Gujarat

દિવાળી પૂર્વે પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાનો 12 મો હપ્તો ચૂકવવામાં આવશે

ગાંધીનગર: પીએમ નરેન્દ્ર મોદી (PM Modi) નવી દિલ્હી ખાતે 17 અને 18 ઓક્ટોબરે યોજાનારા બે દિવસીય પીએમ કિસાન (Kisan) સમ્માન (Samman) સંમેલનમાં (Sammelan) દેશના ખેડૂતોને કિસાન સમ્માન નિધિ યોજનાના લાભાર્થીઓને 12મો હપ્તો ચૂકવશે. આ 12માં હપ્તામાં દેશના ખેડૂતોના ખાતામાં રૂ.16,૦૦૦ કરોડની રકમ જમા થશે, જેમાં ગુજરાતના 51 લાખથી વધુ ખેડૂતોને રૂ.1023 કરોડની રકમ પ્રાપ્ત થશે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર ખેડૂતો માટે અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી રહી છે અને ખેડૂતોની આવક બમણી કરવાના વડાપ્રધાનના સંકલ્પને સાકાર કરવા માટે પ્રતિબદ્ધ છે.

ખેડૂત લાભાર્થીઓને રૂ.16 હજાર કરોડની રકમનું હસ્તાંતરણ કરવામાં આવશે
કિસાન સમ્માન નિધિ યોજનાનો 12મો હપ્તો રાજ્યના ખેડૂતો માટે વધુ એક રાહત લઇને આવશે. ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના અંતર્ગત દેશના જરૂરિયાતમંદ ખેડૂતોને વાર્ષિક રૂ.6000 આપવામાં આવે છે, જે સીધા તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. પીએમ કિસાન સમ્માન નિધિ યોજનાના 12મા હપ્તામાં દેશભરના ખેડૂત લાભાર્થીઓને રૂ.16 હજાર કરોડની રકમનું હસ્તાંતરણ કરવામાં આવશે. આમ, આ યોજના હેઠળ કુલ 12 હપ્તાઓમાં દેશભરના ખેડૂતોના ખાતામાં કુલ રૂ.2.16 લાખ કરોડની રકમ કેન્દ્ર સરકાર દ્વારા જમા કરવામાં આવી છે જ્યારે ગુજરાતના ખેડૂતોના ખાતામાં અત્યાર સુધીમાં 12,565 કરોડ રૂપિયા રકમ જમા કરવામાં આવી છે.

44 જેટલા પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્રો શરૂ કરવામાં આવશે
દિલ્હી ખાતે યોજાનારા બે દિવસીય સંમેલનમાં 600 પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્રો શરૂ કરવામાં આવશે. આ સમૃદ્ધિ કેન્દ્રોમાં 44 કેન્દ્રો ગુજરાત ખાતે કાર્યરત કરવામાં આવશે. આ કૃષિ સમૃધ્ધિ કેન્દ્રમાં ખેડૂતોને એક જ છત નીચે કૃષિ વિષયક તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. આ કેન્દ્રો ઉપર ખેડૂત સીધો લાભ લઈ શકે તે રીતે જમીન, બિયારણ અને ખાતર પરીક્ષણ માટેની સુવિધાઓ રાખવામાં આવશે. ખેડૂતોની જરૂરિયાત મુજબના નાના-મોટાં ખેત ઓજારો તથા ડ્રોન માટે કસ્ટમ હાયરીંગ સેન્ટરની સુવિધા તેમને ઉપલબ્ધ કરાવવામાં આવશે. આવા સેન્ટરો પરથી ખેડૂતને ખેતી વિષયક અદ્યતન ખેત પદ્ધતિ, નવી ટેકનોલોજી, નવા સંશોધનો અને ભલામણો બાબતે માહિતી આપવામાં આવશે.

Most Popular

To Top