Gujarat

રાજકોટમાં એઇમ્સ, જામનગરમાં મારૂ આયુર્વેદ અને અહીં મિની એઇમ્સ, વાહ મારી બાપુડી: પી.એમ મોદી

રાજકોટ: ગુજરાત પ્રવાસે આવેલા વડાપ્રધાન મોદીનું રાજકોટ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેઓ હેલિકોપ્ટર મારફત રાજકોટનાં જસદણનાં આટકોટ ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેઓએ પાટીદાર સમાજ દ્વારા 40 કરોડનાં ખર્ચે બનાવવામાં આવેલી કે.ડી.પરવાડિયા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું. આ ઉપરાંત તેઓએ હોસ્પિટલમાં અત્યાધુનિક સુવિધાઓ નિહાળી હતી. તેમજ હોસ્પિટલના સ્વપ્નદૃષ્ટા ડો.ભરત બોઘરાએ હોસ્પિટલમાં રહેલી અન્ય સુવિધાઓ વિષે માહિતી આપી હતી.

હોસ્પિટલમાં આધુનિક સુવિધાઓ
આ હોસ્પિટલમાં ફાઇવસ્ટાર હોસ્પિટલ જેવી સુવિધાઓ છે જેમાં કેન્સર, ડાયાલિસીસ સહિત ગંભીર બીમારીઓની સારવાર કરવા માટેની સુવિધા છે. જનરલ વોર્ડમાં દર્દી પાસેથી રોજનું 150 ચાર્જ વસુલાશે જેમાં દર્દીઓને ૩ ટાઈમનું ભોજન પણ આપવામાં આવશે. બાળકો માટે NICUની પણ ખાસ સુવિધા છે. આધુનિક ટેકનોલોજી થી સજ્જ ઓપરેશન થિયેટર છે. આ હોસ્પિટલમાં આયુષમાન ભારત કાર્ડથી પણ સારવાર આપવામાં આવશે. જે ગરીબ દર્દી પાસે રૂપિયા નહિ હોય તો પટેલ સેવા સમાજ ટ્રસ્ટ તેનો ખર્ચો ઉપાડશે. દર વર્ષે આ હોસ્પિટલ ચલાવવા પાછળ 1 કરોડનો ખર્ચ થશે

વડાપ્રધાન આટકોટમાં આવતા લોકોમાં અનેરો ઉત્સાહ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આ પ્રવાસને લઈને લોકોમાં ઉત્સાહ છે. આટકોટમાં જવા માટે આસપાસના ગામડાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ડીજેના તાલે ગામડાના લોકો ટ્રેક્ટરમાં સવાર થઈ આટકોટ પહોંચી રહ્યા છે. વીરનગર ગામમાં હોસ્પિટલના મેનેજીંગ ટ્રસ્ટી ડો. ભરત બોઘરાનું ડીજેના તાલે અને 70 શણગારેલા ટ્રેક્ટર સાથે રેલી યોજાઇ હતી.

સરકાર સાથે જનતાનો સાથ મળે એટલે હિંમત વધે: પી.એમ મોદી
આરકોટમાં સભાને સંબોધતા પી.એમ મોદીએ કહ્યુ કે, મેં ભૂલથી પણ એવું કોઈ કામ નથી કર્યું કે તમારે નીચું જોવું પડે. રાજકોટમાં એઇમ્સ, જામનગરમાં મારૂ આયુર્વેદ અને અહીં મિની એઇમ્સ, વાહ મારી બાપુડી. 2001 પહેલા ગુજરાતમાં માત્ર 9 મેડિકલ કોલેજ હતી. અને ડોકટર માટે માંડ 1100 બેઠક હતી.ત્યારે આજે ગુજરાતમાં સરકાર અને પ્રાઈવેટ મેડિકલ કોલેજો મળી 30 કોલેજો એકલા ગુજરાતમાં છે. એટલું જ નહી દેશના દરેક જિલ્લામાં બનાવવાની ઈચ્છા છે. એક સમય પહેલા માત્ર 1100 બેઠકો હતી. ત્યારે અત્યારે 8000 થી વધુ બેઠકો છે. સરકાર સાથે જનતાનો સાથ મળે એટલે હિંમત વધે છે. ભાજપની સરકારે આઠ વર્ષ પુરા કર્યા છે.

વડાપ્રધાનના વિપક્ષ પર પ્રહાર
વડાપ્રધાન મોદીએ નામ લીધા વગર વિપક્ષ પર પ્રહાર કર્યા હતા. તેઓએ કહ્યું હતું કે, દિલ્હીમાં એક સમયે એવી સરકાર હતી કે અહીંના પ્રોજેક્ટમાં એને મોદી જ દેખાતા, મગજ ફટકે એટલે ફાઈલને તાળું મારી દે. 2014માં સરદાર સરોવર ડેમ માટે પણ ઉપવાસ કરવો પડ્યો હતો

Most Popular

To Top