Gujarat

વડનગરને હેરિટેજ-ટુરિઝમ ડેસ્ટિનેશન બનાવાશે : મુખ્યમંત્રી

ગાંધીનગર : ગુજરાતના પ્રાચીન નગર વડનગરના ભવ્ય ઇતિહાસ અને સાંસ્કૃતિક વિરાસતને વિશ્વ સમક્ષ લેન્ડ માર્ક હેરિટેજ ટુરિઝમ ડેસ્ટિનેશન તરીકે પ્રસ્તુત કરાશે તેમ સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું. આજે કેન્દ્ર સરકારના સાંસ્કૃતિક બાબતોના મંત્રાલય, રાજ્ય સરકારના રમત-ગમત, યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ અને સંગ્રહાલય નિયામકના સહયોગથી આયોજીત ‘વડનગર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ’નો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના મહાત્મા મંદિરથી પ્રારંભ કરાવ્યો હતો.

વર્લ્ડ મ્યુઝિયમ-ડે, તા.૧૮મી મે થી ર૦ મી મે ત્રણ દિવસ દરમ્યાન યોજાનારી આ કોન્ફરન્સના પ્રારંભ અવસરે કેન્દ્રીય રાજ્ય મંત્રી મિનાક્ષી લેખી, રાજ્ય સરકારના યુવક સેવા-સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના મંત્રી હર્ષ સંઘવી, ભૂટાન, ભારત, માલદીવ્સ અને શ્રીલંકાના ડાયરેક્ટર અને યુનેસ્કોના પ્રતિનિધિ એરિક ફાલ્ટ તેમજ વિશ્વના ૬ રાષ્ટ્રોના અને દેશના વિવિધ રાજ્યોના પૂરાતત્વવિદો, ઇતિહાસવિદો, જુદી જુદી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને ઇતિહાસ તથા પુરાતત્વ રસિકો પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

મુખ્યમંત્રી પટેલે આ અવસરે યુનેસ્કો, આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડીયાની સહભાગીતા તથા ભારત સરકાર અને દેશની ખ્યાતનામ યુનિવર્સિટીઝના સહયોગથી રાજ્યના પૂરાતત્વીય ભવ્ય વારસા અને સંસ્કૃતિને વિશ્વ ફલક ઉપર પ્રોત્સાહન આપવાની રાજ્ય સરકારની તત્પરતા દર્શાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, વડનગર પ્રાચીનત્તમ અને સનાતન તથા દિવ્ય-ભવ્ય નગર છે. કાળની અનેક થપાટો ખાધા પછી પણ અવિચલ રહેલું વડનગર આર્ય સભ્યતાના ધ્રુવતારક જેવું નગર છે. મુખ્યમંત્રીએ બૌધવિહારો, કિર્નિતોરણ, શર્મિષ્ઠા તળાવ, તાના-રીરી ની સમાધિ જેવી ભવ્ય વિરાસતોના વાહક નગર તરીકે વડનગરની આગવી ઓળખ ઉભી થઇ છે તેનો પણ ઉલ્લેખ કર્યો હતો.

પટેલે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આપણા દેશની ધરોહર અને પ્રાચીન વારસા સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લગાવમાંથી પ્રેરણા મેળવીને ગુજરાતમાં પ્રાચીન વારસા-વિરાસતના રક્ષણ, સંવર્ધનનો આગવો રાહ અપનાવ્યો છે. આ સંદર્ભમાં વડનગરમાં આકાર પામી રહેલું આર્કિયોલોજીકલ એક્સપરિમેન્ટલ મ્યૂઝિયમ વિશેષતા બનશે, એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

કેન્દ્રના સરકારના સાંસ્કૃતિક રાજ્ય મંત્રી મીનાક્ષી લેખીએ ગુજરાતમાં યોજાઈ રહેલી વડનગર ઇન્ટરનેશનલ કોન્ફરન્સને આવકારતાં જણાવ્યું હતું કે નકારાત્મક અને નઠારાં પરિબળો સામે આશા અને હકારાત્મકતા સાથે ઝીંક ઝીલીને ટકી રહેવાની પ્રેરણા વડનગર સદીઓથી આપી રહ્યું છે. તેમણે વધુમાં વધુમાં જણાવ્યું હતું કે વડનગર એક પવિત્ર ધામ છે. વારાણસી જેટલો જ ભવ્ય ઇતિહાસ વડનગરનો છે.

ક્લાઇમેટ ચેન્જની ઐતિહાસિક સ્મારકો પરની અસર અંગે વાત કરતાં તેમણે જણાવ્યું કે દ્વારકા જેવું ભવ્ય નગર અને સંસ્કૃતિ ડૂબી ગયા, એ ઇતિહાસ આપણા માટે બોધપાઠ રૂપ બનવો જોઈએ. વડનગરમાં બૌદ્ધ મઠ મળી આવ્યા છે, કુશીનગર, સારનાથ, ગયાની જેમ વડનગર પણ બુદ્ધિસ્ટ સર્કિટનો એક ભાગ છે.

ગુજરાતની આગવી ઓળખ ધરાવતા વડનગરના તાનારીરી મહોત્સવને હવે કેન્દ્ર સરકારના સહયોગથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહોત્સવ તરીકે ઊજવવાની તેમણે જાહેરાત પણ કરી હતી. પીએમ નરેન્દ્ર મોદીના જન્મ સ્થળના ઐતિહાસિક વારસાને વિશ્વના બેસ્ટ ટુરિસ્ટ ડેસ્ટીનેશન સ્થળ તરીકે વિકસાવવાના મંત્ર સાથે યોજાઈ રહેલી આ ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ગુજરાતને આગવી ઓળખ અપાવશે.
તેમણે કહયું હતું કે ભૂતકાળમાં આ આપણા સાંસ્કૃતિક વારસાને નેસ્તનાબૂદ કરવા અનેક આક્રમણો થયા તેમ છતાંએ આજે આપણો વારસો અકબંધ છે. તેને ઉજાગર કરીને ભાવિ પેઢીને આપવો એ આપણા સૌની નૈતિક ફરજ છે. વડનગરનું કીર્તિ તોરણ, શર્મિષ્ઠા તળાવ, બૌદ્ધિક અવશેષો, હાટકેશ્વર મહાદેવ જેવા ઐતિહાસિક સ્થળોને વિશ્વ સ્તરે પ્રસ્થાપિત કરવામાં આજની આ કોન્ફરન્સ અત્યંત મહત્વની પુરવાર થશે.

વડનગર ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં ગુજરાત, ભારત અને વિવિધ દેશોમાંથી ભાગ લેવા આવેલા મહેમાનોને આવકારતાં યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, વડનગર જેવી અનેક પ્રાચીન-વિરાસતોએ ગુજરાતને ભારતમાં જ નહીં પણ ઐતિહાસિક-પ્રવાસન ક્ષેત્રે વૈશ્વિક ઓળખ અપાવી છે. ગુજરાતમાં વર્તમાનમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીની જેમ આગામી સમયમાં હજારો પ્રવાસીઓ ઐતિહાસિક નગર વડનગરની મુલાકાતે આવે તે પ્રકારે વિકાસ કરવામાં આવી રહ્યો છે. વડનગર શહેરના ભવ્ય વારસાને વિશ્વ સમક્ષ ઉજાગર કરવા માટેની આ પ્રથમ ત્રિ-દિવસીય કોન્ફરન્સમાં કુલ ૬ સત્રમાં ભારત સહિત વિશ્વભરના પુરાતત્વ વિદો, તજજ્ઞો અને વિવિધ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ શોધ-સંશોધન કરશે.

યુનેસ્કોના પ્રતિનિધિ એરિક ફાલ્ટ
વિશ્વ સંગ્રહાલય દિવસે ગુજરાતમાં યોજાઈ રહેલી આ ત્રિ-દિવસીય વડનગર ઇન્ટરનેશનલ કોન્ફરન્સને સંબોધન કરતાં ભારત, ભૂતાન, માલદીવ્સ અને શ્રીલંકાના યુનેસ્કોના પ્રતિનિધિ એરિક ફાલ્ટે કહ્યું હતું કે, વર્ષ ૨૦૧૫માં જ્યારે તેમની નિમણૂક પેરિસમાં કરવામાં આવી હતી ત્યારે, ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની યુનેસ્કોના હેડ ક્વાર્ટરની પ્રથમ મુલાકાતનું આયોજન કરવાનો અવસર મળ્યો હતો ત્યારે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું હતું કે, ભારતમાં ગુજરાત એ સમૃદ્ધ વારસો અને સાંસ્કૃતિક વિવિધતા ધરાવતું રાજ્ય છે. પ્રાચીન ભારતમાં આધુનિક ગુજરાતનું પણ નિર્માણ કર્યું છે.
ભારતની સાંસ્કૃતિક વિવિધતા અને વારસાને પ્રોત્સાહન આપવા યુનેસ્કો સક્રિય ભાગીદારી ભજવે છે . ગુજરાત એ ભારતમાં સૌથી વધુ વિશ્વ ધરોહર શિલાલેખો ધરાવતું રાજ્ય છે જ્યાં ચાંપાનેર, રાણીની વાવ, ઐતિહાસિક શહેર અમદાવાદ અને ધોળાવીરા જેવાં સાંસ્કૃતિક-ઐતિહાસિક વારસો ધરાવતા સ્થળો આવેલાં છે તે ગુજરાત માટે ગૌરવ સમાન છે તેમ તેમણે ઉમેર્યું હતું.

Most Popular

To Top