Charchapatra

રાજા ઔર રંક તમામે નવા વાઈરસ સામે તકેદારી રાખવાની છે

એમિક્રોન વેરિયન્ટ નામનો નવો કોરોના વાયરસ પ્રગટ થઇ ચૂકયો છે. દુનિયાના ઘણા દેશોમાં એમિક્રોનથી સંક્રમિત થયેલાં દર્દીઓ જોવા મળી રહ્યાં છે.આ નવા વાયરસથી દુનિયાના બધા દેશો ચિંતામાં પડી ગયા છે. 2020 નું 2021 નું એમ બે વર્ષોથી કોરોનાના પ્રકોપથી જગતની વસતી ડઘાઈ ગઈ છે. લાખો લોકોએ એમાં પ્રાણ ગુમાવી દીધા છે. જગતના બધા દેશોની ઇકોનોમીને અકથ્ય નુકસાન થયા પામ્યું છે. હવે કોરોનાનાં વળતાં પાણી ધીમે ધીમે થઇ રહ્યાં છે.

લોકોનું જીવન પૂર્વવત્ થવા જઈ રહ્યું છે. બાળકો શાળાએ જતાં થયાં છે. લોકો થોડોક હાશકારો અનુભવી રહ્યા છે. ત્યાં તો એમિક્રોન વેરિયન્ટ નામના કોરોનાના નવા પ્રકારના વાયરસના ફેલાવાના કષ્ટદાયક સમાચારો આપણી સમક્ષ આવી રહ્યા છે. આ વાઈરસનું સંક્રમણ અટકે અથવા આગળ ના વધે એ માટે ભારત સરકાર યોગ્ય પગલાં ભરવા લાગી છે. નવરાત્રી અને દિવાળી દરમ્યાન તો આપણે એ ભૂલી ગયા છીએ, પેલા કોરોનાને. માસ્ક ફેંકી દીધાં છે. સામાજિક અંતર તો વળી શી બલા છે, એમ સમજીને,આપણે ટોળે વળવા લાગી ગયા છીએ. હાથ તો આપણાં સંડાસ જઇએ ત્યારે જ ધોઈએ છીએ.એ સિવાય હાથ ધોવાની વાતને સૌએ રામ રામ કરી દીધા છે. આ સ્થિતિ યોગ્ય નથી જ. આપણે ત્યાં આગામી દિવસોમાં ઘણી બધી ચૂંટણીઓ આવી રહી છે.

ચૂંટણી પ્રચાર દરમ્યાન ઉમેદવારોએ એમના ટેકેદારોએ તથા જે તે પક્ષના નેતાઓએ, કોરોનાની આચારસંહિતાને બરાબર પાળવી પડશે. ભૂતકાળનો અનુભવ એવું કહે છે કે, ચૂંટણી પ્રચાર દરમ્યાન, કોરોનાના નિયમોને નેવે મૂકવામાં આવ્યા હતા. અનુક્રમે, ચાલે એમ નથી. એમિક્રોન વોરિયન્ટ નામના નવા કોરાના વાયરસ સામે આપણે સૌએ સામુહિક રીતે લડવા તૈયાર રહેવાનું છે. સરકારોના અપાતા આદેશોને, સૌ નાગરિકોએ તથા રાજકીય નેતાઓએ ગંભીરતાપૂર્વક પાળવા પડશે. રાજકીય નેતાઓ પાસેથી પ્રજાજનો જ ખુદ ધડો લે એવી કોરોનાના, આ નવા વાયરસ માટેની સાવેચતી, એમણે રાખવી રહી.
સુરત     – બાબુભાઈ નાઈ  – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top