Comments

આપણી વિદેશનીતિને કોઇ વિચારધારા નથી

ભારતે પોતે જયાં કાયમી સભ્ય નથી તે સંયુકત રાષ્ટ્ર સંઘની સલામતી સમિતિની બેઠકમાં રશિયાના યુક્રેન પરના આક્રમણને વખોડવાના ઠરાવ પર મતદાન કરવાથી દૂર રહેવાનું પસંદ કર્યું. ભારતે કહ્યું કે અમે અત્યંત ક્ષુબ્ધ થયા છીએ અને હિંસાનો અંત આવવો જોઇએ તેમજ સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડતાને આદર આપવો જોઇએ. આ કારણોસર તેણે મતદાનથી અળગા રહેવાનો નિર્ણય કર્યો. ભારત રશિયાના યુધ્ધ સામે દુનિયાને જે કહેવું છે તેનું પુનરાવર્તન કરે છે પણ તેને વખોડવાનો ઇન્કાર કરે છે. વાસ્તવિકતા એ છે કે ભારત મુત્સદ્દીગીરીમાં મુશ્કેલ સમયનો સામનો કરે છે.

ભારતને રશિયા અડધાથી વધુ લશ્કરી સરંજામ પૂરો પાડે છે. દા.ત. આપણી 96 ટકા મુખ્ય ટેંક રશિયન છે અને આપણું એક માત્ર વિમાનવાહક જહાજ અને અણુશકિત સંચાલિત સબમરીન રશિયન છે. 71 ટકા યુધ્ધ જેટ અને તમામ છ હવાઇ ટેંકરો રશિયન છે. આ વર્ગીકૃત માહિતી નથી, બલ્કે અમેરિકાની કોંગ્રેસની સંશોધન સેવામાંથી મળેલી માહિતી છે. યુધ્ધ કાળમાં તેમજ આ અત્યંત ઉચ્ચ કૌશલ્ય ધરાવતાં વિમાનો, સબમરીનો અને શસ્ત્ર સરંજામના સંચાલિત અને સ્પેરપાર્ટસ અને સર્વિસ વગેરે માટે ભારતે રશિયન સપ્લાયરો સાથે સંપર્કમાં રહેવું જ પડે. તે ઉપરાંત રશિયા પોતાને ભારત અને ચીન વચ્ચે લડાખના મામલે શાંતિદૂત તરીકે જુએ છે. આથી આપણને પુતિનને નારાજ કરવાનું નહીં પાલવે.

સલામતી સમિતિમાં ભારતના મતનું મહત્ત્વ ન હતું કારણ કે કાયમી સભ્ય તરીકે રશિયાએ વીટો વાપર્યો અને આક્રમણને વખોડતો ઠરાવ નિષ્ફળ જ જવાનો છે એ જાણીતું હતું. આમ છતાં વિશ્વ અને સૌથી મોટી લોકશાહી માટે આક્રમણ સામે એક થવાનો અવસર હતો પણ ભારતે આક્રમણનો ભોગ બનનારનો પક્ષ નહીં લેવાનું પસંદ કર્યું. રસપ્રદ બાબત એ છે કે ચીન પણ આપણી સાથે મત આપવાથી અળગું રહ્યું? વર્તમાન સરકાર હેઠળ ભારતની વિદેશ નીતિ લય પામવામાં નિષ્ફળ ગઇ છે કારણ કે તેમાં વિષયવસ્તુ જ નથી. એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકેના આપણા સમગ્ર ઇતિહાસમાં સર્વધર્મ સમભાવ અને સર્વસમાવિષ્ટી ધરાવતા પ્રાચીન રાષ્ટ્ર તરીકે પોતાને રજૂ કર્યું છે. 2014 પછી તેમાં ફેરફાર થયા છે પણ સત્તાવાર પરિવર્તનને નોંધાવનાર અને તેનો અર્થ એ થયો કે એવી કોઇ લેખિત નીતિ ન હતી જે જાહેર કરે કે હિંદુત્વ ભારતની શાસક વિચારધારા છે.

તાજેતરનો અભ્યાસ જણાવે છે કે ભારત સરકારે પોતાના રાજદ્વારીઓને સૂચના આપી છે કે ભારતની હિંદુ પરંપરા પર પ્રકાશ ફેંકે તેવા પ્રસંગો પર વિદેશમાં વધુ ધ્યાન આપો. પરિણામે કેટલાક રાજદ્વારીઓ અસ્વસ્થ થઇ ગયા. પણ ભારતીય જનતા પક્ષની વિચારધારાએ તાલ મિલાવતા રાજદ્વારીઓની નિમણૂક કરવામાં આવી. સરકારના પહેલાં પાંચ વર્ષમાં આ પરિવર્તનનું ઝાઝું મહત્ત્વ ન હતું કારણ કે ખુદ ભારતમાં આ વિચારધારાએ ઝાઝું કાઠું કાઢયું ન હતું. 2019 પછી રાજદ્વારીઓને બચાવની સ્થિતિમાં પ્રવૃત્ત રાખવામાં આવ્યા છે કારણ કે વિચારધારાએ આપણી લઘુમતીઓ સામે પોતાના ડંખ ખુલ્લા કર્યા છે. 2019 ના બીજા વિજય પછી એવી આંતરિક ઘટના બની જેની વિદેશોમાં અસર પડી. પહેલી ઘટના બંધારણની કલમ 370 નાબૂદ કરવાનું. તેની સાથે કાશ્મીરીઓ માટે ઇન્ટરનેટની 17 મહિના બંધ કરવાનું. કાશ્મીરી બાળકોને સમગ્ર 2020 માં ઓનલાઇન શિક્ષણ નહીં મળ્યું!

અમેરિકી પ્રતિનિધિ ગૃહ એટલે કે તેમની લોકસભામાં કાશ્મીરીઓ સામેના ભારતનાં પગલાંને વખોડતો ઠરાવ થયો પણ આ ઠરાવ ઝાઝું કાઠું નહીં કાઢી શકયો, કારણ કે રિપબ્લિકનો વર્ચસ્વ ધરાવતા હતા અને ડોનાલ્ડ ટ્રમ્પ ભારતના મિત્ર થાય. બાઇડેન સત્તા પર આવ્યાના થોડા જ દિવસોમાં ભારતે કાશ્મીર પરનો 17 મહિનાનો પ્રતિબંધ ઉઠાવી લીધો કારણ કે હવે ટ્રમ્પ સત્તા પર ન હતા. કલમ 370 ના પગલાંના થોડાં જ સપ્તાહો પછી વિશ્વાસ ધરાવતા ભારતીય જનતા પક્ષે નાગરિકતા સુધારા ધારો પસાર કર્યો. દુનિયા ચોંકી ઊઠી. યુરોપિયન સંસદમાં ભારતને વખોડતો ઠરાવ પસાર થયો. ભારત નાગરિકતા સુધારા ધારાનો અમલ નહીં કરી શકયું.

ભારતને બિનસાંપ્રદાયિક અને બહુલતાલક્ષી સમાજના રાષ્ટ્ર તરીકે રજૂ કરવાનું હવે સરળ ન હતું. સરકાર માટે બળતામાં ઘી હોમાતું હોય તેમ ચીને લડાખમાં અડપલું કર્યું. આપણે ચીનનો વિરોધ કરવા સાથે રશિયા સાથે રહેવાનું છે જે પશ્ચિમ સામે ચીન સાથે જોડાયેલું છે. લશ્કરી રીતે આપણે અમેરિકાની સોડમાં પણ રહેવાનું છે. આપણા વિદેશ મંત્રી જયશંકર કહે છે કે વિશ્વ અનેક ધૃવીય છે. ભારતે જૂની સિધ્ધાંતવાદિતા ખંખેરી તકવાદી બનવું પડશે. પણ મૂળ વાત તો એ છે કે વિદેશ નીતિમાં કોઇ વિચારધારા જ નથી. પરિણામે વિશ્વમાં આપણી કોઇ કિંમત જ નથી. તેનું કારણ આપણી આંતરિક પસંદગી છે. આપણા નવા મિત્રો કેટલા? પણ નસીબ સંજોગે તે આપણી ચર્ચાનો વિષય નથી. આપણા માટે હિજાબ, ગૌમાંસ અને નમાઝનો વિરોધ કરવા કરતાં વૈશ્વિક સ્થાન ઓછું અગત્યનું છે. આપણું ધ્યાન એના પર વધુ છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top