Gujarat

ધોરણ 1 થી 8ની બાળાઓનો ડ્રોપઆઉટ દર 22.8 ટકાથી ઘટીને 3.1 ટકા

ગાંધીનગર : ‘સૌ ભણે, ગણે અને આગળ વધે’ તથા સૌને શિક્ષણ (Education) મેળવવા માટે પ્રોત્સાહન મળે તેવા ઉમદા આશય સાથે તા.૧૨ થી ૧૪ જૂન દરમિયાન સમગ્ર રાજ્યમાં ૨૦મો શાળા પ્રવેશોત્સવ યોજાશે. આ શાળા પ્રવેશોત્સવનો (School entrance festival) રાજ્યવ્યાપી શુભારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કચ્છથી બાળકોને શાળામાં પ્રવેશ કરાવીને કરશે.

શાળા પ્રવેશોત્સવના પરિણામે ગુજરાતમાં શૈક્ષણિક ક્ષેત્રે પરિવર્તન આવ્યું છે. શાળા પ્રવેશોત્સવ શરુ થયો તે પહેલા વર્ષ ૨૦૦૨-૦૩માં ગુજરાતમાં નેટ એનરોલ્મેન્ટ રેટ એટલે કે, ધોરણ -૧માં વિદ્યાર્થીઓનો નામાંકન દર ૭૫.૦૫ ટકા હતો. ધોરણ-૧માં વિદ્યાર્થીઓના નામાંકન દરને ૧૦૦ ટકા સુધી પહોંચાડવા માટે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ શાળા પ્રવેશોત્સવની શરુઆત કરવામાં આવી હતી. જેના પરિણામે બીજા જ વર્ષે ૨૦૦૪-૦૫માં નામાંકન દર વધીને ૯૫.૬૪ ટકા થયો. ત્યારબાદ વર્ષ ૨૦૧૨-૧૩માં આ નામાંકન દર ૯૯.૨૫ ટકા સુધી પહોંચ્યો અને ત્યારથી અત્યારસુધી ધોરણ-૧માં વિદ્યાર્થીઓનો નામાંકન દર ૧૦૦ ટકાની નજીક જ રહ્યો છે.

એક સમય હતો જ્યારે અનેક બાળકો વિવિધ કારણોસર અભ્યાસ અધૂરો છોડતા હતા. વર્ષ ૨૦૦૪-૦૫માં રાજ્યમાં ધોરણ ૧ થી ૮ નો ડ્રોપઆઉટ રેટ ૧૮.૭૯ ટકા હતો, અને ધોરણ ૧ થી ૫ નો ડ્રોપઆઉટ રેટ ૧૦.૧૬ ટકા હતો. પરંતુ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અને રાજ્ય સરકારના વિવિધ પ્રયાસોના પરિણામે આજે અભ્યાસ અધૂરો છોડીને જતા બાળકોની સંખ્યામાં ધરખમ ઘટાડો આવ્યો છે. વર્ષ ૨૦૨૧-૨૨ સુધીમાં ધોરણ ૧ થી ૮માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો ડ્રોપઆઉટ રેટ ઘટીને ૨.૮૦ ટકા સુધી પહોંચ્યો હતો, જ્યારે ધોરણ ૧ થી ૫ નો ડ્રોપઆઉટ રેટ વર્ષ ૨૦૨૧-૨૨માં ઘટીને ૧.૨૩ ટકા સુધી પહોંચ્યો હતો.

વર્ષ ૨૦૦૪-૦૫ સુધી રાજ્યમાં કન્યાઓનો નામાંકન દર પણ ખૂબ જ ઓછો હતો, જેના પરિણામે શાળાના વર્ગોમાં કુમાર અને કન્યાના પ્રમાણમાં અસમાનતા જોવા મળતી હતી. આ સમસ્યાના સમાધાન માટે કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા શાળા પ્રવેશોત્સવની સાથે કન્યા કેળવણી મહોત્સવ અને ત્યારબાદ કન્યા કેળવણી નિધિ, વિદ્યાલક્ષ્મી બોન્ડ અને વિદ્યાદીપ જેવી અનેક યોજનાઓની શરૂઆત થઈ હતી. જેના પરિણામે કન્યાઓને શિક્ષણમાં પ્રોત્સાહન મળ્યું અને વર્ષ ૨૦૦૪-૦૫માં ધોરણ ૧ થી ૮ની કન્યાઓનો જે ડ્રોપઆઉટ રેટ ૨૨.૮ ટકા હતો, તે ઘટીને વર્ષ ૨૦૨૧-૨૨માં ૩.૦૧ ટકા સુધી પહોંચ્યો છે. ધોરણ ૧ થી ૫ નો ગર્લ ચાઈલ્ડ ડ્રોપઆઉટ રેટ ૧૧.૭૭ ટકાથી ઘટીને વર્ષ ૨૦૨૨ સુધીમાં ૧.૧૬ ટકાએ પહોંચ્યો છે.

ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવ ઉપરાંત શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે સ્વચ્છતાથી માંડીને માળખાગત અને અદ્યતન તકનીકી સુવિધામાં પણ અઢળક વધારો કરવામાં આવ્યો છે. વર્ષ ૨૦૦૧-૦૨માં સ્ટુડન્ટ ક્લાસરૂમ રેશિયો ૩૮:૧ એટલે કે સરેરાશ ૩૮ વિદ્યાર્થી દીઠ ૧ વર્ગખંડ ઉપલબ્ધ હતો. વર્ષ ૨૦૦૧ થી ૨૦૨૨ સુધીમાં સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં નવા ૧.૪૨ લાખ જેટલા વર્ગખંડોનું નિર્માણ કરવાથી આ રેશિયો ઘટીને વર્ષ ૨૦૨૧-૨૨માં ૨૬:૧ સુધી પહોંચ્યો હતો. આટલું જ નહિ, વર્ષ ૨૦૦૧-૦૨માં રાજ્યની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થી શિક્ષકનો ગુણોત્તર પણ ૪૦:૧ હતો, એટલે કે રાજ્યમાં પ્રતિ ૪૦ વિદ્યાર્થી માત્ર એક શિક્ષક ઉપલબ્ધ હતો. ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૦૧-૦૨ થી ૨૦૨૧-૨૨ના સમયગાળા દરમિયાન બે લાખથી વધુ શિક્ષકો અને મુખ્ય શિક્ષકોની ભરતી કરવામાં આવી હતી. જેના પરિણામે ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થી શિક્ષકનો ગુણોત્તર ૨૦૨૧-૨૨માં સુધરીને ૨૮:૧ થયો હતો.

Most Popular

To Top