Madhya Gujarat

ટીમ નિર્માણ – નેતૃત્વ દ્વારા કારકિર્દી ઘડવી જોઈએ : ડો. સંજય જૈન

આણંદ : ચાંગા સ્થિત ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ચારુસેટ) સંલગ્ન રમણભાઈ પટેલ કોલેજ ઓફ ફાર્મસીનો 19મો વાર્ષિકોત્સવ ઉજવવામાં આવ્યો હતો. આ વાર્ષિકોત્સવના મુખ્ય મહેમાન તરીકે એમનીલ ફાર્માસ્યુટિકલ્સ, અમદાવાદના પ્રેસિડન્ટ (ઈન્ડિયા ઓપરેશન્સ) ડો. સંજય જૈનને આમંત્રિત કરવામાં આવ્યા હતા. તેઓએ વાર્ષિકોત્સવમાં માતૃસંસ્થા, કેળવણી મંડળ- સીએચઆરએફના મંત્રી ડો. એમ. સી. પટેલ, ચારુસેટના એડવાઇઝર ડો. બી. જી. પટેલ, યુ.કે.ના વિખ્યાત ફાર્માસિસ્ટ કમલેશભાઈ પટેલ, વિવિધ ફેકલ્ટી સભ્યો, વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે મુખ્ય મહેમાન ડો. સંજય જૈને ફાર્મસીના વિદ્યાર્થીઓની ફાર્મા-ઉદ્યોગમાં તકો અને કારકિર્દી વિશે વાત કરી હતી. તેમણે વિદ્યાર્થીઓને ટીમ નિર્માણ, નેતૃત્વ દ્વારા તેમની કારકિર્દી ઘડવાની સલાહ આપી હતી અને ફાર્મા ક્ષેત્રના વૈવિધ્યસભર ક્ષેત્રોમાં ચપળતા શીખવાના મહત્વ વિશે ધ્યાન દોર્યું હતું અને કાર્યની ગુણવત્તા સાથે ઉત્કૃષ્ટ દેખાવ કરવા અનુરોધ કર્યો હતો. તેઓએ ચારુસેટને C- કોમ્પ્લિયન્સ, H-ઓનેસ્ટી, A-એટીટ્યુડ R- રિસોલ્વીંગ, U- અંડર સ્ટેન્ડ , S- સિમ્પ્લીફાય, A-એકાઉન્ટીબિલિટી અને T- ટ્રસ્ટવર્ધી તરીકે વર્ણવ્યું હતું. અંતે તેમણે યુનિવર્સિટી અને સંસ્થાના વિઝન અને વિકાસ માટે ચારુસેટને શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.

ફેકલ્ટી ઓફ ફાર્મસીના ડીન ડો. સમીર પટેલે મહેમાનોનો પરિચય આપ્યો હતો, આરપીસીપીના પ્રિન્સિપાલ ડો. મનન રાવલે આરપીસીપી કોલેજનો વાર્ષિક અહેવાલ રજૂ કર્યો હતો. આ અહેવાલમાં અભ્યાસક્રમ, સહ-અભ્યાસિક, અભ્યાસેત્તર પ્રવૃત્તિઓ તેમજ સંશોધનમાં વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સભ્યોની સિદ્ધિઓને આવરી લેવામાં આવી હતી. આ પ્રસંગે વિદ્યાર્થીઓને શૈક્ષણિક અને સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓમાં સિદ્ધિઓ બદલ અભિનંદન આપવામાં આવ્યા હતા. ડો. એમ. સી. પટેલ, ડો. બી. જી. પટેલ અને કમલેશ પટેલે RPCP – સ્ટાફ અને વિદ્યાર્થીઓને તેમની સિદ્ધિઓ બદલ અભિનંદન અને આશીર્વાદ આપ્યા હતા.

Most Popular

To Top