Madhya Gujarat

બ્રહ્મર્ષિ સંસ્કારધામના સંસ્થાપક પદ્મશ્રી ડાહ્યાભાઇ બ્રહ્મલીન થયા

નડિયાદ: નડિયાદમાં બ્રહ્મર્ષિ સંસ્કાર ધામના સંસ્થાપક પદ્મશ્રી ડાહ્યાભાઇ શાસ્ત્રીજી બ્રહ્મલીન થયા છે. તેમના અંતિમ દર્શન બુધવાર સવારે 8 કલાક સુધી નડિયાદ બ્રહ્મર્ષિ સંસ્કારધામમાં થશે. તેમના બ્રહ્મલીન થવાના સમાચારથી સમગ્ર ચરોતર પંથક અને દેશ-દુનિયામાં તેમના અનુયાયીઓમાં ભારે શોકની લાગણી વ્યાપી ગઈ છે. પદ્મશ્રી ડાહ્યાભાઈ શાસ્ત્રીજીનો જન્મ 26 ફેબ્રુઆરી, 1926ના રોજ મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના વસઈ ડાભલા ગામમાં થયો હતો. તેમના માતાનું નામ મણીબેન, પિતાનું નામ કરુણા શંકર અને પત્નીનું નામ મંગળાબેન છે.

ડાહ્યાભાઈ શાસ્ત્રીએ અભ્યાસ વ્યાકરણ/ સાહીત્યાચાર્ય, હિન્દી વિશારદ કર્યુ હતુ. તેઓ પેટલાદ રાજકીય સંસ્કૃત પાઠશાળામાં આચાર્ય તરીકે અધ્યાપન કરાવતા હતા. તેમના લેખન કાર્યમાં લગ્ન સંસ્કાર, બ્રાહ્મણ, પ્રમુખ પીયુષ, સ્મરણ સુધા, જીવન સુધા, સપ્ત સુધા, સંસ્કૃતિ સુધા, સ્તુતિ સુધા, ભારતીય તત્વદર્શન, આચમન, વૈદિક વાડ્મયનો પ્રાથમિક પરિચય વગેરેનો સમાવેશ કરી શકાય છે.   આ ઉપરાંત તેમણે નડિયાદ ખાતે આવેલ બ્રહ્મર્ષિ સંસ્કાર ધામ, કરૂણામણિ મંગલા સેવા ટ્રસ્ટ, મહેસાણા ખાતે આવેલ બ્રહ્મર્ષિ સંસ્કાર ધામની સ્થાપના કરેલ છે.  

તેથી જ તો શાસ્ત્રીજી સમાજ અને રાજ્યના અનેક મહારથીઓ વચ્ચે પોતાનું પૂજનીય સ્થાન અચળ રાખી શક્યાં છે. આજે રાજ્ય અને રાષ્ટ્રની સરકારે તેમને સમગ્ર ચરોતર પ્રદેશના સર્વપ્રથમ પદ્મશ્રી પ્રતિભા તરીકે નવાજ્યાં છે. આમ જોવા જઈએ તો આખા રાજ્યમાં સંસ્કૃત અને સંસ્કૃતિના જતન તથા એજ્યુકેશન ક્ષેત્રે આવા સન્માનિત પ્રતીકથી નવાજાયેલા શ્રી કે.કા.શાસ્ત્રી પછીના બીજા જ સ્થાને આપણા પૂ. શાસ્ત્રીજીનું અભિવાદન થઈ રહ્યું છે.

જે બતાવે છે કે એક વ્યક્તિ પોતાના એક જીવનમાં અર્જિત કરેલા જ્ઞાનને જ્યારે સંસ્કૃતિની સ્વસ્થતા, શોભા અને સમર્પણ માટે ખર્ચી નાંખે છે ત્યારે તેમને પ્રાપ્ત થતા આવા સન્માનો વ્યક્તિગત ન બની રહેતાં આખા સમાજ અને શહેર માટે ગૌરવાન્વિત બને છે. આ અર્થમાં આપણે એમ કહી શકીએ કે રાજ્ય અને રાષ્ટ્રની સરકારે શાસ્ત્રીજીને પદ્મશ્રીથી નવાજ્યા અને શાસ્ત્રીજીએ સંસારી તપસ્વીના જીવન થકી પોતાની કર્મભૂમિ ગણાતા નડિયાદ અને પેટલાદને ગદ્ગદ્ છાતિ ફૂલેણો આદર એનાયત કર્યો-કરાવ્યો.

શાસ્ત્રીજીએ કોઈ પણ માન-સન્માનની આશા વગર અનેક કાર્યો કર્યા
નોકરીની નિવૃત્તિ પછીનું જીવન શાસ્ત્રીજીએ સમાજ સેવાના ભેખધારી તરીકેનું જ વિતાવ્યું છે. ગુજરાતભરમાં સંસ્કૃત પાઠશાળાઓનો વિકાસ થાય, સાચા કર્મકાંડી બ્રાહ્મણો સક્રિય થાય, વિશ્વ હિંદુ પરિષદની શાખા-પ્રશાખાઓના સર્જન થકી હિંદુ સંગઠનો રચનાત્મક કાર્યો તરફ કૂચ કરે, સમૂહ યજ્ઞોપવિતથી માંડીને અગણિત સમાજયજ્ઞોની ધૂણી ધખે, અનેક સંસ્થાઓનો વિકાસ થાય, અને 90ના આંકડાને આંબ્યા પછી પણ નડિયાદ જેવું જ બીજું બ્રહ્મર્ષિ ધામ મહેસાણામાં ઉભું કરવાનું પુનશ્ચય થાય.એ જ શાસ્ત્રીજીનો સ્થાયી જીવનરસ રહ્યો છે. વળી આ બધું જ કોઈપણ જાતની, પદની, અર્થની કે માન-સન્માનની આશા-અપેક્ષા વગર તેમણે પ્રજવલિત રાખ્યું છે. તેથી આ વાચસ્પતિ શાસ્ત્રીજી માત્ર નડિયાદનું જ નહીં આખા ગુજરાતનું ભૂષણ બન્યાં છે.

પૂજ્ય ડાહ્યાભાઈ શાસ્ત્રીજીએ અનેક ભૂમિકાઓ ભજવી
પદ્મશ્રી ડો. ડાહ્યાભાઈ શાસ્ત્રીજીએ તેમના જીવનમાં ઘણી સેવાકીય પ્રવૃતિઓ અને ફરજો બજાવેલ છે. તેમણે નવી દિલ્હી ખાતે આવેલ ધર્મ જાગરણ ન્યાસમાં પૂર્વ અધ્યક્ષ તરીકે, સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજના પૂર્વ અધ્યક્ષ તરીકે, નવી દિલ્હી ખાતે આવેલ ભારત સંસ્કૃત પરિષદમાં કેન્દ્રિય અધ્યક્ષ તરીકે, નવી દિલ્હી ખાતે આવેલ સંસ્કૃત ભારતીમાં ટ્રસ્ટી તરીકે અને વિશ્વ હિન્દુ પરિષદમાં અખિલ ભારતીય ઉપાધ્યક્ષ તરીકે ફરજ બજાવી હતી. તથા નડિયાદ ખાતે આવેલ શ્રી અંબાઆશ્રમ ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે તેમજ કિલ્લા પારડી ખાતે આવેલ સ્વાધ્યાય મંડળના અધ્યક્ષ તરીકે અને ગુજરાત પ્રદેશમાં વિ.હિ. પરિષદના સંરક્ષક તરીકે તેમણે સેવા આપી છે.

ડાહ્યાભાઈ શાસ્ત્રીના નામે અનેક સન્માન
પદ્મશ્રી ડૉ. ડાહ્યાભાઈ શાસ્ત્રીજીને ઉત્તમ કાર્યો બદલ તેમને અનેક સન્માન મળેલ છે. તેમને વર્ષ 2016માં ભારત સરકાર તરફથી પદ્મશ્રી એવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેઓને વર્ષ 1997માં વેદશાસ્ત્ર પારંગત સંસ્કૃત પંડિત સન્માન, 2002માં સાંદીપની બ્રહ્મર્ષી એવોર્ડ અને પરશુરામ યુવા સંસ્થાન બ્રહ્મ સેવા સન્માન , 2007 અને 2010માં સાહિત્ય ગૌરવ સન્માન, 2007મા બ્રહ્મરત્ન એવોર્ડ, 2014માં ચાણક્ય એવૉર્ડ, સંસ્કૃત વિદ્યા વારિધી, 2015માં સ્વાધ્યાય મંડળ સન્માન, નારાયણ સંસ્કૃત મહાવિદ્યાલય સન્માન, ગુર્વભિવાદનમ, સન્માનમ – ગુરૂકુળ – છારાડી, રાજ્ય ગોરવ સન્માન અને ગ્લોરી ઑફ ગુજરાત એવોર્ડ મળ્યો છે. આ ઉપરાંત શાસ્ત્રીજીને સોમનાથ સંસ્કૃત યુનિ. – વેરાવળ તરફ થી માનદ્ ડી.લીટ્.,ની પદવી પણ એનાયત કરવામાં આવી છે. આ સિવાય તેમને શ્રી બૃહદ ગુજરાત સંસ્કૃત પરિષદ અને સદભાવના એવૉર્ડ – ઉમરેઠ પણ મળેલ છે.

Most Popular

To Top