SURAT

આખરે હાઈકોર્ટે રેમડેસિવિર કેસની સુનાવણી મુલતવી રાખી: સી.આર પાટીલના વકીલ પણ વ્યસ્ત

સુરતમાં 5000 રેમડેસિવિર ( REMDESIVIR ) ઇન્જેક્શન રાખવા મામલે પરેશ ધાનાણી ( PARESH DHANANI )એ સી.આર પાટીલ ( C R PATIL ) સામે હાઇકોર્ટ ( GUJRAT HIGHCOURT )માં અરજી કરી હતી, ગુજરાત હાઇકોર્ટેમાં આ મામલે બુધવારે સુનાવણી હાથ ધરાવવાની હતી, પરંતુ સી.આર પાટીલના વકીલ અન્ય કેસમાં વ્યસ્ત હોવાથી કાર્યવાહી ન થઈ શકી. જેથી હવે આગામી 4 ઓક્ટોબરે કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

મહત્વની વાત છે કે ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી દ્વારા રેમડેસિવિર ઇન્જેક્શન મામલે જાહેર હિતની અરજી કરાઈ હતી. જેમાં પરેશ ધાનાણીની અરજી સામે સી.આર પાટીલે 11 પાનાનું સોગંદનામું રજૂ કર્યું હતું. ગુજરાતભરમાં કોરોના ( CORONA ) મહામારીના પીક સમયે રાજ્યભરમાં રેડિમેશિવિર ઇન્જેક્શનની અછત વર્તાઈ હતી જેના કારણે લોકો ઇન્જેક્શન માટે જ્યાં ત્યાં વલખા મારી રહ્યા હતા. લોકો પોતાના પરિજનોને બચાવવા માટે રાતભર અને વહેલી સવારથી દવાખાનાની બહાર લાઈનો લગાવીને ઉભા રહેતા હતા ત્યારે ભાજપના પ્રદેશ પ્રમુખે પોતાના હોમટાઉન સુરતમાં ઈન્જેક્શનની લ્હાણી કરી હતી. જે બાદ રાજકારણ ગરમાયુ હતું.

પ્રદેશ અધ્યક્ષ ક્યાંથી અને કેવી રીતે ઈન્જેક્શન લાવ્યા અને તેઓ કેવી રીતે આ ઈન્જેક્શન વહેંચી શકે તે મુદ્દે વિવાદમાં આવ્યા હતા. ત્યારે હવે આ મુદ્દો ગુજરાત હાઈકોર્ટમાં ચાલી રહ્યો છે. ઇન્જેક્શનના જથ્થાને લઈને અને તેના વિતરણ બાબતે કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ હાઈકોર્ટમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સામે અરજી કરી હતી. સુરતમાં સી.આર પાટીલે ઈન્જેક્શનનો જથ્થો ફાળવાતા હાઇકોર્ટમાં અરજી કરાઈ હતી. સીઆર પાટીલ સામે થયેલી અરજીમાં અનેક સવાલો ઉઠાવાયા છે. ફાર્મસીના લાઇસન્સ સિવાય કોઈપણ વ્યક્તિ રેમડેસિવિરના કમ્પાઉન્ડ, મિક્સર અને દવા રાખી શકે નહિ, મેડિકલ તબીબ જ દર્દીઓને રેમડેસિવિર લખી શકે અને પોતાની પાસે રાખી શકે. દરેક વ્યક્તિ આ દવા મેન્યુફેક્ચર કરી શકતું નથી, ત્યારે પ્રદેશ પ્રમુખ પાસે આ દવાનો જથ્થો ક્યાંથી આવ્યો તેવા સવાલો અરજીમાં કરાયા છે.

કોંગ્રેસના પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ રેમડેસિવિર ઈન્જેક્શનનું ખોટી રીતે વિતરણ કરવા અંગે ભાજપના પ્રમુખ સી.આર.પાટીલ વિરુદ્ધ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી. સાથે જ સી.આર. પાટીલ સામે ઇન્જેક્શનની વહેંચણી બાબતે ફોજદારી ધારા ભંગ અને સરકાર જાહેરનામા ભંગ બદલ ગુનો નોંધવા માંગ કરી છે. સીઆર પાટીલ સામે જાહેર હિતની 36 પાનાની અરજી કરી છે. જેમાં સુરતના ધારાસભ્ય હર્ષ સંધવીનો પણ ઉલ્લેખ કરાયો છે. બંને સામે “અન-ઓથોરાઝ઼ડ ડિસ્ટીબ્યુશન ઓફ રેમડેસિવિર ઇન્જેકશન” ના મુદ્દે જવાબ માંગતા મુદ્દા ઉઠાવવામાં આવ્યા છે.

ઇન્જેક્શન પર રાજકારણ ગરમાયુ હતું જેના કારણે વિપક્ષ અને પાટીલ આમને સામને આવ્યા હતા. વિરોધ બાદ સુરત ખાતેથી પાટીલે ઈન્જેક્શનનું વિતરણ બંધ કર્યું હતું, જોકે આ બાદ રાજકારણ સતત ગરમાઈ ગયું હતું અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી પણ આ બાબતે નિવેદન આપી ચુક્યા હતા કે પાટીલને પૂછો.

Most Popular

To Top