Columns

વાગે તે વાંસળી નહિ તો સાંબેલું…

મથી મથીને પરસેવાનું ખાબોચિયું બનાવી દો પણ, સાંબેલામાંથી સૂરનું પ્રાગટ્ય કરવું હોય તો, સાંબેલું પોલું કરવું પડે. તોયે એને વાંહળી નહિ કહેવાય, વાંહળો કહેવાય..! જે લોકો સાંબેલામાંથી સૂર કાઢવાની મથામણ કરતાં હોય, એની તો દયા જ ખવાય. એવા આળસુના ભંડાર હોય કે, કોઈ ફૂંક મારે તો જ વાંહળી પણ વગાડે. અશોક દવે લખે છે એમ, ‘નાગાને એક ઇંચ પણ વધારે નાગો કરી શકાતો નથી’  એવાને  સળી કરવા કરતાં, જાતે વાંસળી વગાડી લેવાની..! કદાચ ઢળતો મિનારો સીધો થાય, પણ એ કડવી વેલના તુંબડા મીઠા નહિ થાય..! શું કહો છો ચમનિયા..?  તંઈઈઈઈ..?

ગરમીની ડીગ્રી ઓછી છે કે, મગજે તાવો ચઢાવવાનો..? વાંસળી વગાડવા પણ ઉભાર જોઈએ. મતિને સદગતિ મળતી હોય તો જ વાંસળી ફૂંકાય..! જેના ભેજામાં સાંબેલું જ ફીટ થયું હોય, એને વાંસળીનો કૃષ્ણભાવ નહિ સમજાય. વાંસળી સેક્યુલર છે, કોમ્યુનલ નથી. પોતાની આંગળીથી એને વગાડીએ તો જ પોતીકી બને. મંજીરાનો ઝામો પામવો  હોય તો, પોતાના જ હાથે મંજીરા બાંધવા પડે, તો જીન્ચૂક..જીન્ચૂકનો આનંદ લુંટાય..! અમુક તો  આળસુના Departmental store જેવા..! જીવવા માટે, જાતે શ્વાસ લે છે  એ જ આપણા માટે ભયો ભયો..! નહિ તો શ્વાસ લેવા પણ  માણસો ભાડે રાખે તેવા..! એ આપણા ઉપર કરેલો ઉપકાર કહેવાય..! 

આળસુ માણસ ક્યારેય શિખર પામી શકતો નથી.  આળસાઈના મામલે. અમારો ચમનિયો એટલે ‘એઇટી-ટવેન્ટી’ કાપડ જેવો. વીસ ટકા આળસુ ને એંશી ટકા ઉદ્યમી..! એટલે કે  થોડુંક આદુ ને થોડીક સૂંઠ..! ખાંસી આવે, છીંક આવે કે ઓડકાર આવે કે દાંત ખોતરવાનો થાય, એવી તમામ કુદરતી ક્રિયાઓ પોતે જ પતાવે. ત્યાં સુધી કે, એ ભર ઉનાળામાં પરણેલો, પણ પૈણવા માટે જાતે જ  પીઠી ચોળીને નીકળેલો. ચૂંટણીનાં ઉમેદવારની માફક ડમી વ્યવસ્થા નહિ રાખેલી. પાંચ-છ હજાર કિલોમીટર કાપવાનાં આવે તો જ ‘ફ્લાઈટ’ પકડે, બાકી વોશરૂમ સુધી તો આજે પણ એ ચાલી કાઢે..!

ભાડે વાહન નહિ કરે..!  પણ જ્યારથી વાંસળી  વગાડવાના રવાડે ચઢ્યો, ત્યારથી  હાંફી ગયો. ફૂંક મારવા જાય તો વાંહળી વગાડવાનું ભૂલી જાય, ને વાંહળી વગાડવા જાય તો  ફૂંક મારવાનું ભૂલી જાય..! ફૂંક કરતાં થૂંક વધારે કાઢે..! જો કે, બિચારો કરે પણ શું..? એની ઈકોતેર પેઢીમાં ફૂંક મારવાની કારીગરી કોઈ શીખેલું જ નહિ. વાંસળીમાં તો ઠીક, કોઈના કાનમાં પણ ફૂંક નહિ મારેલી..! ને વાંસળી રહ્યું વાયુ-વાજિંત્ર..! સરખી ફૂંક મળે તો જ ફેણ કાઢે. કનૈયાએ વાંસળી વગાડી ત્યારે ભલે ગોપ-ગોપી ને ગોવાળો ઉમટ્યાં હોય, પણ ચમનિયો જો વાંસળી વગાડે તો, ગાય તો ઠીક, આખલા  પણ નહિ આવે..! વાંસળી વાગવા કરતાં સાંભળનારને પજવે વધારે..! રાધાને બદલે  અશ્રુની ધારા છૂટવા માંડે..!

સંગીત હોય કે વાજિંત્ર, બંને લજામણીના છોડ જેવા. કોઈ અણઘડ કલાકારના ગળે સંગીત ચઢી જાય ને હાથમાં વાજિંત્ર ભટકાય, ત્યારે સંગીત પણ લજામણીના છોડની જેમ બિડાઈ જાય. સારું છે કે, ગાવા ને વગાડવા સુધી ભ્રષ્ટાચાર પહોંચ્યો નથી..! ગળું ગમે એવું બગલાની ડોક જેવું રળિયામણું હોય, પણ ગળામાં સાત સૂરોએ ધામો નાંખ્યો નહિ હોય તો, ગાનાર પોતે જ ખંખેરાઈ જાય..! ક્યાં તો સંગીતને ગળું નહિ ફાવે, ક્યાં તો ગળાને ગાનાર નહિ ફાવે. માશુકાની માફક વાજિંત્રને જોઇને ગલગલિયાં થવાં જોઈએ. સંગીતમાં વાજિંત્ર ભલે નિર્જીવ લાગે, પણ એનામાં ય જીવ હોય. સંગીત સાથે સ્નાન સૂતક કે ન્હાવા નીચોવવાનાં સંબંધ હોવા જોઈએ. ના હોય, એને મન વાજિંત્રો ને ખેતીવાડીનાં ઓજાર બંને સરખાં. એને સાત સૂરો પણ  સાત સમંદર જેટલા છેટા લાગે. પછી એ કોઈ પણ પ્રકારનું વાજિંત્ર હોય કે, કોઈ પણ ઘરાનાનું સંગીત હોય..! વાંસળી ચુલ્હાની ફૂંકણી જેવી લાગે ને વાયોલિન મચ્છરનું રેકેટ લાગવા માંડે..! કાલે ઇતને સબ જાંબુ..!

વાંસળીના કારણે મને ભગવાન શ્રી કૃષ્ણ ગમે છે કે, બંસીધરના કારણે વાંસળી ગમે છે, એ હજી હું નક્કી કરી શક્યો નથી. છતાં વાંસળી મને ગમે બહુ. વાંસળી અને વાયોલીન બંને મારા મનગમતાં વાજિંત્ર. ઝૂંપડપટ્ટીના છોકરાને હવેલીવાળાની છોકરી સાથે ‘ઈશ્ક’ થઇ જાય, ને કેઈસ ફેઈલ જાય એમ, વાયોલીન સાથે LOVE કરવા તો ગયેલો પણ, બહુ ફાવ્યું નહિ, એટલે ‘સબકા માલિક એક’ જેવી વાંસળી સાથે પ્રેમગોષ્ઠી બાંધી. અલબત્ત, વાયોલીન કરતાં વાંસળી સાથેના પ્રેમાલાપ કરવા સરળ અને સારા. કારણ કે, વાયોલીનમાંથી  સાત સૂરના સાત કોઠા ભેદવા એટલે, સાત ડુંગરા ચઢીને સામે પાર જવા જેટલું અઘરું. અભિમન્યુ પણ હાંફી જાય..! ત્યારે વાંસળી અઘરી ખરી, પણ વાયોલીન  જેટલી નહિ.

થોડીક  ઇઝ્ઝી..! છીદ્રે-છીદ્રે સાત સૂરના દીવડા મૂક્યા હોય એટલે, વાગે નહિ તો ચીહાળા તો પાડે. ને સાચા સૂર નીકળ્યા, તો  એનો નાદ, બ્રહ્મનાદની અનુભૂતિ પણ કરાવે. કોઈએ અમસ્તું થોડું ગાયું છે કે,રાધાનું નામ તમે વાંસળીના સૂર મહીં વ્હેતું ના મેલો, ઘનશ્યામ સાંજ ને સવાર નિત નિંદા કરે છે ઘેલું ઘેલું રે ગોકુળિયું ગામ! વાંસળી અનેક નામે ઓળખાય..! કોઈ મોરલી કહે, વેણુ કહે, પાવો કહે, બંસી કે બંસરી કહે. પણ BPL જેવું, ગરીબીની રેખા હેઠળ આવતું હોય તેવું..! 

એટલે તો લોકસંગીતમાં વધારે ખીલેલું. શરણાઈ ઊંચા ઘરાનાની..! બે તડપતા હૈયાનું મિલન કરાવવામાં વાંસળીનું સંગીત જ રંગપૂર્તિ કરે. ત્યારે જુદાઈ કે વિયોગનું કલરકામ કરવાનું હોય તો, શરણાઈનું સંગીત કામ આવે. વાંસળીના સૂર સાંભળીને ગાંડાં-ઘેલાં બનેલાં ગોપ-ગોપી ને ગોવાળની વાતો અજાણ નથી. વાંસળીનો વટ છે મામૂ..? જે મેળામાં વાંસળીવાળો ના હોય, એને મેળો જ નહિ કહેવાય, એમ કોઈ પણ દેવી દેવતાનો મેળો હોય, તો મારા માટે દેવી-દેવતા કરતાં, વાંસળીનું મહત્ત્વ વધારે રહેતું..! વાંસળીનો અવાજ પડે ને મારામાં વિશ્વનો પ્રખ્યાત વાંસળીવાદક જેમ્સ ગેલ્વે, બેકસ્ટ્રેસર જ્યોર્જ બેરે કે પન્નાલાલ ઘોષનો આત્મા સજીવન થવા માંડે.

વર્ષો પહેલાં ફૂંકની ઈજ્જત હતી યાર..? ભગત-ભુવા ફૂંક મારતા એટલે ભલભલા દર્દ ગાયબ કરી દેતા, એવું સાંભળેલું. ફૂંક મારવાની ધમધોકાર હાટડીઓ ચાલતી. ખોટો હોય તો યાદ કરો પેલા ખેરાળુવાળા બાપુને..! એક જ ફૂંકમાં ભલભલાનાં દર્દ ગાયબ..! પછી એને કોણે ફૂંક મારી તે દેખાતા જ બંધ થઇ ગયા…! 
ફૂલોને અત્તરનું પદ પામવા ઉકળતી કઢાઈમાં ઉકળવું પડે છે
અને થાવા બાંસુરી વાંસના ટુકડાને આખા શરીરે વીંધાવું પડે છે

વાંસળી વાંસના સ્વરૂપે વનમાં હતી ત્યારે ટાઢ, તાપ, વરસાદ ઘણું બધું સહન કરીને એ વાંસળીના મુકામ સુધી આવી છે. કૃષ્ણના હોઠ સુધી પહોંચી છે.  અંદરથી પોલી હોવા છતાં, છિદ્રોને એણે ખૂલ્લાં મૂક્યાં છે. એના પેટમાં પાપ નથી અને પૂર્ણપણે કૃષ્ણને સમર્પિત છે. શ્રીકૃષ્ણે એટલે તો એને ક્યારેય અળગી કરી નથી. આ જીવન પણ વાંસળી જેવું છે, જો વગાડતાં આવડે તો સાતે સૂર બરાબર વાગે. આદમ ટંકારવીએ કહ્યું છે એમ,  ‘ખરું પૂછો તો ફૂંકોમાં ફરક છે, નહીંતર એક સરખી જ વાંસળી છે.’ માટે જ રાધા બનીને કાનાને કહેવાનું મન થાય કે, ‘હે કાના, મારા આ શરીરને  તારી વાંસળી બનાવ. સાત ચક્રોનું ભેદન કરીને બ્રહ્માસ્મિ અને એકોહમના  સંગીતથી તારા સૂર છેડીને વિશ્વ ચેતનામાં ભેળવી દે. હું ક્યાં નથી જાણતી કાના? તારી વાંસલડી પણ આ તારી રાધા જ છે.’

લાસ્ટ ધ બોલ
જંગલમાં મતદાન થયું
ઘણાએ કુહાડીને મત આપ્યો.
વૃક્ષોનું માનવું હતું કે,
કુહાડીનો હાથો આપણા
સમાજનો છે
વાંસળી લોકપ્રિય હોવા છતાં
હારી ગઈ…!
એના કપાળમાં કાંદા ફોડું.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top