Charchapatra

મોટપણ

મોટપણની વાત કરીએ તો મોટી ઉંમરે મોટાઈ આવે. કેટલાક એને ઘડપણ કહે. એક પરિચિતને ત્યાં પુત્રના લગ્ન પ્રસંગે વરઘોડા સમયે બાળકો, યુવાનો અને મોટી ઉંમરના સર્વે નૃત્ય કરવામાં લીન થયાં ત્યાં એક આધેડ બોલ્યા, “આ મોટા નાચે તેમાં ઈજ્જત જાય.” આ સાંભળીને કોઈ ચોખવટ ન કરતાં હું પણ નૃત્યમાં જોડાયો. મને લાગે છે કે જયાં નૃત્ય છે, ત્યાં સંગીતના તાલ છે. એનો આનંદ માણવામાં અનેરી અનુભૂતિ હોય છે. સંગીતમાં યુવાનોના પગ થિરકવા લાગે ને પ્રૌઢના પગ પણ થિરકવા લાગે એમાં મને કંઈ અયોગ્ય જણાતું નથી. જીવનને મન ભરીને માણવામાં વયનાં બંધન દૂર ભાગે છે. લોકોની માન્યતાઓ તો અલગ અલગ હોય. દરેક વયે નવું શીખીએ, નવું માણીએ અને જનરેશન ગેપ ઘટાડીએ તે જરૂરી છે. પદ, પ્રતિષ્ઠા અને અભિમાનને કારણે શોખને દૂર કરવો બરાબર નથી. સારા પ્રસંગે નૃત્ય કરવાનો વિચાર કરવાને બદલે નૃત્યમાં સામેલ થવું વધારે સારું છે. મોટપણ, ઘડપણ આવી ગયું છે એમ કોઈ કહે તે પહેલાં જીવનમાં રંગો ભરી લઈએ, કારણ ઉંમર, ઘડપણ કોઈની રાહ જોતું નથી.
નવસારી   – કિશોર આર. ટંડેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top