Comments

યુ.એસ., યુકે અને ઇઝરાયેલમાં પોલિયો, શું મૌખિક રસીનો વિકલ્પ જરૂરી છે?

પોલિયો આમ તો મોટા ભાગના દેશોમાંથી નાબૂદ થઈ ગયો છે પણ હજુય વિશ્વના અવિકસિત અને રાજકીય રીતે અસુરક્ષિત પ્રદેશોમાં તે મોજૂદ છે. આવા દેશોમાં આરોગ્ય અધિકારીઓ એક ઝુંબેશ તરીકે મોઢેથી પીવડાવવાની રસીનો ઉપયોગ કરી રહ્યા છે, જે અત્યંત અસરકારક હોવાનું જણાયું છે. પોલિયો નાબૂદી માટેની લાંબા સમયથી ચાલી રહેલી ઝુંબેશમાં એક આઘાતજનક વળાંક આવ્યો છે. જેરુસલેમ, ન્યુયોર્ક અને લંડનમાં પોલિયો ફેલાઈ રહ્યો હોવાના સંકેતો મળ્યા છે અને આશ્ચર્યની વાત તો એ છે કે વાયરસ ફેલાવાનો સ્રોત રસીકરણ પોતે જ છે! રસી દ્વારા વાયરસ ફેલાવાની ઘટના અતિ અસામાન્ય પણ વૈજ્ઞાનિકો માટે જાણીતી છે. આ જ કારણથી કેટલાક દેશો પોલિયોની અન્ય રસીઓ તરફ વળ્યા છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના અહેવાલ પ્રમાણે ૨૦૧૭ થી મૌખિક રસી સાથે જોડાયેલા પોલિયોના ૨૬૦૦ થી વધુ કિસ્સાઓની સરખામણીમાં કુદરતી વાયરસના કારણે પોલિયોના માત્ર ૩૯૬ કેસ નોંધાયા છે.

ઇઝરાયેલી સત્તાવાળાઓને આ વર્ષની શરૂઆતમાં ત્રણ વર્ષના બાળકમાં પોલિયો જોવા મળ્યો હતો જેણે રસી લીધી ન હતી અને તેને લકવો થયો હતો. રસી ન લીધેલાં અન્ય બાળકોમાં પણ વાયરસ હોવાનું જાણવા મળ્યું હતું પરંતુ રોગનાં કોઈ લક્ષણો તેમનામાં નહોતાં. બ્રિટનમાં રોગનાં કોઈ લક્ષણો જોવા મળ્યાં નહોતાં છતાં બ્રિટીશ સત્તાવાળાઓએ જૂનમાં જાહેરાત કરી હતી કે ગટરના પાણીમાં વાયરસ ફેલાતો હોવાનું જણાયું છે.

સરકારે લંડનમાં ૧ થી ૯ વર્ષની વયનાં તમામ બાળકોને બૂસ્ટર રસી આપવાનું જાહેર કર્યું છે. ન્યુયોર્કના અધિકારીઓના જણાવ્યા અનુસાર, અમેરિકામાં રસીકરણ ન કરાયેલ એક યુવાનને પુખ્ત વયે પગમાં લકવો થયો હતો. ન્યૂયોર્કની ગટરોમાં પણ આ વાયરસ જોવા મળ્યો છે જે દર્શાવે છે કે તે ફેલાઈ રહ્યો છે. જો કે, અધિકારીઓએ બૂસ્ટર ઝુંબેશ શરૂ કરવાનો ઇનકાર કર્યો હતો કેમ કે તેઓ માને છે કે દેશમાં રસીકરણનો દર ખૂબ ઊંચો હોવાથી રોગ સામે પર્યાપ્ત સંરક્ષણ મળી રહેશે. આ ત્રણેય દેશોમાં રસીમાંથી પોલિયો વાયરસ ફેલાયા હતા, એટલે કે તેઓ મૌખિક રસીના વાયરસના વેરીએન્ટ હતા.

૧૯૮૮ થી પોલિયો સામે મૌખિક રસીકરણનો ઉપયોગ થઈ રહ્યો છે કારણ કે તે ઓછું ખર્ચાળ અને આપવામાં સરળ છે. આ રસીમાં જીવંત વાયરસ પણ એટેન્યુએટેડ સ્વરૂપમાં એટલે કે કમજોર કરાયેલ મોજૂદ હોય છે. મોઢાથી અપાયેલ રસીરૂપે વાયરસ પેટમાં જાય છે. જ્યારે રસીકરણ કરાયેલ વ્યક્તિ તેમના મળ દ્વારા રસીના જીવંત વાયરસને બહાર કાઢે છે ત્યારે આ રોગ સ્થાનિક વસતીમાં ફેલાઈ શકે છે અને સમય જતાં વ્યક્તિઓને લકવાગ્રસ્ત કરી શકે છે. આ જોખમને અટકાવવા ઘણા પોલિયોમુક્ત દેશોએ દાયકાઓ પહેલાં ઇન્જેક્ટેબલ રસીઓ તરફ ફેરબદલ કર્યું છે, જેમાં વાયરસ પહેલાંથી જ મરેલો હોય છે.

નોર્ડિક રાષ્ટ્રો અને નેધરલેન્ડ્સે ક્યારેય મૌખિક રસીનો ઉપયોગ કર્યો નથી. જો કે કેટલાક નિષ્ણાતો માને છે કે મૌખિક પોલિયોની રસી વિના આપણે કદાચ વિકાસશીલ દેશોમાં પોલિયો પર ક્યારેય કાબૂ ન મેળવી શક્યા હોત. ૧૯૮૮ માં જ્યારે વૈશ્વિક પોલિયો નાબૂદીના પ્રયાસો શરૂ થયા ત્યારે વાર્ષિક ધોરણે કુદરતી પોલિયોના આશરે સાડા ત્રણ લાખ કેસ આવતા હતા. આ વર્ષે અત્યાર સુધીમાં કુદરતી પોલિયોના ૧૯ કેસ નોંધાયા છે, જે તમામ પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને મોઝામ્બિકમાં થયા છે. ૨૦૨૦ માં રસી સાથે સંકળાયેલા પોલિયોના ૧૧૦૦ થી વધુ કેસો નોંધાયા હતા. ત્યાર બાદ આ વર્ષે અત્યાર સુધીમાં તે ઘટીને લગભગ ૨૦૦ થઈ ગયા છે.

WHOના પોલિયો વિભાગના ડાયરેક્ટર એડન ઓ’લેરીના જણાવ્યા અનુસાર લંડન અને ન્યૂયોર્કમાં પોલિયો ફેલાવાની ઘટના મોટા આશ્ચર્ય સમાન હતી. અધિકારીઓ તો અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં પોલિયો નાબૂદી પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા હતા, જ્યાં બાળકોને રસી આપવા બદલ તબીબી કર્મચારીઓને મારી નાખવાની ઘટના બને છે અને કેટલાક વિસ્તારોમાં તો અથડામણોને કારણે પ્રવેશ પણ મુશ્કેલ બન્યો છે. ઓ’લેરીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે ઇઝરાયેલ, બ્રિટન અને યુ.એસ. તાજેતરમાં નોંધાયેલ બ્રેકઆઉટ્સ પર ઝડપથી કાબૂ મેળવી લેશે.
ડૉ. જયનારાયણ વ્યાસ
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top