SURAT

ઠગ ભૂવાએ રૂપિયાની સાથે સુરતની પરિણીતાની ઈજ્જત પણ લૂંટી

સુરત: તાંત્રિક વિદ્યાના રવાડે ચઢેલી સરથાણાની પરિણીતાએ રૂપિયાની સાથે ઈજ્જત પણ ગુમાવી છે. ઠગ ભૂવાએ પોતાની પત્ની સાથે મળી પરિણીતાના રૂપિયા 14 લાખ લૂંટી લીધા છે. એટલું જ નહીં છેલ્લા બે વર્ષ દરમિયાન અવારનવાર પરિણીતા સાથે દુષ્કર્મ પણ કર્યું હતું. ભુવાએ રૂપિયા અને ઇજ્જત બંને લૂંટી હોવાનું ભાન થતાં આખરે પરિણીતાએ ભૂવા વિરુદ્ધ પોલીસને ફરિયાદ કરી છે.

  • સુરતમાં ભૂવાએ તાંત્રિક વિધિના બહાને પરિણીતા પર બળાત્કાર ગુજારી 14 લાખ પડાવ્યા
  • ઠગ ભુવાની પત્ની પણ માતાજી તરીકે રૂપ લઇ પતિને મદદ કરતી

પ્રાપ્ત માહિતી અનુસાર સરથાણાના પ્રમુખ પાર્ક સોસાયટીમાં રહેતા ભૂવાએ તાંત્રિક વિદ્યાના બહાને પરિણીતાને ફસાવી હતી. મહિલા પાસેથી બે વર્ષમાં ટુકડે ટુકડે 14 લાખ પડાવી લીધા હતા. એટલું જ નહીં પરિણીતા પર અનેકોવાર બળાત્કાર પણ ગુજાર્યો હતો. ભૂવાની પત્ની પણ માતાજીનું રૂપ ધારણ કરી લંપટ પતિને સાથ આપતી હતી.

પરિણીતા પરિવારની આર્થિક પરિસ્થિતિ સુધારવા ભૂવાને રવાડે ચઢી હતી
સરથાણામાં રહેતી પરિણીતાના પરિવારની આર્થિક પરિસ્થિતિ સારી ન હતી. તેથી તે પ્રમુખ પાર્ક સોસાયટીમાં મકાન નંબર 283માં રહેતા અને તાંત્રિક વિદ્યા કરતા કનુ ઉર્ફે કલ્પેશ કોરાટ પાસે ઉપાય માટે ગઈ હતી. અહીં કલ્પેશ બાપુ તરીકે તાંત્રિક વિધિ કરતો જ્યારે તેની પત્ની હેતલબા મંદિરમાં માતાજી તરીકે બિરાજતા હતા.

તમારા વતનના મકાનમાં માયા છે, કહી ફસાવી
પરિણીતાએ પરિવારની સ્થિતિ વિશે જણાવતા ઠગ ભૂવાએ દર મંગળવારે દર્શન કરવા આવવા કહ્યું હતું. તેથી પરિણીતા દર મંગળવારે દર્શન માટે જતી હતી. એકવાર ઠગ ભૂવાએ પરિણીતાને કહ્યું કે, તમારા વતનમાં આવેલ જુના મકાનમાં માયા છે. જે કાઢવા વિધિ કરવી પડશે. લાંબા ટૂંકા પૈસાની જરૂર પડશે તેમ કહીને મંદિરના માતાજી હેતલબા તથા બાપુએ પરણીતાને ફસાવી હતી. પરિવારની સ્થિતિ નબળી હોવા છતાં પરિણીતા રૂપિયા આપવા તૈયાર થઈ હતી. બે વર્ષમાં ભૂવા અને તેની પત્નીએ ટુકડે ટુકડે રૂપિયા 14 લાખ જેટલી રકમ પરિણીતા પાસે પડાવી હતી.

મઢનો દરવાજો અંદરથી બંધ કરી ધ્યાનમાં બેસાડતો અને..
ઠગ ભૂવો વિધિ કરવાના બહાને પરિણીતાને પોતાના ઘરે મંદિરના મઢમાં બોલાવતો હતો. પરિણીતા અંદર આવે ત્યાર બાદ મઢનો દરવાજો અંદરથી બંધ કરી દેતો હતો. પરિણીતાને ધ્યાનમાં બેસાડતો. લીંબુ-મરચાં તેના ઉપરથી ઉતારતો, ત્યારે આખો બંધ રાખવા કહેતો હતો. ત્યાર બાદ ભૂવો હું કહું તેમ કરવાનું છે નહીં તો માયાની પ્રાપ્તિ નહીં થાય તેવું કહી પરીણીતાના કપડા ઉતારતો હતો. પરિણીતા ના પાડે તો આંખો કેમ ખોલી તેમ કહી જમીન પર સુવડાવી દઈ પરિણીતાને માર મારતો હતો. ત્યાર બાદ બળજબરીપૂર્વક બળાત્કાર ગુજાર્યો હતો.

કળશમાંથી હીરા મોતી નીકળશે એવું કહી લલચાવી હતી
ઠગ ભૂવાએ તાંત્રિક વિધિ કર્યા બાદ પરિણીતાને એક તાંબાના કળશ ઉપર કપડું બાંધી આપ્યું હતું. આ કળશ ઘરમાં રાખવા સૂચના આપી હતી. થોડા સમય બાદ તેમાંથી હીરા મોતી નીકળશે એમ કહી લાલચ આપી હતી. ખરેખર તો ઠગ ભૂવાએ કળશની અંદર પથ્થર ભરીને પરણીતાને આપી દીધા હતા. બાદમાં પરણીતાએ ઘરે કપડું ખોલતા તેની સાથે છેતરપિંડી થઇ હોવાની જાણ થઈ હતી.

Most Popular

To Top