uncategorized

‘ઇસ બાર તો બચ ગયા, દુસરી બાર પંગા લિયા તો જાન સે માર દેંગે’- સુરતમાં તલવારથી હુમલો

સુરત: (Surat) વડોદ ખાતે રહેતો યુવક પત્ની સાથે ગણેશજી વિસર્જન કરીને ઘરે જતો હતો. ત્યારે મહિલાનો વિડીયો (Video) ઉતારનાર બે જણાને ટોકતા બંનેએ ગાળાગાળી કરી ત્યાંથી જતા રહ્યા હતા. બાદમાં ઘરે જઈને મહિલાના પતિ (Husband) પર તલવાર (Sword) વડે હુમલો કર્યો હતો. પાંડેસરા વડોદ ખાતે રહેતો 32 વર્ષીય મનોજ રામકિશોર ચૌરસીયા મુળ છતરપુર મધ્યપ્રદેશનો વતની છે. તે લુમ્સના કારખાનામાં મજુરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.

  • મહિલા ભેસ્તાન કૃત્રિમ તળાવમાં મૂર્તિ વિસર્જન કરીને પતિ સાથે ઘરે જતી હતી
  • બે જણાએ વિડીયો ઉતારતા મહિલાએ ના પાડતા ગાળાગાળી કરી ઘરે જઈને હુમલો કર્યો
  • વડોદમાં મહિલાનો વિડીયો ઉતારવા મુદ્દે બોલાચાલી બાદ પતિ ઉપર તલવાર વડે હૂમલો

તેણે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં કમલેશ ઉર્ફે તોતા (રહે-ભગવતીનગર વડોદ પાંડેસરા), ચંદન પાસી (રહે. શાસ્ત્રીનગર વડોદ) તથા અમરીશ ઉર્ફે ટકલા વિશ્વકર્મા (રહે. ભગવતીનગર વડોદ) ની સામે ફરિયાદ નોંધાવી હતી. 9 તારીખે બપોરે મનોજભાઈ તેના પરિવાર સાથે ઘરમાં સ્થાપિત કરેલા ગણેશજીની પ્રતિમા લઈને ભેસ્તાન કૃત્રિમ તળાવ ઉપર ગયા હતા. વિસર્જન કરીને પરત આવતી વખતે રસ્તામાં કમલેશ અને અમરીશ મનોજભાઈની પત્નીનો વિડીયો લેતા હતા. જેથી મનોજભાઈની પત્નીએ વિડીયો બનાવવાની ના પાડતા બંનેએ ઉશ્કેરાઈ ગાળાગાળી કરી હતી.

જેથી તેમને સમજાવતા બંને ત્યાંથી નીકળી ગયા હતા. સાંજે મનોજભાઈ તેમના ઘરે હતા ત્યારે મંગલેશ, અમરીશ અને ચંદને ઘરની બહાર આવીને ગાળાગાળી કરી હતી. ચંદને તેની પાસેની તલવાર વડે મનોજભાઈને માથામાં ઘા મારી દીધો હતો. બીજા બંનેએ પણ લાકડાના ફટકા અને સળીયા વડે માર માર્યો હતો. મનોજભાઈની પત્ની અને માતા વચ્ચે પડતા ત્રણેય જણા ‘ઇસ બાર તો તુ બચ ગયા દુસરી બાર હમારે સાથ પંગા લીયા તો જાન સે માર દે’ તેવી ધમકી આપી ભાગી ગયા હતા. પાંડેસરા પોલીસે આ અંગે ફરિયાદ દાખલ કરી વધારે તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top