Comments

નિવૃત્તિવય વધારવી જોઈએ કે નહીં?

સરકારી નોકરીમાં કર્મચારી માટે નિવૃત્તિની ઉંમર કેટલી હોવી જોઈએ? આ મુદ્દો અત્યારે ચર્ચાનો વિષય છે. આ પ્રશ્નનો જવાબ આવેલ છે. એક યુવાને જણાવ્યું કે જો મને નોકરી મળે તો નિવૃત્તિવય વધવી જોઈએ અને જો ન મળે! તો ઘટવી જોઈએ જેથી સૌ નિવૃત્ત થાય અને મને નોકરી મળે! જાહેર જીવનમાં નીતિવિષયક નિર્ણયો વ્યક્તિગત ચર્ચામાં પોત-પોતાના સ્વાર્થ મુજબ લેવાય પરંતુ સરકાર જયારે આવા નિર્ણય કરે ત્યારે તેણે બધાં પાસાં વિચારવાં જોઈએ.

ભારતમાં હાલ સરકારી કચેરીઓમાં કે સરકારની ગ્રાન્ટેડ સંસ્થાઓમાં નિવૃત્તિની ત્રણ વયમર્યાદા છે. ઘણાં રાજ્યોમાં રાજ્ય સરકારના કર્મચારીઓ માટે 58 વર્ષ નિવૃત્તિવય છે. કેન્દ્રમાં ઘણાની નિવૃત્તિ વય 60 છે. કોલેજઅધ્યાપકોમાં તે 62 વર્ષ છે અને હવે 65 વર્ષ કરવાની વાત ચાલે છે. યુનિવર્સિટી કર્મચારી અને પ્રોફેસરમાં ઘણી જગ્યાએ જૂના સૂચન મુજબ 65 વર્ષ નિવૃત્તિવય છે જ! વળી ગુજરાત સહિત ઘણાં રાજ્યોમાં છેલ્લાં દસ-બાર વર્ષથી નિવૃત્ત અધિકારીઓને સેવા નિવૃત્તિ પછી પણ પગાર-માઈનસ પેન્શન યોજના મુજબ વેતન ચૂકવીને કામે રખાય છે. જો કે નિવૃત્તિવય વધારવી કે નહીં તે ચર્ચા ઘણા સમયથી સરકારમાં વિવિધ તબક્કે ચાલે છે ત્યારે આપણે સમજીએ કે ખરેખર સ્થિતિ શું છે?

સૌ પ્રથમ તો નિવૃત્તિની ઉંમર નક્કી કરનાર મુખ્ય પરિબળ છે દેશનું સરેરાશ આયુષ્ય. ભારતમાં આયોજનકાળની શરૂઆતમાં દેશનું સરેરાશ આયુષ્ય 55 થી 59 વર્ષ હતું. એટલે શરૂઆતમાં સરકારી કર્મચારી માટે નિવૃત્તિવય 58 વર્ષ નક્કી થઇ. વળી શરૂઆતના વર્ષમાં શિક્ષણનું પ્રમાણ ઓછું. સરકારી નોકરીઓની શરૂઆત નિવૃત્તિ મેળવનારાની સંખ્યા જ નહીં! પરિણામે આ મુદ્દો ચર્ચામાં ન હતો. આયોજનના પ્રથમ તબક્કામાં નોકરીએ લાગ્યા તે બધા 1985 પછી નિવૃત્ત થવા લાગ્યા. અત્યાર સુધી તેઓ જનરલ  પ્રોવીડંડ ફંડમાં ફાળો આપનારા હતા. હવે તે જી.પી.એફ. ઉપાડનારા બન્યા અને પેન્શન મેળવનારા-માંગનારા બન્યા.

ભારતમાં 1991 સુધી સમાજવાદની છાયા હતી. મિશ્ર અર્થતંત્રમાં સરકારી ક્ષેત્ર જ રોજગારીનું મુખ્ય સેવાક્ષેત્ર હતું! 1991 પછી ખાનગીકરણ થયું. ખાનગી કંપનીઓએ સરકારનાં ઉચ્ચ પદો પરથી સેવા નિવૃત્તિ લોકોને નોકરી આપવા માંડી. ભારતમાં આરોગ્ય સુવિધાઓ વિકાસના કારણે મૃત્યુદર ઘટયો. તંદુરસ્તી વધી અને સરેરાશ આયુષ્ય વધ્યું. આજે તે 70 વર્ષ થવા જાય છે. હવે 58 વર્ષ નિવૃત્ત કર્મચારી 70 થી 80 વર્ષ જીવન છે માટે 22 વર્ષ પેન્શન મેળવે છે. અહીંથી વિચાર એ એવા છે કે આમને નિવૃત્ત કરીને પેન્શન આપવા કરતાં પગાર આપી કામ લેવું. દુનિયાના દેશમાં માણસ કામ કરી શકે ત્યાં સુધી નોકરી કરવા દો નો નિયમ અમલી થવા લાગ્યો છે. યુરોપના ઘણા દેશોમાં 72 વર્ષ સુધી લોકો સરકારી નોકરી કરે છે. કામ કરે છે.

હમણાં જ સ્ટેટ બેંકના અર્થશાખા વિભાગ તથા જનરલ પ્રોવિડન્ટ ફંડના અધિકારીઓએ કહ્યું છે કે આવનારાં ચાર વર્ષમાં દેશમાં સરાકારી નોકરીઓમાં નિવૃત્ત થનારાની સંખ્યા મોટી હશે! સ્વાભાવિક જ છે 1985 થી 1991-92માં નોકરીમાં જોડાયા છે બધા હવે 2025 થી 2036માં છૂટા થવાના. આ બધાને જનરલ પ્રોવિડન્ટ ફંડમાંથી નાણાં પાછાં આપવાનાં થાય !આટલું મોટું નાણાં ભંડોળ આપી દેવું તે કરતાં આમની નિવૃત્તિવય વધારી દેવી! તેનું સૂચન કરવામાં આવ્યું છે. વળી જેટલાં નિવૃત્ત થશે એટલાને પેન્શન તો આપવાનું જ છે! તો જીપીએફ ફંડ અને પેન્શનનો ખર્ચ આ બે હાલ પૂરતા મોકૂફ રાખવા માટે નિવૃત્તિ વય વધારવાની વાત ચાલે છે. એટલે સરેરાશ આયુષ્ય અને આ બે નાણાંકીય એમ ત્રણ પરિબળ નિવૃત્તિવય વધારવા તરફ દલીલ કરે છે.

બીજી બાજુ નિવૃત્તિવય વધારવાનો વિરોધ કરનારાની પ્રથમ દલીલ એ છે કે આનાથી બિનકાર્યક્ષમ સરકારી કર્મચારીનો બોજો બીજાં બે વર્ષ વધી જશે! ભારતના સરકારી ખાતાના અનુભવી લોકો કહે છે કે નિવૃત્તિનાં ચાર-પાંચ વર્ષ બાકી હોય ત્યારથી જ કર્મચારી માનિસક નિવૃત્ત થઇ જાય છે. વળી જુદા જુદા પ્રકારની રજાના નિયમોનો લાભ લઇ તે છેલ્લાં વર્ષો કામ વગર જ પગાર લે છે. માટે નિવૃત્તિવય વધવાથી થોડાક કાર્યાલય લોકોનો લાભ સરકારી ખાતાને મળે છે. પણ બીજા કાર્યક્ષમ લોકોની મોટી ફોજ માથે પડે છે. દુનિયામાં નિવૃત્તિની વય વધારવામાં આવી છે તે દેશોની વસ્તી એક કે બે કરોડ છે ત્યાં કામ કરનાર માણસો જ નથી. ભારતમાં તરવરિયા યુવાનો નોકરીની રાહમાં બેઠા છે. જો નિવૃત્તિવય વધારવામાં આવશે તો આ યુવાનોને વધારે થોડા સમય રાહ જોવાની છે.

અને જી.પી.એફ. કે પેન્શનનો તો રજૂ કરનાર આજના મોતને કાલ પર ઠેલે છે. જે ફંડ 2025માં આપવાનું છે તે 2027માં આપવાનું થાય તો સરકારના બોજામાં શું ફેર પડે! વળી પેન્શનનું પણ આવું જ છે. ખેર વાત તો એ છે કે જૂના તમામ કર્મચારીઓ સાતમા પગાર પંચનો છેલ્લો તબક્કો ભોગવી રહ્યા છે. તેઓ નિવૃત્ત થાય તો તેમને પેન્શન આવ્યા પછી જે પગાર બચે તેમાં સરકાર નવા યુવાનનો પગાર કરી શકે છે! નિવૃત્તિ વય વધારવાની ભલામણ કરનારા અંતે તો સરકારી કર્મચારીઓ જ હોય છે. સિનિયર અધિકારીઓ જ હોય છે. તેઓ પોતાના રીટાયરમેન્ટને પાછું ઠેલવા માંગતા હોય તેવું પણ બને, માટે સરકાર કોઇ પણ નિર્ણય કરે તે સમજી વિચારીને કરે તો સૌના હિતમાં હશે.  
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top