Madhya Gujarat

ખાનપુર ગામમાં નદીમાં ડૂબી જતાં 2ના કરુણ મોત

આણંદ : આણંદના ખાનપુર ગામમાંથી પસાર થતી મહીસાગર નદીમાં રવિવારના રોજ કાળઝાળ ગરમીમાં અમદાવાદથી ન્હાવા આવેલા યુવકનું ડૂબી જતાં મોત નિપજ્યું હતું. જોકે, તેને બચાવવા જતાં સ્થાનિક યુવકે પણ જીવ ગુમાવ્યો હતો. આણંદના ખાનપુર ગામ પાસેથી પસાર થતી મહીસાગર નદીમાં રવિવારના રોજ અમદાવાદ રહેતા નિખિલ અભય મરાઠી (ઉ.વ.19) તેના મિત્રો સ્થાને ન્હાવા આવ્યો હતો. મહી નદીમાં ન્હાતા સમયે અચાનક તે ઉંડા પાણીમાં ગરકાવ થવા લાગ્યો હતો. નિખિલ અચાનક ડૂબવા લાગતા તેણે બચાવવા બૂમાબૂમ કરી હતી.

આથી, ખાનપુરના જ મેહુલ પ્રભાતભાઈ ભોઇ (ઉ.વ.35)એ તેને બચાવવા પાણીમાં ઝંપલાવ્યું હતું. જોકે, હજુ કિનારા પર લોકો કંઇ સમજે તે પહેલા બન્ને યુવાનો પાણી ગરકાવ થઇ ગયાં હતાં. આ ઘટના સંદર્ભે સ્થાનીકો એકત્ર થયા હતા અને તાત્કાલિક ખંભોળજ પોલીસને જાણ કરતાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.જી. ચૌધરી સહિતની ટીમ સ્થળ પર પહોંચી હતી અને તરવૈયાની મદદથી શોધખોળ હાથ ધરી હતી. જેમાં બન્ને યુવાનોના મૃતદેહ મળ્યાં હતાં. બન્ને યુવાનોના પરિવારજનો ઘટના સ્થળે પહોંચ્યાં હતાં અને લાશ જોઇ પડી ભાંગ્યાં હતાં.

Most Popular

To Top