Comments

સામી ચૂંટણીની અસર: રાજ્યમાં જ્ઞાતિઓ તાણે ગામ ભણી ને કર્મચારી યુનિયનો તાણે સીમ ભણીની સ્થિતી

ગુજરાતમાં રાજકીય મોરચે ભાજપની આજકાલ મોટી પનોતી બેઠી છે. પનોતી એટલા માટે કહી શકાય કે માથે ચૂંટણી છે અ્ને ચૂંટણીમાં સરકાર કોઈને નારાજ કરવા માંગતી નહીં હોવાથી દરેક સરકારનું નાક દબાવી રહ્યા છે કે ચૂંટણી છે તો સરકાર જેટલું આપે તેટલું તેની પાસેથી કઢાવી લઈએ. આ કારણે જ સરકારને સામી ચૂંટણીએ કંઇક કર્મચારી યુનિયનો માગણીઓની બતાવીને બીવડાવી રહ્યા છે. જુદાં જુદાં 18 જેટલાં ચાલી રહેલાં આંદોલનો વર્તમાન રાજ્ય સરકારની કસોટી કરી રહ્યા છે. બીજી તરફ હાઇ કોર્ટના સીધા હુકમ છતાં સરકારે ઢોર નિયંત્રક વિધેયકને પરત ખેંચવું પડ્યું છે. તે પણ ચૂંટણીની જ બલિહારી છે.

ખરેખર સરકારે કડક હાથે કામ લેવું જોઈએ, આંદોલનો થયા કરે. જેની માંગણી ખરેખર વ્યાજબી હોય તો તેની માંગણી સ્વીકારી લેવી જોઈએ અ્ને જેની માંગણી ગેરવ્યાજબી હોય તેને સીધા શબ્દોમાં કહી દેવું જોઈએ. ભૂતકાળમાં જ્યારે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે અ્નેક આંદોલનોને તેમણે કડકાઈથી કચડી નાખ્યાં હતાં. ત્યાં સુધી કે કેટલાક આંદોલનો દિવસો સુધી ચાલ્યા હતાં પરંતુ નરેન્દ્ર મોદી ટસના મસ થયા નહોતાં.

જોકે, હાલની સરકારને ડર છે કે ક્યાં લોકો નારાજ નહીં થાય અને તેને કારણે જ આંદોલનકારીઓ નાક દબાવી રહ્યા છે. ગાય કે ભેંસની ખૂબ જહેમતને અંતે ઉત્પન્ન થતું દૂધ વહેલી પરોઢે સુરતના તાપી પુલ પર ખટારા રોકી રોકીને સીધું તાપી નદીમાં ફેંકી દેવામાં આવે તે કમનસીબ છે. ઢોળી દઇને વેડફેલું દૂધ ગરીબોને, અનાથ બાળકોને, બાપડાં કૂતરાંને કે જરૂરિયાતમંદોને આપી દેવાયું હોત તો હડતાળનો ઇરાદો કંઇક વજૂદવાળો જણાત, પરંતુ આમ પરપીડનવૃત્તિનું પ્રદર્શન તેના કર્તાહર્તા, પ્રયોજનકર્તાઓને કોઇ કાળે શોભતું નથી.

ગુજરાતમાં સામી ચૂંટણીએ આ બધું શું થવા બેઠું છે। વોટબેંકના કારણો આગળ ધરીને એક કર્મચારી યુનિયનને મનાવે-પટાવે ત્યાં બીજું ઊભું થઇ જાય છે. સરકાર પાસે જનસંપર્ક જેવું કંઇ નથી. ફલાણું યુનિયન આંદોલન કરવાનું છે કે ઢીંકણો જ્ઞાતિસમુદાય સરકાર સામે માથું ઊંચકી રહ્યો છે એવી પ્રકારની કોઇ આગોતરી જાણકારી પણ સરકારને મળી રહી નથી. સરકારવિરોધી ગતિવિધિઓની આગોતરી જાણ ન થાય એ સરકાર માટે નુકસાનકારક બની રહેતી હોય છે. ભૂતકાળમાં કેશુભાઇ પટેલની ભાજપ સરકાર સામે શંકરસિંહ વાઘેલાએ બળવો કર્યો હતો ત્યારે એ સરકારને એની કોઇ આગોતરી જાણ થઇ શકી નહોતી. એથી ઉલટાનું નરેન્દ્ર મોદીના આવ્યા બાદ માજી સાંસદ ડો. એ.કે. પટેલના નેતૃત્વમાં આવા પ્રકારનો થોડો સળવળાટ થયો હતો, પણ એ ચતુર નરેન્દ્રભાઇની ચબરાક નજરોમાં પ્રિમેચ્યોર હાલતમાં જ પકડાઇ જતાં તેનું સુરસુરિયું થઇ ગયું હતું.

પડદા પાછળ સામી ચૂંટણીએ ઘણું રંધાઈ રહ્યું છે. એમાં પ્રજાનું તો નુકસાન થાય છે જ, પણ ભાજપનું પણ નુકસાન થઈ રહ્યું છે. રાજ્યનો માલધારી સમાજ, ઉત્તર ગુજરાતનો ચૌધરી સમાજ, સૌરાષ્ટ્રનો કોળી સમાજ વગેરે સહિત અનેક સમાજો સરકારની સામે પડ્યા છે. ભૂતકાળમાં પાટીદાર આંદોલન વખતે સુરત સહિત અને પાટીદારબહુલ વિસ્તારોમાં ભાજપ વિરોધી બેનર લાગ્યા હતાં પરંતુ 2017 ની રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં મોદી સાહેબ અને અમિતભાઇની મહેનતથી મારા ભાઇ, બધું સમુંસૂતરું પાર પડી ગયું હતું.

ગયા ગુરુવારે રાજ્ય વિધાનસભાનું બે દિવસનું છેલ્લું સત્ર પૂરું થયું, તેમાં બંનેય દિવસોએ ભાજપના જ સિનિયર ધારાસભ્યો (જુની સરકારના કે પડતા મૂકાયેલા મંત્રીઓ) સ્થિતપ્રજ્ઞ બનીને કોંગ્રેસ દ્વારા ભૂપેન્દ્રભાઇની સરકારને ભીંસમાં લેવાના વિપક્ષોના પ્રયાસોને જોઇ રહ્યા. એમણે અગાઉની જેમ સંકટમોચક બનીને કૂદી પડવાની કોઇ ચેષ્ટા સુદ્ધાં ન કરી. એ સૌ જૂના જોગીઓને જાણ છે કે નવેમ્બર કે ડિસેમ્બરમાં યોજાનારી ચૂંટણીમાં હવે અમને ટિકિટ મળવાની નથી જ નથી. 

ચૂંટણી સામી હોવાથી બધાને લાભ જોઈએ છે. જેને કારણે તમામ જ્ઞાતિસમુદાયો નારાજગી બતાવી રહ્યા છે. જેમાં વેપારી વર્ગ, ડોક્ટરો, ઉદ્યોગકારોનો સમાવેશ થાય છે. બીજી તરફ મોંઘવારીએ ખતમ કરવા માંડ્યું છે. જીવનજરૂરી ચીજવસ્તુઓમાં તોતિંગ ભાવવધારો પ્રજાને બરાબર પરેશાન કરી રહ્યો છે. આની સામે બજારોમાં તો ખરીદી વધતી જાય છે એવું કહેનારાઓ બાપડા ગ્રાહકોની મજબૂરીને કન્સિડર કર્યા વિના દલીલો કરતા ફરે છે. લોકોની ખરીદશક્તિ ઘટી ગઇ છે. આવક વધે તો ખરીદે ને। સિંગતેલનો 15-16 કિલોનો ડબો ત્રણ હજાર રૂપિયે વેચાય છે.

આ તો એક માત્ર ઉદાહરણ છે. કઇ વસ્તુ સસ્તી થઇ છે। રાષ્ટ્રીય પ્રમુખ વિનાની કોંગ્રેસ પણ રાજ્ય સરકારની પોલી કે નબળી બાજુને પારખી જઇને તેના મર્મ પર ઘા કરી રહી છે. તેનો જવાબ વાળી શકે એવી પણ રાજ્ય સરકારની હાલત રહી નથી. નરેન્દ્રભાઇએ જૂની સરકારના બધ્ધે બધ્ધા મંત્રીઓની નોકરી લઇ લીધી ને નવા બિનઅનુભવીઓને સામી ચૂંટણીએ રાજ્યની બાગડોર સોંપી દીધી, તેનાથી ભાજપને આજકાલ ભારે મોટું નુકસાન થઇ રહ્યું છે. જૂના જોગીઓ દ્વારા જ આજકાલ આ સઘળી ગરબડો, આંદોલનો, ચડામણીઓ અને માર્ગદર્શનો અપાઇ રહ્યાં હોવાનું લાગ્યા વિના રહેતું નથી. નજીકના ભવિષ્યમાં કોઇ ચમત્કાર થાય તો જ ભાજપને હવે ફાયદો થઇ શકે એવી સ્થિતિ છે. એ ફાયદો કેવી રીતે કરાવવો એની ચાવી જેમના હાથમાં છે, એઓ બહુ ઝડપથી હવે એક્શન લે એ એમના પોતાના હિતમાં પણ છે.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top