Gujarat

આગામી તા.28મીના રોજ પીએમ મોદી જસદણ-ગાંધીનગરની મુલાકાતે આવશે

ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે તા.૨૮મી મે-૨૦૨૨ના રોજ ”સહકારથી સમૃદ્ધિ” કાર્યક્મ યોજાશે. જેમાં કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત સહકાર ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે.

કેબિનેટ પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની ગુજરાત મુલાકાતની માહિતી આપતાં કહ્યું કે, તા. ૨૮મી મેના રોજ વડાપ્રધાન ગુજરાતની એક દિવસની મુલાકાતે આવી રહ્યા છે. વડાપ્રધાન ગુજરાત મુલાકાત દરમિયાન જસદણ ખાતે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું લોકાર્પણ કરી જાહેર કાર્યક્રમને સંબોધશે અને એ જ દિવસે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે વડાપ્રધાનની અધ્યક્ષતામાં યોજાનાર ”સહકારથી સમૃદ્ધિ” સંમેલનને સંબોધશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ તારીખ ૨૭, ૨૮ અને ૨૯ મે દરમિયાન ગુજરાતની મુલાકાત લેશે. આ દરમિયાન અમદાવાદ, જામનગર, દ્વારકા, ગાંધીનગર અને ગોધરા ખાતે વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમો અંતર્ગત દ્વારકાની પોલીસ કોસ્ટલ અકાદમીના તાલીમાર્થીઓ સાથે સંવાદ, અમદાવાદ ખાતેના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઇ રહેલ આઈપીએલ ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ નિહાળશે અને તારીખ ૨૯ મી મેના રોજ ગોધરા ખાતે પંચામૃત ડેરી ખાતે યોજાનાર કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારના આઠ વર્ષ પુર્ણ થઇ રહ્યા છે ત્યારે તા.૩૧મી મેના રોજ વડાપ્રધાન સિમલા ખાતેથી વર્ચ્યુઅલી સંબોધન કરશે. આઠ વર્ષની ઉજવણીના ભાગરૂપે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના ૧૧માં હપ્તાના નાણાની રાશિ દેશભરના ખેડૂતોના ખાતામાં જમા કરાવશે. ગુજરાતમાં રાજ્યકક્ષાનો કાર્યક્રમ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ મહાત્મા મંદિર ખાતે યોજાશે. રાજ્યના વિવિધ જિલ્લા મથકોએ પ્રભારી મંત્રીઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમો યોજાશે. જેમાં વડાપ્રધાન સિમલા ખાતેથી ગુજરાતના લાભાર્થીઓ સાથે ઇ-સંવાદ કરી આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવશે.

પ્રવક્તા મંત્રી વાઘાણીએ કહ્યું હતું કે, વર્ષ ૧૯૮૧ના કાયદા હેઠળ એલ.પી.જી. ગેસ ડિલરોને ગેસ સિલિન્ડરના વિતરણ અને વેચાણ માટે પુરવઠા ખાતા પાસેથી લેવામાં આવતા નવા પરવાનામાંથી મુક્તિ આપવામાં આવી છે. આ સિવાય હયાત પરવાનાની મુદત પુરી થતા ડિલરોએ પરવાનાને રિન્યુ કરાવવાનો રહેશે નહી. આ નિર્ણયનો લાભ રાજ્યના આશરે ૧૦૦૦ જેટલા એલ.પી.જી. ડિસ્ટ્રિબ્યુટર્સને મળશે. પ્રવક્તા મંત્રીએ ક્હ્યું હતું કે, આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે આગામી તા. ૧૧ થી ૧૭ ઓગસ્ટ દરમિયાન ગુજરાત સહિત ભારતભરમાં ”હર ઘર ત્રિરંગા” કાર્યક્રમની ઉજવણી કરવામાં આવનાર છે. રાજ્યના નાગરિકો પોતાના ઘર પર ત્રિરંગો લહેરાવી શકે તે માટે રાજ્યના સ્વ સહાય ગૃપો દ્વારા ત્રિરંગા તૈયાર કરીને વેચાણ કરવામાં આવશે.

તેમણે કહ્યું હતું કે, કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન તેમજ વિવિધ રાજ્યો- કેન્દ્રશાસિત પ્રદેશના શિક્ષણ મંત્રીઓ, શિક્ષણ સચિવો સહિત ૨૫૦-૩૦૦ જેટલા મહાનુભાવોની ઉપસ્થિતિમાં આગામી તા. ૧ અને ૨ જૂન દરમિયાન ગાંધીનગર ખાતે ”નેશનલ કોન્ફરન્સ ઓન સ્કૂલ એજ્યુકેશન” યોજાશે. ગાંધીનગર ખાતે યોજાનાર કોન્ફરન્સમાં તા.૧લી જૂનના રોજ અલગ અલગ ટીમો દ્વારા વિધા સમીક્ષા કેન્દ્ર, બાયસેગ, એન.એફ.એસ.યુ. અને પી.ડી.ઇ.યુ.ની મુલાકાત કરવામાં આવશે. જ્યારે તા.૨ જૂનના રોજ મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે નેશનલ એજ્યુકેશન પોલિસી ૨૦૨૦ના અમલીકરણ, શાળામાં ચાલતી લર્નિંગ પ્રવૃત્તિઓ તેમજ ગુજરાતની બેસ્ટ પ્રેક્ટિસિસ ઉપર વિસ્તૃત ચર્ચા યોજાશે.

Most Popular

To Top