Business

આજે ધનતેરસ, જાણો પૂજાનો શુભ સમય અને વિધિ

નવી દિલ્હી: ધનતેરસ (Dhanteras) સમગ્ર દેશમાં ખૂબ જ ઉત્સાહ અને આનંદ સાથે ઉજવવામાં આવે છે. આ શુભ દિવસે લોકો ભગવાન કુબેર, ભગવાન ધન્વંતરી અને દેવી લક્ષ્મીની પૂજા કરે છે. ઘરની બહાર દીવા અને મીણબત્તીઓ પ્રગટાવે છે. દર વર્ષે દિવાળીના બે દિવસ પહેલા ધનતેરસ ઉજવવામાં આવે છે.

હિંદુ કેલેન્ડર મુજબ ધનતેરસનો તહેવાર કારતક મહિનામાં કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિએ ઉજવવામાં આવે છે. આ વખતે ધનત્રયોદશી આજે એટલે કે 10 નવેમ્બરે ઉજવવામાં આવી રહી છે. ધનતેરસના દિવસે નવા વાસણો, સોના-ચાંદીના આભૂષણોની ખરીદી કરવી શુભ માનવામાં આવે છે.

આ વખતે ધનતેરસની ત્રયોદશી તિથિ 10 નવેમ્બર એટલે કે આજે બપોરે 12.35 કલાકે શરૂ થઈ રહી છે અને આ તિથિ 11મી નવેમ્બરે એટલે કે આવતીકાલે બપોરે 1.57 કલાકે પૂરી થશે.

ધનતેરસ 2023 પૂજન મુહૂર્ત
આજે ધનતેરસની પૂજાનો સમય સાંજે 5:47 થી 7:43 સુધીનો રહેશે. જેનો સમયગાળો 1 કલાક 56 મિનિટનો રહેશે. જ્યારે પ્રદોષ કાળ સાંજે 05:30 થી શરૂ થઈને 08:08 સુધી ચાલુ રહેશે.

ખરીદી માટે ધનતેરસ 2023 શુભ મુહૂર્ત
અભિજીત મુહૂર્ત- 10મી નવેમ્બર એટલે કે આજે ધનતેરસના દિવસે સવારે 11.43 થી 12.26 સુધી. આ સૌથી શુભ મુહૂર્ત છે. શુભ ચોઘડિયા- ખરીદી માટેનો બીજો સમય સવારે 11:59 થી બપોરે 1:22 સુધીનો છે. ચલ ચોઘડિયા- ખરીદી માટેનો ત્રીજો શુભ સમય આજે સાંજે 4.07 થી 5:30 સુધીનો રહેશે.

ધનતેરસ પૂજનવિધિ
ધનતેરસના દિવસે સાંજે ઉત્તર દિશા તરફ કુબેર અને ધન્વંતરીની સ્થાપના કરવી જોઈએ. બંનેની સામે એક-એક મુખવાળો ઘીનો દીવો પ્રગટાવવો. ભગવાન કુબેરને સફેદ મીઠાઈ અને ધન્વંતરીને પીળી મીઠાઈ અર્પણ કરવામાં આવે છે. પૂજા દરમિયાન “ઓમ હ્રીં કુબેરાય નમઃ” નો જાપ કરો. આ પછી “ધન્વંતરી સ્તોત્ર” નો પાઠ કરો. પૂજા પછી કુબેરને ધન સ્થાન પર અને ધન્વંતરીને દિવાળી પર પૂજા સ્થાન પર સ્થાપિત કરો.

ધનતેરસ પર દીવાનું દાન કરવાનું મહત્વ
ધનતેરસના દિવસે દીવાનું દાન કરવામાં આવે છે. કહેવાય છે કે ધનતેરસના દિવસે જે ઘરમાં યમરાજને દીવો દાન કરવામાં આવે છે ત્યાં અકાળે મૃત્યુ નથી થતું. ધનતેરસની સાંજે મુખ્ય દ્વાર પર 13 દીવા પ્રગટાવવા જોઈએ અને ઘરની અંદર માત્ર 13 દીવા જ પ્રગટાવવા જોઈએ. આ દિવસે રાત્રે સૂતા પહેલા મુખ્ય દીવો પ્રગટાવવામાં આવે છે. આ દીવાને પ્રગટાવવા માટે જૂના દીવાનો ઉપયોગ કરવામાં આવે છે. આ દીવો ઘરની બહાર દક્ષિણ તરફ મુખ કરીને પ્રગટાવવો જોઈએ. વાસ્તવમાં દક્ષિણ દિશાને યમની દિશા માનવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે આ દિવસે ઘરમાં દીવો પ્રગટાવવાથી તમામ નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે.

ધનતેરસની પૌરાણિક કથા
એક દંતકથા અનુસાર કારતક કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિએ જ્યારે ધનવંતરી સમુદ્ર મંથનમાંથી બહાર આવ્યા ત્યારે તેમના હાથમાં અમૃતથી ભરેલો ઘડો હતો. ભગવાન ધન્વંતરિ કલશ સાથે પ્રગટ થયા હતા. કહેવાય છે કે ત્યારથી ધનતેરસની ઉજવણી થવા લાગી. ધનતેરસના દિવસે વાસણો ખરીદવાની પણ પરંપરા છે. એવું માનવામાં આવે છે કે તે સારા નસીબ, સમૃદ્ધિ અને આરોગ્ય લાવે છે. ધનતેરસના દિવસે ધનના દેવતા કુબેરની વિધિ-વિધાનથી પૂજા કરવામાં આવે છે.

Most Popular

To Top