Comments

આંકડાઓ જ્યારે લોકશાહી મૂલ્યો કરતાં વધારે મહત્ત્વના બની જાય છે

ગુજરાતના પાટનગર ગાંધીનગરની મહાનગરપાલિકાની ચૂંટણીનું પરિણામ આવી ગયું છે. બેઠકોની રીતે જુવો તો 44 બેઠકોમાંથી 41 બેઠકો ભાજપને ફાળે ગઈ છે. કોંગ્રેસને માત્ર 2 અને આમઆદમી પાર્ટીને ૧ બેઠક મળી છે. બહુમત આધારિત લોકશાહી વ્યવસ્થામાં આ બેઠકોનું ગણિત જ લોકપ્રિય છે, પણ આંકડાઓનું વિશ્લેષણ કરીને રાજકીય, માનસશાસ્ત્રીય અભ્યાસુઓ માટે માત્ર બેઠકોના આંકડા નહીં પણ મતદાન અને મતની વહેંચણી પણ અગત્યની હોય છે અને ગાંધીનગરના આંકડા એક જૂદું ચિત્ર આપે છે.

ગાંધીનગરમાં સરેરાશ 52 ટકા લોકોએ મતદાન કર્યું હતું. એટલે એમ માનો કે ૧૦૦ કુલ મતદાતા હતા જેમાંથી 52 વોટ આપ્યા. હવે આ 52 માંથી 23 લોકોએ ભાજપને વોટ આપ્યો (46%) જ્યરે 14 લોકોએ કોંગ્રેસ અને 11 (21%) લોકે આપને વોટ આપ્યો. 2 વોટ અન્યને મળ્યા , મતલબ જો માત્ર ભાજપની રીતે વિચારીએ તો 52 માંથી 23 એ વોટ તરફેણમાં આપ્યા, જ્યારે 29 જણાએ વોટ વિરુદ્ધમાં આપ્યા, માત્ર વોટને આધારે જ ગણીએ તો ભાજપ સત્તામાં આવે તે કરતાં ના આવે તે માટે વોટ વધારે થયા. ગયા વખતની ચૂંટણી કરતાં ભાજપના આ વખતે વોટ ઘટ્યા, પણ બેઠકો વધી. લોકશાહીમાં મેં જેના નામ પર ચોકડી મારી એ જીતી ગયા”. .જેવી વાત આ વખતે પ્રથમ વખત નથી બની.

બે બિલાડીની લડાઈમાં વાંદરો ફાવી જાય એ વાર્તા નવી નથી. ભાગલા પાડો અને રાજ કરો વાળી વાત ખોટી છે. સાચું તો એ છે કે ભાગલા છે માટે રાજ કરો. મતદારોમાં ભાગલા પાડી લઘુમત ને બહુમત ગણવાનું ષડયંત્ર ઇન્દિરા ગાંધી વખતથી ચાલ્યું આવે છે. માંડ 40 ટકા વોટ થાય એમાંથી કોંગ્રેસ 25 મત મેળવે, બાકીના વિપક્ષો વચ્ચે વહેંચાઈ જાય અને કોગ્રેસનો ભવ્ય વિજય થાય. લોકપ્રિય સરકાર રચાયા ચૂંટણીમાં જો જીતા વો સિકન્દરની તદ્દન બોગસ થીયરી દ્વારા રાજાશાહી વ્યવસ્થાને જસ્ટીફાય કરતા ચૂંટણી વિશ્લેષકો ત્યારે પણ હતા, જે કહેતા હતા કે ભારતની પ્રજા અભણ છે, પણ અજ્ઞાની નથી. એનામાં કોઠાસૂઝ જબરી છે. આવી કોઠાસૂઝ વોટ જ કરવા ના જવું. વહેંચાઈ જવું. ..વિચરવું જ નહીં કે વોટ વ્યક્તિ માટે કરાય કે વિચારધારા માટે? પક્ષની પોલીસી જોવી જોઈએ કે પ્રચાર. 

દિલ્લીમાં બેઠેલી વ્યક્તિના નામે ગ્રામ પંચાયતમાં દારુડીયાને સરપંચ બનાવી દેનારાને જબરો કોઠાસૂઝવાળો કેમ કહેવો? સમય આવી ગયો છે આ આંકડાઓના શાસનમાંથી દેશને, ખાસ તો લોકશાહીને મુક્ત કરવાનો. જો આપણે બંધારણમાં ફેરફાર કરીને સમાજવાદ તરફ ઢળેલા અર્થતંત્રને મૂડીવાદ તરફ લઇ જઈ શકતા હોઈએ, જો ત્રિપલ તલાક, કાશ્મીર માંથી ૩૭0 કલમની નાબૂદી જેવા ફેરફાર કરી શકતા હોઈએ તો ભારતમાં આવનારાં વર્ષોમાં લોકશાહી મજબૂત થાય તે માટે પણ નવા રસ્તા વિચારવા જોઈએ, જેમ કે અનેક દેશોમાં એવો નિયમ છે કે જે વોટીંગ થાય તેના 51% મત મળે તે જ જીતેલ જાહેર થાય અથવા એવો નિયમ પણ ઘણા દેશો પાળે છે કે જે પાર્ટીને જેટલા ટકા વોટ મળે તેને એટલું પ્રતિનિધિત્વ મળે. આપણને ઘણી વાર હાસ્યાસ્પદ લાગે. આવું તો કરાતું  હશે?

એવું થાય પણ વિચારવું તો પડશે જ, બાકી આવી સરકારોની માનસશાસ્ત્રીય અસરો સમાજ પર નકારાત્મક અસર ઊભી કરે છે. પ્રજાના ૬૫ વર્ગે જેના વિરુધ મતદાન કર્યું હોય એવા લોકો લોકપ્રિય નેતા તરીકે પાંચ વર્ષ એકહથ્થુ સત્તા ચલાવે ત્યારે પ્રજામાં એક ઘેરો અસંતોષ સતત રહ્યા કરે છે એ નકારાત્મક રસ્તાઓ પણ લે છે અને જ્યારે, સત્તા પરિવર્તન થાય છે ત્યારે આ ઘેરો અસંતોષ એકદમ બહાર આવી જાય છે. આલંબી માનસશાસ્ત્રીય ચર્ચા છે. ટૂંકમાં આજે જે વોટ ડીવીઝન ભાજપને ફળે છે તે ગઈકાલે કોંગ્રેસને ફાયદો કરાવતું હતું. આવનારા સમયમાં તે બીજા કોકને ફાયદો કરાવશે, પણ લોકશાહીને તો નુકસાન જ થશે. કહેવાતી બહુમતી વાસ્તવમાં લઘુમતી છે તે હકીકત છે.

લોકશાહી મૂલ્યો કરતાં આંકડાઓ વધારે અગત્યના બની ગયા. આ તો ક્રિકેટમાં ગણિતના નિયમો આવ્યા પછી રમતની મજા મરી ગઈ તેના જેવો કેસ છે, બાકી જો  ગાંધીનગરના ચૂંટણી પરિણામોનું જ વિશ્લેષણ કરવું હોય તો એમ કહી શકાય કે પ્રજા હવે કોંગ્રેસનો વિકલ્પ શોધવા માંડી છે. માત્ર પહેલી ચૂંટણીમાં આપને 21 % વોટ ઓછા નથી. યાદ રહે 1980 માં ભાજપ સ્થપાયું પછી વર્ષો સુધી તેના વોટ 25 % જ હતા. આપના આ 21 % માં પણ 15 % કોંગ્રેસના આવ્યા છે પણ 6% ભાજપના છે. જાહેર જીવનમાં કામ કરવા બેઠકો મહત્ત્વની નથી. જો આપ મજબૂત વિરોધ પક્ષ તરીકે કામ કરશે તો થોડા સમયમાં શહેરી મતદાતાઓ ત્યાં જતા અચકાશે નહિ.

ગાંધીનગરમાં મહાનગરપાલિકા રચાઈ પછી ત્રીજી ચૂંટણી છે. પહેલી બે માં કોંગ્રેસ જ જીતી હતી. બીજી ચૂંટણીમાં કોંગ્રેસના જીતેલા ઉમેદવારો ભાજપમાં જોડાઈ જતાં ભાજપ સત્તામાં આવ્યું હતું એટલે ગાંધીનગરમાં પ્રજાએ વિચાર્યું કે આપણે જીતાડીએ ગમે તેને પણ જો એ ભાજપમાં જ જવાના હોય તો પહેલેથી જ ભાજપ જીતાડો ને. ઘણા આને કોંગ્રસની નબળાઈ માને છે. ઘણા માને છે કે પ્રજા સરન્ડર થઇ કહેવાય. ટૂંકમાં વ્યક્તિઓ બદલાય છે, વ્યવસ્થા નહીં. આપણે તે દિશામાં જવું જોઈએ.   
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top