Gujarat

બોલો…સરકાર કહે છે કે રાજયભરમાં ઉનાળામાં પાણીની મુશ્કેલી નહીં પડે : કેબીનેટમાં ચર્ચા

ગાંધીનગર: રાજયમાં આમ તો ઉનાળામાં (Summer) કમોસમી વરસાદ (Unseasonal rain) થઈ રહ્યો છે, જોકે ઉનાળામાં રાજયના વિવિધ જળાશયોનામાં ઉપલબ્ધ પાણીના જથ્થા અંગે આજરોજ ગુરુવારે ગાંધીનગરમાં કેબીનેટ બેઠકમાં લંબાણપૂર્વકની ચર્ચા ચાલી હતી જે મુજબ ઉનાળામાં પીવાના પાણીની કોઈ તકલીફ નહીં પડે. ઉલ્લેખનીય છે કે શહેર વિસ્તારોમાં પણ ઉનાળામાં પાણીની બૂમ ઉઠી છે તો ગ્રામ્ય વિસ્તારોમાં શું હાલત હશે તે વિચારી શકાય છે. ખાસ કરીને સુરત શહેરમાં ઉનાળા દરમિયાન કાયમ ગંદુ અને વાસ મારતું પાણી આવવાની ફરિયાદ ઉઠતી રહે છે અને શહેરીજનો પરેશાન થાય છે.

કેબીનેટ બેઠકમાં પાણીની ઉપલબ્ધતા અંગે થયેલી ચર્ચાના સંદર્ભમાં કેબીનેચ પ્રવકત્તા ઋષિકેશ પટેલે કહયું હતું કે, રાજયમાં ઉનાળાની સિઝનમાં પ્રજાજનોને પીવાના પાણી સહિત અન્ય જરૂરિયાતો માટે વપરાતા પાણીની કોઇપણ પ્રકારની તકલીફ પડે નહીં તે માટે રાજ્ય સરકાર સતત જાગરૂત છે. ઉનાળા દરમિયાન પાણીના સુચારૂ વિતરણ માટે પુરતું આગોતરું આયોજન કરાયુ છે. ગુજરાતના ગ્રામીણ વિસ્તારમાં નર્મદા આધારિત જુથ પાણી પુરવઠા યોજનાઓ મારફત ૩,૧૦૦ એમ.એલ.ડી. પાણીનું જ્યારે નર્મદા સિવાયના અન્ય સરફેસ સ્ત્રોત આધારિત જુથ યોજનાઓમાં ૧,૧૦૦ એમ.એલ.ડી. પાણી વિતરણ કરવામાં આવે છે. રાજ્યમાં આવેલ જળાશયો પૈકી ૭૨ જળાશયો આધારિત પાણી પુરવઠાની જુથ યોજનાઓ કાર્યરત છે. આ તમામ જળાશયોમાં આગામી ઉનાળા દરમ્યાન ચાલે તેટલું પુરતું પાણી ઉપલબ્ધ છે.

આદિજાતિ વિસ્તારોમાં ઓપરેટર્સની ટેક્નિકલ ક્ષમતાના અભાવથી મુશ્કેલી: વાસ્મો દ્વારા તાલીમ
આદિજાતિ વિસ્તારના ૨૧,૦૦૦ ફળિયાઓમાં ચકાસણીની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં ૧૫,૦૦૦ ફળિયાઓની યોજનાઓ કાર્યરત છે, જયારે ૩,૦૦૦ જેટલી યોજનાઓમાં પાણીના સ્તર ઊંડા જવાના કારણે મુશ્કેલી વર્તાય છે જે આગામી ચોમાસા દરમ્યાન ચાલુ કરી શકાશે તથા બાકી રહેતા ૬,૦૦૦ ફળિયાઓની યોજનાની વેરીફિકેશનની કાર્યવાહી હાલ પ્રગતિ હેઠળ છે. આદિજાતિ વિસ્તારમાં યોજનાના સંચાલન દરમ્યાન લિકેજના પ્રશ્નોના નિરાકરણ અર્થે વાસ્મો દ્વારા એજન્સી નિયુક્ત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેના થકી આગામી ૧૮ માસ સુધી આદિજાતિ વિસ્તારની આંતરિક યોજનામાં થનાર લિકેજનું રીપેરીંગ વાસ્મો દ્વારા કરવામાં આવશે. આદિજાતિ વિસ્તારમાં ઓપરેટરના અભાવે હાલમાં બંધ યોજનાઓ પુનઃ કાર્યરત કરવા વિકાસ કમિશનર દ્વારા ૧૫ મા નાણાં પંચના બજેટમાં માસિક રૂ. ૧૦,૦૦૦/- ની એક્ટિવિટી ગામની પાણીની યોજનાના સંચાલન પેટે ઉમેરવાની જોગવાઇ કરવામાં આવી છે. આ ઉપરાંત આદિજાતિ વિસ્તારના ઓપરેટર પાસે તાંત્રિક ક્ષમતાનો અભાવ હોવાથી યોજના સંચાલન અર્થે વાસ્મો દ્વારા જરૂરી તાલીમ આઇ.ટી.આઇ. દ્વારા યોજવામાં આવી છે.

ગ્રામીણ વિસ્તારમાં ટોલ ફ્રી નંબર 1916 કાર્યરત
ગ્રામીણ વિસ્તારમાં પીવાના પાણીની ફરિયાદ નોંધાવા માટે ૨૪x૭ ટોલ ફ્રી નંબર ૧૯૧૬ કાર્યરત છે. છેલ્લા ત્રણ માસમાં નોંધાયેલ કુલ ૧૩,૭૨૨ ફરિયાદો પૈકી ૧૨,૬૫૩ ફરિયાદોનો નિકાલ જ્યારે ૧,૦૬૯ ફરિયાદોના નિવારણની કામગીરી પ્રગતિ હેઠળ છે. દરિયા કાંઠાના ભાવનગર, ગીર સોમનાથ, અમરેલી જિલ્લા માટે બુધેલથી બોરડા બલ્ક પાઇપલાઇનની યોજના તાજેતરમાં પૂર્ણ કરવામાં આવી છે. જેના થકી આ વિસ્તારના ગામો તથા શહેરોને વધારાનું ૧૮૦ એમ.એલ.ડી. પાણી ઉપલબ્ધ થયું છે. સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તાર માટે બલ્ક વોટર સપ્લાય ગ્રીડ મારફત હાલ શરેરાશ ૨,૦૦૦ એમ.એલ.ડી. પાણી વિતરણ કરવામાં આવે છે. જે આગામી ઉનાળામાં જરૂરિયાત મુજબ ૨,૨૦૦ થી ૨,૩૦૦ એમ.એલ.ડી. સુધી વિતરણ કરવાનું આયોજન છે.

Most Popular

To Top