Comments

હાથમાં સંતરું

એક દિવસ એક પ્રોફેસર હાથમાં સંતરું લઈને લેકચર આપવા આવ્યા. વિષય હતો ‘આઈ કેન ડુ ઇટ’…અને પ્રોફેસરે પહેલી હરોળમાં બેઠેલા પંદર વર્ષના છોકરાને પૂછ્યું, 6‘મારા હાથમાં શું છે અને તેને હું દબાવીશ તો શું થશે?’ પંદર વર્ષના છોકરાને આ સવાલ થોડો વિચિત્ર લાગ્યો. તેણે ઊભા થઈને કહ્યું, ‘સર, તમારા હાથમાં સંતરું છે અને જો તમે તેને દબાવશો તો તેમાંથી સંતરાનો રસ નીકળશે.બીજું શું..’

પ્રોફેસરે બીજો વિચિત્ર સવાલ પૂછ્યો, ‘શું તને લાગે છે કે આમાંથી સફરજનનો કે દાડમનો રસ નીકળી શકે?’છોકરો હસ્યો અને બોલ્યો, ‘ના સર’પ્રોફેસરે હજુ વધુ વિચિત્ર સવાલ પૂછ્યો, ‘કેમ સંતરાનો રસ જ નીકળે?’ છોકરો હવે થોડો અકળાયો. તેણે કહ્યું, ‘સર, કેવો સવાલ પૂછો છો? આ સંતરું છે તો તેને દબાવીએ તો તેની અંદર સંતરાનો રસ જ હોય તો તેમાંથી માત્ર સંતરાનો રસ જ નીકળે ને..જે અંદર હોય તે બહાર આવે.’

પ્રોફેસરે તેને બેસવા કહ્યું અને આગળ બોલ્યા, ‘હવે બધા જ એમ વિચારો કે આ એક સંતરું નથી, પણ તમે છો અને જો કોઈ તમને દબાવે છે ,તમારી ઉપર પ્રેશર કરે છે ,તમારી જોડે ખરાબ વર્તન કરે છે,તમને ન ગમે તેવું કહે છે અને એટલે તમારી અંદરથી ગુસ્સો, નફરત, કડવાશ, ડર બહાર આવે છે કેમ? .. તેનું કારણ શું? તો હમણાં જ મારા યુવાન દોસ્તે જવાબ આપ્યો કે જે અંદર હોય તે જ બહાર આવે… એટલે યાદ રાખજો જીવનનો આ ખૂબ જ મહત્ત્વનો પાઠ કે જે તમારી અંદર હશે તે જ તમે બહાર કાઢશો અને બીજાને આપશો.જીવન જયારે અઘરું થશે…જીવન જયારે તમારી પરીક્ષા લેશે ..

જયારે કોઈ તમારી સાથે ખરાબ વર્તન કરશે…તમને દુઃખ પહોંચાડશે તો તમારી અંદર જે હશે તે બહાર આવશે…ગુસ્સો, ડર, નફરત, અપમાન, વગેરે વગેરે જે તમારી અંદર હશે તે…હવે સમજવાની વાત અહીં આવે છે કે આપણી અંદર શું રાખવું તે આપણી પોતાની પસંદગી છે અને તે આપણા જ હાથમાં છે. જો આપણે આપણા મનની બધી જ નકારાત્મક અને નુકસાનકારક લાગણીઓને જાકારો આપી મનને પ્રેમ અને દયાથી ભરી દઈશું તો જે આપની અંદર હશે તે જ બહાર આવશે અને તે તમારા જીવનને અને આજુબાજુની વ્યક્તિઓને સકારાત્મક અસર કરશે અને જીવનમાં આનંદ જ આનંદ છવાઈ જશે. જયારે જયારે એક સંતરાને જુઓ ત્યારે યાદ રાખજો જેમ સંતરાની અંદર સ્વાદિષ્ટ મીઠો રસ ભરેલો છે તેમ આપણી અંદર આપણે પ્રેમરસ ભરવાનો છે અને તે જ વહેંચવાનો છે.’પ્રોફેસરે એક સરસ પાઠ શીખવ્યો.
-આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top