Comments

ઉચ્ચ શિક્ષણમાં નવી નીતિના નામે વિદ્યાર્થીનું સર્વાંગી મૂલ્યાંકન કે ધકેલ પંચા દોઢસો?

બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરે દેશમાં બંધારણના અમલ બાદ કહ્યું હતું કે બંધારણ ગમે તેટલું મહાન હોય તેનો અમલ કરનારા કેવા છે તેના પર તેના પરિણામનો આધાર છે. બસ આવું જ નવી શિક્ષણ નીતિના સંદર્ભે કહી શકાય કારણ કે આમ તો શિક્ષણ નીતિ ૨૦૨૦ એ શિક્ષણ ક્ષેત્રનું નવું બંધારણ છે. આ નીતિની જાહેરાત સમયે તેનાં ઘણાં વખાણ થયાં હતાં, પણ હવે જેમ જેમ અમલનો અનુભવ થતો જાય છે તેમ તેમ બાબાસાહેબે કહેલી વાત અહીં પણ લાગુ પડતી જાય છે.

ઉચ્ચ શિક્ષણમાં નવી શિક્ષણના અમલમાં એક સત્ર પૂરું થયું અને વ્યાવહારિક મુશ્કેલીઓ આવવા પણ માંડી. એક તો ગુજરાતમાં સેમેસ્ટર પ્રથા આવી ત્યારથી શિક્ષણની ઘોર ખોદાઈ  ગઈ છે. છ મહિનાના સત્રમાં એક મહિનો પ્રવેશમાં જાય અને માંડ બે મહિના શિક્ષણ થાય ના થાય ત્યાં પરીક્ષા આવી જાય છે અને પછી વેકેશન થાય છે. વિજ્ઞાન પ્રવાહમાં તો પ્રેક્ટીકલ પરીક્ષાનું તંત્ર એટલું લાંબુ ચાલે છે કે તે શિક્ષણના દિવસો પણ ખાઈ જાય છે. હવે  નવી મુશ્કેલી ઊભી થઇ છે અને તે છે નવી શિક્ષણ નીતિ અંતર્ગત આપવામાં આવેલ વિષય વૈવિધ્યની નવી શિક્ષણ નીતિમાં હવે આર્ટસ, કોમર્સ, સાયન્સ અને તેના જ વિષયોનું નિશ્ચિત માળખું એવું રહ્યું નથી.

હવે વિભાગોની સરહદો ઓળંગીને વિદ્યાર્થી બીજા વિષયો પણ પસંદ કરી શકે છે એટલે કે ભૌતિકશાસ્ત્ર સાથે તે અભિજ્ઞાન શાકુંતલ પણ ભણી શકે છે  અને વળી તમામે ભારતીય જ્ઞાન પરમ્પરાનો એક વિષય ભણવાનો છે. એટલે હવે થયું છે એવું કે ખૂબ બધા વિષયો અને વિકલ્પોની પરીક્ષા લેવાની વ્યવસ્થા યુનિવર્સિટીએ કરવાની થાય છે અને નવા માળખામાં મૂલ્યાંકન પ્રક્રિયામાં પચાસ ટકા કોલેજ કક્ષાએ અને પચાસ ટકા મૂલ્યાંક્ન યુનિવર્સિટી કક્ષાથી થશે  અને કોલેજ કક્ષાના મૂલ્યાંક્નમાં એસાઈનમેન્ટ, સેમિનાર, ક્વીઝ, ચર્ચા જેવી અનેકવિધ પ્રવૃત્તિ દ્વારા વિદ્યાર્થીનું સર્વગ્રાહી મૂલ્યાંક્ન થશે. હાલમાં જે જોવામાં આવ્યું છે.

તેમાં હવે કેટલીક યુનિવર્સિટીએ તો મુખ્ય બે વિષયના પેપર સિવાયના લગભગ ત્રણ વિષયના ત્રણ પેપરની પરીક્ષા અને મૂલ્યાંકન કોલેજને સ્થાનિક લેવલે જ સોંપ્યું છે એટલે ત્યાં તો સો એ સો ટકા મૂલ્યાંકન કોલેજે જ કરવાનું છે. હવે વિચારવાનો મુદ્દો એ કે બધા જ વિષયમાં પચાસ ટકા માર્ક કોલેજ કક્ષાએ આપવાના હોય અને ત્રણ પેપરમાં તો સો એ સો ટકા માર્કિંગ કોલેજ દ્વારા જ થવાનું હોય તો ગુણવત્તાના પ્રશ્નો ઉદ્ભવવાના છે. વળી ગુજરાતમાં જે રીતે સેલ્ફ ફાઈનાન્સ કોલેજોનો રાફડો ફાટ્યો છે ત્યાં આ પ્રકારની મૂલ્યાંકન પદ્ધતિમાં ગુણવત્તાની આશા રાખવી કેટલા અંશે યોગ્ય થશે?

માત્ર લેખિત પરીક્ષા દ્વારા વિદ્યાર્થીના જ્ઞાનનું મૂલ્યાંકન કરવાની પરમ્પરાગત પદ્ધતિની અનેક મર્યાદા છે. વિદ્યાર્થીના સમગ્ર વ્યક્તિત્વનું મૂલ્યાંકન કરવા માટે અન્ય પાસાં પણ તપાસવાં પડે. આ દૃષ્ટિએ જોવા જઈએ તો તેઓ ચર્ચામાં જોડાય,પ્રોજેક્ટ વર્ક કરે, એસેન્મેન્ટ લખે, હેતુલક્ષી પરીક્ષા આપે, ક્વીઝ, વકતૃત્વ જેવી સ્પર્ધાઓમાં ભાગ લે અને તે દ્વારા તેના સર્વાંગી વિકાસનું મૂલ્યાંકન થઇ શકે. આ વાત વાંચવામાં અને બોલવામાં ઘણી જ આકર્ષક લાગે છે પણ આ તમામના પાયામાં છે નૈતિકતા અને જવાબદારીપણું.

જો સેલ્ફ ફાઈનાન્સ કોલેજમાં ફી ભરવા માત્રથી માર્ક મળી જાય અને ગ્રાન્ટ ઇન એઇડ કોલેજ કે સરકારી કોલેજોમાં સેલ્ફ ફાઈનાન્સના વાદે માર્કની લહાણી થાય તો ગુણવત્તાનું તો ધબો નારાયણ થાય. માટે નવી શિક્ષણ નીતિમાં અનીતિને છુટ્ટો દોર મળવાની સંભાવના વધી ગઈ છે. સરકાર વિષયો વધવા સાથે અધ્યાપકો વધારવા નથી માંગતી, માટે જ મલ્ટી ડીસીપ્લીનરી, ઇન્ટર ડીસીપ્લીનરી જેવા વિષયો કોલેજ કક્ષાએ જ ભણાવાય અને પરીક્ષા પણ કોલેજ જ લે તેવા નિયમો બનવા દેવાય છે. આમ પણ વિદેશોમાં કેમ્પસ યુનિવર્સિટીમાં ઓછા વિદ્યાર્થીઓ માટે નીતિમત્તાયુક્ત શિક્ષણ નીતિ મોટી સંખ્યામાં કોલેજો અને વિદ્યાર્થીઓમાં લાગુ પડવી વ્યવહારુ બની રહી નથી એવું હાલ લાગી રહ્યું છે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top