Gujarat Main

ગુજરાતમાં કોરોનાના કેસો 800ને પાર : 54 દર્દીઓ વેન્ટિલેટર પર

રાજયમાં કોરોના ( CORONA) સતત વકરી રહ્યો છે. જેના પગલે આજે રવિવારે રાજ્યમાં કોરોનાના નવા કેસો 800ને પાર કરીને 810 સુધી પહોંચી ગયા છે. જેમાં ખાસ કરીને રાજયમાં સુરત ( SURAT) માં કોરોનાના નવા 217 અને અમદાવાદ મનપામાં 163 કેસો નોંધાયા છે. જયારે સારવાર દરમ્યાન રાજયમાં બે દર્દીઓનું મૃત્યુ થયુ છે.

જે પૈકી એક દર્દીનું અમદાવાદ મનપામાં અને ખેડામાં એક દર્દીનું મૃત્યુ થયું છે. આજે નવા 810 કેસોની સામે રાજયમાં 586 દર્દીઓને સારવાર આપીને રજા આપવામાં આવી છે. આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ 2,78,207 કેસો નોંધાયા છે. આજે રાત્રે આરોગ્ય વિભાગના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે રાજયમાં કોરોનાના નવા 810 કેસો નોંધાયા છે.જેમાં સુરત મનપામાં 217, અમદાવાદ મનપામાં 163, વડોદરા મનપામાં 95, રાજકોટ મનપામાં 61, ભાવનગર મનપામાં 25, ગાંધીનગર મનપામાં 8, જામનગર મનપામાં 6 અને જુનાગઢ મનપામાં 3 સહિત કુલ 578 કેસો નોંધાયા છે.


હાલમાં રાજ્યમાં 4422 દર્દીઓ સારવાર હેઠળ છે. જે પૈકી 54 દર્દીઓ વેન્ટિલેટર પર છે. જયારે 4368 દર્દીઓની સ્થિતિ સ્થિર છે. રાજયમાં અત્યાર સુધીમાં 269361 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જ્યારે રાજયમાં 4424 દર્દીઓએ જાન ગુમાવ્યો છે. અત્યાર સુધીમાં કુલ 19,77,802 વ્યકિત્તઓને પ્રથમ ડોઝનું અને 500635 વ્યકિત્તઓને બીજા ડોઝનું રસીકરણ (VACCINATION) પૂર્ણ થયું છે. આજે રવિવારે 42,849 વ્યક્તિઓને રસી આપવામાં આવી હતી.

કોરોનાએ ફરી એકવાર ફૂંફાડો માર્યો છે. રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરા શહેરમાં તો ડબલ ડિજીટમાં આવી ગયેલા કોરોનાના કેસો ફરી એક વાર ત્રણ ડિજીટમાં નોંધાઈ રહ્યા છે. વધતા કોરોના સંક્રમણ વચ્ચે જ ચાર મહાનગરમાં આજથી રાત્રી કર્ફ્યુની અવધિ પૂર્ણ થઈ રહી છે.

ત્યારે મુખ્યમંત્રી નિવાસસ્થાને હાઈપાવર કમિટીની બેઠક આજે બેઠક મળશે.. જેમાં વધતા સંક્રમણ વચ્ચે કર્ફ્યુ યથાવત રાખવું કે સમય બદલવો તે અંગે નિર્ણય લેવામાં આવશે. હાલ ચારેય મહાનગરમાં રાત્રીના 12થી સવારે 6 વાગ્યે કર્ફ્યુ અમલમાં છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top