Madhya Gujarat

નડિયાદ ખાતે કૅથલિક કબ્રસ્તાનમાં મૃતકોના તહેવારની ઉજવણી કરાઇ

આણંદ: નડિયાદ સ્થિત કૅથલિક કબ્રસ્તાન “અંતિમ વિસામો” ખાતે કેથોલિક શ્રદ્ધાળુઓના મૂયેલાઓના તહેવારની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.જેમાં અમદાવાદ ધર્મ પ્રાંતના ધર્માધ્યક્ષ રત્ના સ્વામીના હસ્તે પરમ પૂજા અર્પણ કરવામાં આવી હતી. સેન્ટ એન ફેમિલી (SAF) દ્વારા તમામ માટે આશરે બસો કિલો જેટલા ફૂલ સદ્દગત સ્વજનોની કબર ઉપર મુકવા માટે ફ્રીમાં આપવામાં આવ્યા હતા. શ્રદ્ધાળુઓની ભાગીદારીએ પર્વને અતિભવ્ય અને પ્રાર્થનામય બનાવ્યું હતું.

નડિયાદ સ્થિત કેથલિક કબ્રસ્તાન અંતિમ વિસામોમાં કેથલિક શ્રદ્ધાળુઓ દ્વારા મૂયેલાઓના તહેવારની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.જેમાં કબ્રસ્તાનના ગેટ પાસેથી સરઘસ સ્વરૂપે શરૂ થયેલી પ્રાર્થનામય ઉજવણી, પરમ પૂજા, સદગતની કબરોના આશીર્વાદ, કબ્રસ્તાનના પ્રભુ મંદિરનામાંની નવી વેદીનું લોકાર્પણ, વાર્ષિક ચતુર્થ અંકનું વિમોચન અને ઉપસ્થિત પુરોહિતોના સન્માન સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું. ધર્માધ્યક્ષ રત્ના સ્વામીએ તેમના સંદેશમાં શ્રદ્ધાળુઓને મૃત્યુની અનિવાર્યતા સમજાવી હતી. દુન્યવી જીવનમાં ઈસુના પગલે ચાલીને અનંત જીવનના સહભાગી બનવા અદનામાં અદના માનવી સાથે પ્રેમપૂર્વક વર્તવા, મદદરૂપ થવા અને માનવસેવા કરવાની હાકલ કરી હતી.

આ કાર્યક્રમમાં ફાધર ટોનીએ જણાવ્યું હતું કે,સ્વચ્છ, સુઘડ અને પર્યાવરણની સાચવણી સાથેનું કબ્રસ્તાન એટલે નડિયાદનું “અંતિમ વિસામો” છે તેના સંચાલક કાંતિભાઈ અને ટિમ અભિનંદનને પાત્ર છે. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કાંતિભાઈ, અનિલ રોન્ઝા, સુરેશભાઈ, આલ્ફોન્સભાઈ, કબ્રસ્તાન કમિટી, રેવ. ફાધર રમેશ મેકવાન, રેવ. ફા. ટોની અને રેવ. ફા. જોસ્ટન અને મદદરૂપ થનાર અન્ય પુરોહિતો અને સાધ્વી બહેનોનો દ્વારા કરવામાં આવ્યું હતું.

Most Popular

To Top