Madhya Gujarat

ચરોતરમાં આવનારું વર્ષ વીસ આની રહેશે

ઉમરેઠ : ઉમરેઠ સ્થિત ઐતિહાસિક મહાદેવજીના મંદિરમાં દર વરસે અષાઢ વદ એકમના રોજ અષાઢી તોલવામાં આવી છે. આ પરંપરાગત પ્રથાના અંતે આવનારૂ વર્ષ કેવું રહેશે ? તેનો વર્તારો આપવામાં આવે છે. જે પ્રથા અંતર્ગત મંગળવારના રોજ અષાઢી તોલવામાં આવી હતી. જેમાં આવનારું વર્ષ વીસ આની રહેવાનો વર્તારો કરવામાં આવ્યો છે અને દરેક પાક ખૂબ જ સારો થશે. ખાસ કરીને તલ, મગ અને ઘઉં વધારે હોવાથી શિયાળુ પાક ખૂબ જ ઉત્તમ રહેશે.

ઉમરેઠના મહાદેવજીના મંદિરમાં વર્ષો જુની પરંપરાગત અષાઢી મંગળવારના રોજ તોલવામાં આવી હતી. આ અષાઢીના વર્તારા પ્રમાણે અવનારું વર્ષ વીસ આના રહેશે. એટલે કે ખૂબ જ સારુ રહેશે. દરેક પાક ખૂબ જ સારો થશે. ખાસ કરીને તલ, મગ અને ઘઉં વધારે હોવાથી શિયાળુ પાક ખૂબ જ સારો રહેશે. જ્યારે મગ તથા ડાંગરનું પ્રમાણ વધારે જ્યારે બાજરી ઓછી હોવાથી તેને આધારીત વરસાદ પાછોતરો વિપુલ માત્રમાં રહેશે. આ પ્રસંગે જિલ્લાના નાયબ પોલીસ અધિક્ષક જે. જે. ચૌધરી, એડવોકેટ કેતન પટેલ, સુરેશ મહેતા તથા ઉમરેઠના અગ્રણી વેપારી વર્ગ તથા મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યાં હતાં.

ઉમરેઠએ અતિપ્રાચીન નગરી છે, ભારતમાં તે છોટે કાશી તરીકે જગપ્રસિદ્ધ છે. સમગ્ર ભારતમાં માત્ર કાશી અને આજ શિવાલયમાં ઐતિહાસિક આષાઢી તોલવાની પરંપરા છે. છેલ્લા ઘણા વર્ષોથી માત્ર અહીં જ આષાઢી તોલાય છે. ગુરુપૂણિઁમાના દિવસે દસ ધાન્ય જેમાં મગ, ડાંગર, જુવાર, ઘઉં, તલ, અડદ, કપાસ, ચણા, બાજરી અને માટી સહિત એક એક તોલો તોલી પંચ સમક્ષ કોરા કપડાંમાં બાંધી માટીના ઘડામાં નિજમંદિરના ગોખમાં મુકવામાં આવે છે. બીજા દિવસે સવારે એટલે કે અષાઢ સુદ એકમના દિવસે આ ધાન્ય ફરી તોલવામાં આવે છે અને તેમાં વધઘટ થઈ જાય છે. આ થતી વધઘટ ઉપરથી ખેડૂતો સમગ્ર વર્ષ દરમ્યાન ખેતી કરતા હોય છે. આ વર્તારાને આષાઢી કહેવાય છે. અષાઢી તોલવા દરમિયાન જે ધાન્યમાં વધારો થયો હોય તે પાક વધારે ઉપજે છે. તેમજ જે ધાન્યમાં ઘટાડો જોવા મળ્યો હોય તે પાકનું ઉત્પાદન વર્ષ દરમિયાન ખુબ જ ઓછું થતું હોય છે. ધાન્યમાં જોવા મળતી વધ-ઘટ પરથી ખેડુતો કયાં પાકની ખેતી કરવી તેનો અંદાજો લગાવે છે. આમ, ચરોતર વિસ્તાર ઉપરાંત આસપાસના જિલ્લાના ખેડુતો ઉમરેઠમાં બિરાજમાન શ્રી ચંદ્રમૌલેશ્વર મહાદેવજીમાં વિશેષ આસ્થા ધરાવે છે.

Most Popular

To Top