Gujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓને રાહત, કર્મચારીઓએ હડતાળ પાછી ખેંચી લીધી

ગાંધીનગર: (Gandhinagar) દિવાળીના વેકેશનમાં (Diwali Vacation) પ્રવાસીઓની સૌથી પહેલી પસંદગી એકતા નગર બની રહ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue Of Unity) ખાતે અત્યાર સુધીમાં છેલ્લા પાંચ વર્ષમાં ૧.૫૩ કરોડ પ્રવાસીઓ નોંધાઈ ચુક્યા છે. પ્રવાસીઓ અન્ય રાજયમાં જવાને બદલે નર્મદા જિલ્લાને પસંદ કરતા થયા છે. તેને કારણે જ નર્મદા જિલ્લાનું પ્રવાસન સ્થળ કેવડિયા દિવાળીની રજાઓમાં પ્રવાસીઓની ચલપહલથી ધમધમી ઉઠ્યું છે. સાથે સ્ટેચ્યુ પાસે બનાવેલ જંગલ સફારી, ચિલ્ડ્રન પાર્ક, જેવા તમામ 17 પ્રોજેક્ટો પણ દિવાળી વેકેશનમાં પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. બીજી તરફ એકતાનગર ખાતે વિવિધ એકમોમાં કાર્યરત કર્મચારીઓએ પોતાના વિવિધ પડતર પ્રશ્નોને લઈને આગામી દિવસોમાં હડતાલ પર જવા અંગે એલાન આપ્યું હતું, sou ઓથોરિટીએ કર્મચારી પ્રતિનિધિઓ સાથે શ્રેણીબદ્ધ બેઠકો યોજતા હવે સમાધાન થયું છે, જેથી કર્મચારીઓ હડતાળ પર જશે નહીં.

શનિવારે સાંજે SoU ઓથોરિટી, શ્રમવિભાગ અને કર્મચારીઓના પ્રતિનિધિઓ વચ્ચે પડતર પ્રશ્નોની ચર્ચા અને નિરાકરણ માટે એક ખાસ બેઠક યોજાઇ હતી. જેમાં બન્ને પક્ષે સમાધાન થયું હતું. આગામી દિવસોમાં શ્રમ વિભાગના અધિકારીઓ દ્વારા નિયમિત સુપરવિઝન તેમજ બેઠકો થઇ તમામ પ્રશ્નોનું સુખદ સમાધાન થશે એવી SOUના કર્મચારીઓમાં આશા બંધાઈ છે. આ બેઠકમાં કર્મચારીઓના પ્રશ્નો પર સર્વગ્રાહી ચર્ચા બાદ આગામી દિવસોમાં પ્રશ્નો ઉકેલવા તંત્રએ હૈયાધારણા આપતા આખરે કર્મચારીઓના પ્રતિનિધિઓએ પ્રવાસીઓ અને તમામ પક્ષોના જાહેર હિતમાં હડતાલનું એલાન પાછું ખેંચ્યું હતું. આગામી તા. 17/11/2023ના રોજ sou ઓથોરિટીના ઉચ્ચ અધિકારીઓ અને મદદનીશ શ્રમ કમિશનરની હાજરીમાં અગત્યની બેઠક કર્મચારીઓ સાથે થનાર છે, જેમાં કર્મચારીઓના પ્રશ્નો ઉકેલવા માટે હકારાત્મક ચર્ચા થશે અને તે બેઠકમાં કર્મચારીઓના હિતમાં નિર્ણય કરવામાં આવનાર છે.

આ અંગે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળના અધિક કલેકટર ગોપાલ બામણીયાએ જણાવ્યું હતું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તા મંડળના ચેરમેન મુકેશ પુરી અને મુખ્ય કારોબારી અધિકારી ઉદિત અગ્રવાલના માર્ગદર્શનમાં તમામ કર્મચારીઓના વ્યાપક હિતમાં નિર્ણય લેવા માટે અમારા તમામનો અભિગમ હંમેશા હકારાત્મક રહ્યો છે. ટૂંક સમયમાં તમામ પ્રશ્નો ઉકેલી લઈને તમામને ન્યાય મળે તે માટે અમારો અભિગમ રહેશે.હડતાળના પરત ખેંચવાના એલાન બાદ તમામ કર્મનિષ્ઠ કર્મચારીઓએ દિવાળીના વેકેશનમાં અત્રે આવનાર પ્રવાસીઓને કોઈ પણ તકલીફ ન પડે તે માટે પ્રતિબદ્ધ થઈને કાર્ય કરી રહ્યા છે.

Most Popular

To Top