Comments

કાયદાના સિદ્ધાંતોનું દ્વેષીલું શીર્ષાસન

ભારત સરકાર પોતાનાં નાગરિકો પર જે ન્યાયની કસુવાવડના બનાવોનો વરસાદ વરસાવી રહી છે તેમાં મોહમ્મદ ઝુબેરને જેલમાં મોકલવાની ઘટના સૌથી છેલ્લામાં છેલ્લી છે. હું ‘ભારત સરકાર’ શબ્દો વાપરું છું કારણ કે કાયદો અને વ્યવસ્થા રાજયોના વિષય હોવા છતાં ભારતની સંઘ સરકારની એ તપાસ સંસ્થાઓ છે જે નાગરિકોનાં જીવન ખટલા ચલાવ્યા વગર કે તકસીરવાર ઠરાવ્યા વગર બરબાદ કરી નાંખવા પોતાની વિશાળ સત્તાઓનો ઉપયોગ કરે છે.

હકીકતોની  તેજસ્વી અને મીડિયામાં પોતાનું સ્થાન જમાવવા અવતરેલ વૈકલ્પિક સમાચાર સંસ્થા ‘ઓલ્ટન્યૂઝ’ના સ્થાપક માર્ક ઝુબેર અહીં લખવાને પણ યોગ્ય નથી તેવા હાસ્યાસ્પદ આરોપ હેઠળ જેલમાં છે. એક ટવીટ કરનાર અનામી વ્યકિત સિવાય કોઇ સાચો ફરિયાદી ઝુબેર સામે નથી અને ભારતીય જનતા પક્ષે તેને જેલમાં પૂર્યો છે અને તેણે જે ટવીટ કર્યું છે તે જોઇ શકાય તેમ હોવા છતાં આ પક્ષ તેને પોતાના તાબામાં રાખવા માંગે છે.

સરકારે તેના ઘરે પોલીસોને મોકલ્યા છે અને તેની મિલ્કત કોઇ પણ કારણ વગર જપ્ત કરી છે. કેમ? અલબત્ત, તેનો ઇરાદો નાગરિકોને હેરાન કરવાનો, અપમાનિત કરવાનો અને ભયભીત કરવાનો છે. ઝુબેર એ વ્યકિત છે, જેણે ભારતીય જનતા પક્ષનાં મહિલા પ્રવકતાના એક ધાર્મિક વ્યકિત સામેના અપમાનજનક શબ્દો શોધી કાઢયા હતા અને તેને પરિણામે સરકારને પોતે થૂંકેલું ચાટવું પડયું હતું. સરકાર અત્યારે એક નાગરિક સામે બદલારૂપ છે.

કાયદાના નિષ્ણાત ફૈઝન મુસ્તફાએ નોંધ્યું છે કે ફોજદારી કાયદાનાં સુરક્ષા સાધન તરીકેના વચનની બરોબરી તેનો નાશ કરવાની સત્તાથી જ થતી હોવાથી યોગ્ય પ્રક્રિયાની બાંહેધરી તે જ પ્રમાણે ફોજદારી કાર્યવાહીમાં સામેલ કરવામાં આવી છે જેથી દરેક આરોપીને નિષ્પક્ષ ખટલાનો લાભ મળે. ભારતમાં નિર્દોષતાની પૂર્વ ધારણાને રદ કરી ગુનાની પૂર્વ ધારણા તેને સ્થાને મૂકવામાં આવી છે. આથી જ જેલમાં પૂરવાનું પગલું સૌથી પહેલું લેવાય છે અને બાકીનું બધું પછી! અને તે પણ કરવું હોય તો! ઝુબેરને જેલમાં પૂરવાનું કોઇ કારણ ન હતું, તે જ રીતે આર્યન ખાનને પણ જેલમાં પૂરવાનું. તેની પાસેથી કેફી પદાર્થ કે તેના પુરાવા મળ્યા જ નથી. આ જ પ્રમાણે નીસ્તા શેતલવાડ, રહીઆ ચક્રબર્ની કે નવાબ મલિકને પણ તેમની ધરપકડનો તમાશો કરવા અને રાજય દ્વારા પછી નાગરિકો સામે પોતાને મળેલી અબાધિ – સત્તાનો ઉપયોગ કરી શિક્ષા કરવા સિવાય બીજો કોઇ ઉદ્દેશ ન હતો. આ સત્તા રાજયને અપ્રમાણસરની મળી છે.

ફોજદારી ગુનાનો ન્યાય કરવાના તંત્રમાં રાજય પાસે તમામ સત્તા છે. ખટલો ચલાવવો પોલીસ તંત્ર, અદાલત અને ન્યાયાધીશ પણ એ જ રાજયના હોય બાકી આરોપી પોતે એકલો અટૂલો! આથી જ ન્યાયતંત્રમાં આરોપીની તરફેણમાં અને રાજયની વિરુદ્ધમાં સુરક્ષા વ્યવસ્થા હોય છે. આથી જ આપણે કહીએ છીએ કે ‘ગુનેગાર પુરવાર થાય ત્યાં સુધી નિર્દોષ’ અને આરોપીની ગુનાહિત પ્રવૃત્તિ પુરવાર કરવાનો બોજ રાજયના શિરે છે.

ભારતમાં ઘણા કાયદાના સિદ્ધાંત ઉલટાવી નંખાયા છે અને માત્ર ભારતીય જનતા પક્ષના શાસન હેઠળ જ નથી. ત્રાસવાદીને લગતા યુએપીએ, કેફી પદાર્થના એન.ડી.પી.એસ., પૈસાને કાળાના ધોળા કરવા સામેના પી.એમ.એમ. એ તેમજ નાગરિકત્વને લગતા નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન્સના કાયદામાં સાબિતીનો બોજ વ્યકિત પર નાંખવામાં આવ્યો છે. ગુજરાતના આયોજીત ગુનાખોરીને લગતા ગુજકોમ કાયદામાં જામીન મેળવવાની શરતો એટલી કડક છે કે તેમાં જામીન મેળવવાનું અશકય છે.

આ કાયદાઓ વગર પણ ભારત વ્યકિતઓ પર વધુ અને વધુ બોજ નાંખે અને તે આપણે ઝુબેરના કિસ્સામાં જોઇ શકીએ છીએ. રાજય પોતાની વિનાશક સત્તાઓ વાપરવામાં ઉત્સાહી છે. આ ભયંકર અને અવિચારી સ્થિતિ છે અને ન્યાયતંત્ર તેને કાબૂમાં લઇ શકતું નથી તે ભયંકર નુકસાન કરે છે. રાજયને ખટલો ચલાવવામાં રસ નથી જે આપણે જેલમાં પૂરેલો અને સપ્તાહો સુધી જામીન નહીં અપાયેલી મહાન હસ્તીઓના કિસ્સામાં જોઇ શકીએ છીએ. એક વાર આ લોકોને જામીન અપાય પછી સામાન્ય રીતે રાજયને રસ ઓછો થઇ જાય અને ખટલો અધ્ધરતાલ થઇ જાય. આ કાયદાનું શાસન નથી કે બંધારણની જાળવણી નથી. આ કોઇને કેવી રીતે હેરાન કરવા અને સૌથી પહેલાં જેલમાં કેમ રાખવા તેની વાત છે.

સેતલવાડ કે ઝુબેર જેવા કર્મશીલોને કસૂરવાર ઠેરવ્યા વગર જેલમાં રાખવામાં આવે તેનાથી કેટલાકને આનંદ થઇ ગયો હશે પણ તેમણે સમજવું જોઇએ કે બંધારણીય લોકશાહી કે આધુનિક રાજય તરીકે ભારતને કોઇ ફાયદો નથી. વિશ્વ ભારતને ક્રોધભરી નજરે એવા રાજય તરીકે જુએ છે જે નકારાત્મક દૃષ્ટિએ વ્યકિતઓ પર બદલો લે છે. કાયદાની વિનાશક શકિતનો અત્યારે થાય છે તેમ દુરુપયોગ થાય ત્યારે એક વિકસિત અને સમૃધ્ધ રાષ્ટ્ર બનવા તરફનો આપણો પ્રયાસ મુશ્કેલ બને છે.

મોહમ્મદ ઝુબેર અને તેના કાર્યની વિધાયક ગુણવત્તાની તો મેં હજી એક વાર પણ વાત નથી કરી. મોહમ્મદ સાચકલો તેણે સાથીદાર પ્રતીક સિંહા સાથે કરેલા કામ બદલ અન્ય કોઇ દેશમાં તો તેનું બહુમાન થયું હોત. આપણા દેશમાં તેને બિરદાવવાને બદલે ધિકકારવામાં આવે છે તે કમનસીબ છે. આ નવભારત છે, જયાં આપણા વીર અને વીરાંગનાઓને રાજય દ્વારા પોતાના જ લોકોને જફા પહોંચાડવાના ઇરાદે અપમાનિત કરી જેલમાં ધકેલવામાં આવે છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top