Comments

તેનું હાલનું સરનામું છે, સાબરમતી સેન્ટ્રલ જેલ, પણ ત્યાં તે ઈશ્વરને આકાર આપે છે

તેનું નામ પણ ગણેશ છે. મેં તેને આજ સુધી તેનું આખું નામ અને તે કયા ગુનામાં સજા કાપી રહ્યો છે તે પૂછયું નથી, કારણ મારી નિસ્બત તેના ભૂતકાળ સાથે નહીં, પણ કઈ રીતે તેનો વર્તમાન અને ભવિષ્ય સારું થાય તેની રહી છે. હું પહેલી વખત તેને 2017 માં મળ્યો હતો. અમદાવાદ સેન્ટ્રલ જેલના સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે સુનીલ જોષીની નિયુકિત થઈ હતી. હું સુનીલ જોષી સાથે સાબરમતી જેલમાં ગયો ત્યારે તેમણે એક માણસ તરફ ઈશારો કરતાં કહ્યું, આ ગણેશ છે.

ભગવાન ગણેશની બહુ સુંદર મૂર્તિઓ બનાવે છે. મને વિચાર આવ્યો કે ભગવાનને આકાર આપનાર  ગણેશના જીવનમાં એવું તો શું બન્યું હશે કે તેનું સરનામું સાબરમતી જેલ બન્યું, પણ મેં તરત મારા વિચારો ખંખેરી નાખ્યા કારણ મારે તે દિશામાં વિચારવું જ ન્હોતું. સુનીલ જોષીએ મને કહ્યું, ગણેશ ઈકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવે છે. જો તેને તમારો સહયોગ મળે તો તેનું બહુ મોટું કામ થશે. ઘણી વખત સામાન્ય માણસની સામાન્ય તકલીફ આપણા માટે બહુ સામાન્ય હોય છે, પણ જેઓ તે તકલીફમાંથી પસાર થતાં હોય છે તેમને મન તે સમસ્યા પહાડ સમી હોય છે.

મેં અને નવજીવન ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી વિવેક દેસાઈએ નક્કી કર્યું કે  ગણેશના કામની કદર થાય અને તેની આર્થિક સ્થિતિમાં સુધારો થાય તે દિશામાં કામ કરવું જોઈએ. બસ, ત્યારથી અમારી અને ગણેશની સફર શરૂ થઈ છે, જયારે કોઈને ખબર પડે છે અમે જેલના કેદીઓના શિક્ષણ  અને પુન:સ્થાપન માટે કામ કરીએ છીએ ત્યારે મિશ્ર પ્રત્યાઘાત મળે, અનેકોનાં નાકનાં ટેરવાં ચઢી જાય છે. કેદીઓ માટે કામ કરો છે, કારણ હજી આપણા મનમાં જેલમાં જનાર તમામ મહાગુનેગાર અને પાપી છે તેવો ભાવ છે, વાંક તેમનો પણ નથી, હું પણ વર્ષો સુધી આ ભાવ સાથે જીવ્યો, પણ 2017 પછી જયારે મેં આ કામની શરૂઆત કરી ત્યારથી મારી અંદર પણ બદલાવ આવ્યો છે. હું કહું છું કે હું કેદીઓનાં જીવન બદલાય તેના માટે કામ કરું છું, પણ પ્રમાણિકપણે કહું તો મારું જીવન બદલવામાં કેદીઓ દ્વારા ઘણું કામ થયું છે. બીજો એક વર્ગ એવો છે કે કેદીઓ સાથે કામ કરો છો તેવું જાણે ત્યારે તેમનો ચહેરા ઉપર એક ડર અને આશ્ચર્ય  છે.

તેઓ તરત સવાલ પૂછે કે તમને ડર લાગતો નથી કારણ તેમને મન કેદી એટલે ખુંખાર, લાલ આંખો, મોટી દાઢી અને કયારેય કોઈની ઉપર હુમલો કરી બેસે તેવો માણસ. હું તેમને કહું છું કે હિન્દી ફિલ્મમાં તમે જોયેલી જેલ અને કેદી તમારી કલ્પના છે, પરંતુ 98 ટકા કેદીઓ તો તમારા અને મારા જેવા સામાન્ય માણસ છે, જેઓ પોતાની નબળી ક્ષણને નિયંત્રિત કરી શકયા નહીં અને જિંદગીની પહેલી અને છેલ્લી ભૂલ તેમને જેલમાં લઈ આવી.,  આ બધા પૈકીનો એક ગણેશ છે, ગણેશ ઉપર ભગવાન ગણેશની કૃપા છે, તેના હાથમાં કલા અને હુન્નર છે, તે પોતે તો મૂર્તિકાર છે, પણ તેણે પોતાની સાથે રહેલા પચાસ કરતાં વધુ કેદીઓને મૂર્તિ બનાવવાની તાલીમ આપી છે, તે પૈકી ઘણા કેદીઓ પોતાની સજા પૂરી કરી છૂટી ગયા અને તેઓ પણ ગણેશની જેમ મૂર્તિઓ બનાવી પોતાનું ગુજરાન ચલાવે છે. ગણેશ પ્રકૃતિને પ્રેમ કરે છે અને તેનું રક્ષણ કરવાની જવાબદારી તેણે ઉપાડી છે એટલે જ તો માટીની જ મૂર્તિ બનાવે છે. તેના કામની ગુજરાત સરકારે કદર કરી છે. સરકાર પણ તેને આ કામમાં સહયોગ આપવા આર્થિક સહાય કરે છે.

આપણે બધા જ સામાન્ય માણસ છીએ.આપણી પણ આર્થિક મર્યાદાઓ છે, છતાં આપણી પાસે કયાં કંઈ છે તેવા ભાવને મેં વર્ષો પહેલાં તિલાંજલિ આપી. હું ઈશ્વરને કાયમ પ્રાર્થના કરું છું કે મને પુષ્કળ આપ અને તેની સાથે બીજાને આપવાનું મન પણ આપ અને ઈશ્વર મારી પ્રાર્થના સાંભળે છે. આપણે રામસેતુ બનાવતા ભગવાન રામની ખીસકોલી થવાનું છે, આપણાથી બનતી નાની મદદ આપવા તત્પર રહેવાનું છે. ગણેશ માટીની મૂર્તિ બનાવે છે અને તેની મૂર્તિનું વેચાણ થાય તેમાં અમે સહયોગ આપીએ છીએ. અમદાવાદથી ચાલીસ કિલોમીટર પ્રસિધ્ધ ગણેશ મંદિર આવેલું છે.

ગણેશ મંદિરના ટ્રસ્ટી નરેન્દ્ર પુરોહિતે થોડા દિવસ પહેલાં મારો સંપર્ક કર્યો. તેમને જેલમાં મૂર્તિ બનાવતા ગણેશ અંગે જાણકારી મળી. નરેન્દ્ર પુરોહિતે ગણેશની મૂર્તિઓ ખરીદી લોકોને આપવાનો નિર્ણય કર્યો છે. તેમનો એક નાનકડો પ્રયાસ ગણેશના બદલાતા જીવનને વેગ આપવા ઘણો સહાયભૂત થશે. બસ પ્રાર્થના એટલી જ છે જેલમાં રહેલા અનેક ગણેશોને જીવનની નવી દિશા આપવા આપણને ઘણા નરેન્દ્રની જરૂર પડવાની છે ત્યારે ઈશ્વર નરેન્દ્ર પૂરા પાડે.        – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top