India

પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારાનો સિલસિલો ક્યારે અટકશે?

10 દિવસમાં 4 વખત વધારો, ચોતરફ મોંઘવારીની માર

દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના સતત વધી રહેલા ભાવને કારણે સામાન્ય લોકોમાં ભારે ચિંતા ફેલાઈ છે. મહત્વ નું છે કે છેલ્લા માત્ર 10 દિવસમાં ચાર વખત ઇંધણના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે, જેના કારણે લોકોના રોજિંદા બજેટ પર સીધી અસર પડી રહી છે. નવા વધારા બાદ અનેક શહેરોમાં પેટ્રોલ ₹100ને પાર પહોંચી ગયું છે, જ્યારે ડીઝલના ભાવમાં પણ મોટો ઉછાળો નોંધાયો છે.

તાજા વધારા મુજબ પેટ્રોલના ભાવમાં ₹2.61 પ્રતિ લીટર અને ડીઝલમાં ₹2.71 પ્રતિ લીટર સુધીનો વધારો થયો છે. રાજધાની દિલ્હીમાં પેટ્રોલ હવે ₹102 પ્રતિ લીટરથી વધુ થઈ ગયું છે, જયારે મુંબઈ અને કોલકાતા જેવા શહેરોમાં ભાવમાં ભારે વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા બે અઠવાડિયામાં થયેલા સતત વધારાને કારણે વાહનચાલકો પર વધારાનો આર્થિક બોજો આવી પડ્યો છે.

વિશેષજ્ઞોના મતે આ ભાવ વધારાનું મુખ્ય કારણ મધ્યપૂર્વમાં વધી રહેલો તણાવ અને ઈરાન સાથે જોડાયેલા યુદ્ધ જેવી પરિસ્થિતિ છે. અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ભારે ઉછાળો આવ્યો છે. બ્રેન્ટ ક્રૂડનો ભાવ $100 પ્રતિ બેરલની આસપાસ પહોંચી ગયો છે, જેના કારણે ભારતીય ઓઈલ માર્કેટિંગ કંપનીઓ પર ભારે દબાણ સર્જાયું છે.

ભારત પોતાની જરૂરિયાતનું મોટા ભાગનું ક્રૂડ ઓઈલ આયાત કરે છે. તેથી આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ વધે તો તેની સીધી અસર ભારતીય ગ્રાહકો પર પડે છે. ઓઈલ કંપનીઓ લાંબા સમયથી નુકસાન સહન કરી રહી હતી અને હવે તે નુકસાનની ભરપાઈ માટે તબક્કાવાર ભાવ વધારો કરી રહી છે. અહેવાલો મુજબ આગામી 3થી 4 મહિનામાં પણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધુ વધારો થઈ શકે છે.

સતત વધી રહેલા પેટ્રોલ-ડીઝલના ભાવની અસર હવે માત્ર વાહનચાલકો પૂરતી મર્યાદિત રહી નથી. ટ્રાન્સપોર્ટ ખર્ચમાં વધારો થતાં રોજિંદા જીવનમાં ઉપયોગી વસ્તુઓના ભાવ પણ વધી શકે છે. શાકભાજી, દૂધ, અનાજ, કુરિયર, ટેક્સી અને સ્કૂલ બસ જેવા ક્ષેત્રોમાં પણ મોંઘવારી વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

દિલ્હી-NCR વિસ્તારમાં તો વધતા ઇંધણ ભાવને કારણે કેબ અને ઓટો ચાલકોએ હડતાળનું એલાન પણ કર્યું હતું. ડ્રાઈવરોનું કહેવું છે કે વધી રહેલા પેટ્રોલ-ડીઝલ અને CNGના ભાવ વચ્ચે હાલના ભાડામાં કામ કરવું મુશ્કેલ બની રહ્યું છે.સાથે જ અનેક ટ્રાન્સપોર્ટ યુનિયનો દ્વારા સરકાર પાસે ભાડામાં વધારો કરવાની માંગ કરવામાં આવી છે.


કોલકાતા સહિત કેટલાક શહેરોમાં લોકો હવે ખાનગી વાહનોના બદલે મેટ્રો, બસ અને જાહેર પરિવહન તરફ વળી રહ્યા છે. સતત વધતી મોંઘવારી વચ્ચે લોકો પોતાના ખર્ચમાં ઘટાડો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. કેટલાક લોકો લાંબા અંતર માટે હવે કારના બદલે બાઈક અથવા જાહેર પરિવહન પસંદ કરી રહ્યા છે.ગુજરાતના સુરતમાં પણ પેટ્રોલના ભાવમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. અહેવાલો મુજબ સુરતમાં પેટ્રોલનો ભાવ ₹99ની આસપાસ પહોંચી ગયો છે, જ્યારે ડીઝલના દરોમાં પણ વધારો થયો છે. છેલ્લા કેટલાક દિવસોમાં સુરતમાં ઇંધણના ભાવમાં સતત ફેરફાર જોવા મળ્યો છે.

ઊર્જા ક્ષેત્રના નિષ્ણાતોનું કહેવું છે કે જો મધ્યપૂર્વની પરિસ્થિતિમાં ઝડપથી સુધારો નહીં આવે તો આગામી દિવસોમાં પણ ભાવ વધારો ચાલુ રહી શકે છે. કેટલીક ઓઈલ કંપનીઓએ તો સંકેત આપ્યા છે કે હાલની પરિસ્થિતિ યથાવત રહેશે તો વધુ એક ભાવવધારો અનિવાર્ય બની શકે છે.સરકાર તરફથી હાલમાં લોકોને ગભરાટમાં આવીને ઇંધણનો વધારાનો સંગ્રહ ન કરવા અપીલ કરવામાં આવી છે. સાથે જ દેશ પાસે પૂરતો ઇંધણ સ્ટોક ઉપલબ્ધ હોવાનું પણ જણાવાયું છે. છતાં સામાન્ય લોકોમાં એક જ સવાલ ચર્ચાઈ રહ્યો છે ,પેટ્રોલ-ડીઝલના ભાવવધારાનો આ સિલસિલો આખરે ક્યારે અટકશે?

Most Popular

To Top