of my countrymen will be all the more keen. મદનલાલનું આ નિવેદન ફરી વાંચો. એમાં તેમણે બે મહત્ત્વની વાત કરી છે. એક, હું માફી નથી માગતો કે નથી ઈચ્છતો. હું તો દેહાંતદંડની સજા માગું છું. બે, હું (મારા/અમારા/ભારતીયો) ઉપરની તમારી સત્તાને સ્વીકારતો જ નથી. તમને (અંગ્રેજોને) અમારા ઉપર સત્તા ચલાવવાનો કોઈ અધિકાર જ નથી.

મદનલાલ ઢીંગરાએ ભારતીયોની ગેરહાજરીમાં અદાલતમાં આ જે નિવેદન કર્યું હતું અથવા સાવરકર કહે છે એમ પોલીસે ઢીંગરાના ખિસ્સામાં રહેલું એ લેખિત નિવેદન જપ્ત કરી લીધું હતું તો પછી એ આખેઆખું નિવેદન અક્ષરશ: અખબારો સુધી પહોંચ્યું કેવી રીતે? એ સાવરકરે પહોંચાડ્યું હતું, કારણ કે તે સાવરકરે પોતે તે લખ્યું હતું અને તેની એક કોપી તો તેમની પાસે હતી જ. સાવરકર શૌર્યપરક અતિશયોક્તિના રાજા હતા. સાવરકર લખે છે કે ઢીંગરાના એ નિવેદનને લઈને ઇંગ્લેન્ડમાં છાકો પડી ગયો હતો. અખબારોમાં ચીસો પાડતી હેડલાઈન હતી અને આખા ઇંગ્લેન્ડમાં ચોરે ને ચૌટે ઢીંગરાના નિવેદનની જ વાતો થતી હતી.

એ નિવેદને અંગ્રેજોના મસ્તિષ્ક ઉપર કબજો જમાવ્યો હતો. ‘લંડનચી બાતમીપત્રે’માં સાવરકરે એ નિવેદનની ભરપૂર પ્રશસ્તિ કરી છે અને વારંવાર ઢીંગરાનું વાક્ય ટાંક્યું છે: I do not plead for mercy; nor do I recognize your authority over me. All I wish is that you should at once give me a capital punishment. ત્યારે તેમણે સપનામાં પણ વિચાર્યું નહોતું કે એક દિવસ આ કથનથી બિલકુલ સામેના છેડાનું કથન તેમણે પોતે કરવું પડશે. માફી પણ માગવી પડશે અને અંગ્રેજોની સત્તાનો સ્વીકાર પણ કરવો પડશે.

જ્યારે ઈંગ્લેંડમાં આ ઘટનાઓ બની રહી હતી અને સાવરકર ‘લંડનચી બાતમીપત્રે’માં તેનો ચિતાર આપતા હતા ત્યારે એમાં કોઈ જગ્યાએ લખ્યું નથી કે ઢીંગરા તેમનો શિષ્ય હતો, સાવરકર માટે તેમના મનમાં ભક્તિભાવ હતો, ઢીંગરાએ ખૂન કરવાની આજ્ઞા માગી હતી અને સાવરકરે આજ્ઞા આપીને આશીર્વાદ આપ્યા હતા એટલું જ નહીં, પિસ્તોલ આપતી વખતે “ખૂન કરવામાં જો નિષ્ફળ નીવડે તો મોઢું નહીં બતાવતો” એવી ચીમકી પણ આપી હતી વગેરે.

આ તો જાણે સ્વાભાવિક છે. કોઈ મૂર્ખ હોય એ જ એ સમયે આવું લખે અને સાવરકર મૂર્ખ નહોતા. સાવરકરે આવો દાવો અંગ્રેજોએ તેમને શરતી માફી આપી અને છૂટા થયા એ પછી પણ નહોતો કર્યો. સાવરકરે આવો દાવો દેશને આઝાદી મળી ત્યાં સુધી ક્યારેય નહોતો કર્યો એ પણ જાણે સમજી શકાય એમ છે. સાવરકરે આનો ઉલ્લેખ તેમની આત્મકથામાં પણ નથી કર્યો. આઝાદી પહેલાંનાં કોઈ લખાણમાં સાવરકરે વાઈલીના ખૂનનો શ્રેય લીધો નથી.

તો પછી આ વાત આવી ક્યાંથી? ધનંજય કીર નામના સાવરકરભક્તે ૧૯૫૦ માં સાવરકરનું જીવનચરિત્ર લખ્યું હતું, જેનું શીર્ષક હતું; ‘સાવરકર એન્ડ હીઝ ટાઈમ’. નહીં, આ વાત એ સમયે, આઝાદી પછી લખાયેલા એ જીવનચરિત્રમાં પણ કહેવાઈ નથી. એનું કારણ એ હતું કે સાવરકર ગાંધીજીના ખૂનમાં એક આરોપી હતા. ગાંધીજીના હત્યારાઓને ઉશ્કેરવાનો અને મદદ કરવાનો તેમના ઉપર આરોપ હતો. ૧૦ મી ફેબ્રુઆરી ૧૯૪૯ માં ગાંધી ખૂન કેસમાં તેઓ નિર્દોષ છૂટ્યા હતા. જરાકમાં બચી ગયા હતા અને કેટલાક લોકો આજે પણ કહે છે કે તેમને બચાવી લેવામાં આવ્યા હતા.

તેમણે અદાલતમાં બીજા આરોપીઓથી અલગ બેસવાની માગણી કરી હતી અને એ માગણી માન્ય રાખવામાં આવી હતી. અદાલતમાં તેઓ બીજા આરોપીઓ સાથે આંખ પણ મેળવતા નહોતા. આ સ્થિતિમાં ૧૯૫૦ માં પ્રકાશિત થયેલી પહેલી આવૃત્તિમાં ઢીંગરા પર સાવરકરનો પ્રભાવ હતો અને વાઈલીના ખૂનમાં સાવરકરે ઢીંગરાને પાછળ રહીને મદદ કરી હતી એમ જો તેના ચરિત્રકાર લખે તો સાવરકર મુશ્કેલીમાં આવી શકે એમ હતા. આમ પણ સાવરકરની ઈમેજ પાછળ રહીને હત્યાઓ કરાવનારની હતી. સરકાર કે બીજું કોઈ ધનંજય કીરના જીવનચરિત્રમાં કહેવામાં આવેલી વાતનો ઉપયોગ કરીને અપીલમાં જાય તો? માટે આઝાદી પછી પણ સાવરકર અને તેમના ચરિત્રલેખક કહેતા નથી કે તેઓ ઢીંગરાના માર્ગદર્શક અને મદદકર્તા હતા. 

ધનંજય કીરે સાવરકરના ચરિત્રની બીજી આવૃત્તિ સાવરકરના અવસાન પછી પ્રકાશિત કરી હતી જેમાં આ વાત કહેવામાં આવી છે. હવે સાવરકર હયાત નહોતા એટલે કોઈ વાતનો ભય નહોતો. તેમણે પ્રસ્તાવનામાં દાવો કર્યો છે કે તેમણે સાવરકરની દીર્ઘ મુલાકાત લીધી હતી અને નવાં પ્રમાણો ઉપલબ્ધ થયાં હતાં. જીવનચરિત્ર લેખકે ચરિત્ર નાયકની મુલાકાત પહેલી આવૃત્તિ વખતે પણ લીધી હતી. પણ ત્યારે સાવરકર કાં બોલ્યા નહોતા અથવા ચરિત્રલેખકે મુશ્કેલીના વખતે તેનો ઉલ્લેખ નહીં કરીને મદદ કરી હતી. ધનંજય કીર સાવરકરના જીવનચરિત્રની બીજી આવૃત્તિમાં કહે છે કે વાઈલીના ખૂનનો સંપૂર્ણ શ્રેય સાવરકરને જાય છે.

તેમણે ઢીંગરાને નિકલ પ્લેટેડ રિવોલ્વર આપી હતી અને કહ્યું હતું કે, “જો આ વખતે નિષ્ફળ નીવડે તો તારું મોઢું મને બતાવતો નહી.” “આ વખતે” શબ્દપ્રયોગ પણ સૂચક છે. ઢીંગરા સાવરકરના કબજામાં હતો અને તેમના દ્વારા સંચાલિત યંત્રની માફક વર્તતો હતો. તે એમ માનવા લાગ્યો હતો કે તે ભારતની આઝાદી ખાતર પોતાનું બલિદાન આપી રહ્યો છે. ઢીંગરા સામેના ખટલા વખતે સાવરકર તેમનો જુસ્સો જાળવી રાખવા કહેતા હતા કે તે શહીદ તરીકે અમર નીવડવાનો છે અને સદીઓ સુધી ઈતિહાસ તેને યાદ કરવાનો  છે. આ બધું ધનંજય કીરે સાવરકરનો હવાલો આપીને સાવરકરના મૃત્યુ પછી પહેલી વાર કહ્યું છે. એક બીજી બાત પણ નોંધવી રહી. ખરે ટાણે મૂંગા રહીને છ દાયકા પછી ઢીંગરાની બહાદુરીનું શ્રેય લેવું એ ઢીંગરા સાથે અન્યાય નથી? વીર ઢીંગરા કે સાવરકર?

ધનંજય કીરે સાવરકરના ચરિત્રમાં આ ઉમેરો સાવરકરના અવસાન પછી કર્યો હતો અને પુસ્તકનું નામ બદલીને ‘વીર સાવરકર’ કર્યું હતું. અનુકૂળતા મુજબ ફેરફાર કરવાની આ પ્રવૃત્તિ સાવરકર પણ કરતા હતા. તેમના પુસ્તકની બે આવૃત્તિ ભાગ્યે જ એકસરખી જોવા મળશે. જેમ કે ૧૮૫૭ના વિદ્રોહના ઈતિહાસની પહેલી આવૃત્તિમાં તેમણે મુસલમાનોના યોગદાનની ભારોભાર પ્રશંસા કરી છે, પરંતુ પાછળથી જ્યારે તેઓ મુસ્લિમવિરોધી હિન્દુત્વવાદી બન્યા એ પછીની આવૃત્તિમાં મુસલમાનોની કરેલી પ્રશંસા તેમણે કાઢી નાખી હતી.

ગમે તેમ સાવરકરે ભલે ત્યારે નહોતું કહ્યું કે ઢીંગરા તેમના કબજામાં હતો, પરંતુ અંગ્રેજોને તેની જાણ હતી. અંગ્રેજો શું ભારતીયો પણ આ જાણતા હતા. ગાંધીજીએ તો એ જ સમયે વાઈલીની હત્યા પછીના બીજા પખવાડિયે લખેલા લેખમાં આનો ઈશારો કર્યો છે જે આગળના લેખમાં ગાંધીજીને ટાંકીને કહેવામાં આવ્યું છે. ગાંધીજીએ લખ્યું હતું કે ઢીંગરા નિર્દોષ છે. સજા તો ઢીંગરાને ઉશ્કેરનારને થવી જોઈએ. અંગ્રેજો સાવરકર સુધી પહોંચવા માટે તક શોધી રહ્યા હતા અને એ તક તેમને નાસિકમાં નાસિકના કલેકટર ડૉ એ. એમ. ટી. જેકસનના અનંત ક્ન્હેરેએ કરેલા ખૂન વખતે મળી ગઈ હતી.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top