Comments

લોકગીત એ સમાજ શિક્ષણનું અગત્યનું માધ્યમ છે, સમાજ જીવનનો વારસો છે

“ગરબો”…જેના ગર્ભમાં પ્રકાશ છે તે..છિદ્રો વાળા માટીના ઘડા માં દીવો મુક્યો છે તેને આપણે “ગરબો’કહીએ છીએ. આ ગરબો એ અભિવ્યક્તિનું પ્રતિક છે. જો નિયમો બંધનો વાળું સમાજ જીવન એ માટીનો ઘડો છે તો તેમાં રહેલા છીદ્રો એ આપણા તહેવારો છે. આ છિદ્રો આપણી લાગણી, આપણી અભિવ્યક્તિ ને પ્રગટ થવાની તક આપે છે. વિજ્ઞાનની રીતે અગ્નિ એટલેકે દીવાને પ્રજ્વલિત રહેવા માટે ઓક્સીજન એટલે કે હવા જોઈએ અને પ્રકાશને બહાર ફેલાવવા માટે જગ્યા જોઈએ આ બન્ને પ્રમાણસર હોવું જરૂરી. ઘડો હવા થી દીવાને ઓલવાઈ જતો બચાવે છે અને છિદ્રો દીવાને જરૂરી હવા મળી રહે તે વ્યવસ્થા પૂરી પાડે છે દીવાનો પ્રકાસ છિદ્રો દ્વરા બહાર આવે છે એટલે એક મોહક આકૃતિ બને. સમાજ જીવનમાં આવતા આવા પરમ્પરાગત તહેવારો,ઉત્સવ માણસને અભિવ્યક્ત થવાની તક પૂરી પાડે છે. આ લોક સમૂહની અભિવ્યક્તિ સમાજજીવનનું પ્રતિબિબ જીલે છે. જો કોઈ સમાજને સમજવો હોય તેની મર્યાદાઓ અને ખૂબીઓ જાણવી હોય તો તેના પરમ્પરાગત ઉત્સવો.વ્યવહારો ગીતો કથાઓ વાચવા સમજવા જોઈએ.

“ગરબો”-એ ગુજરાતનું લોક-અભિવ્યક્તિનું સશક્ત માધ્યમ છે. તે સાહિત્ય નો પણ પ્રકાર છે. અને નૃત્યનો પણ આપણા લોકપ્રિય ગરબાઓ આપણી સમાજ વ્યવસ્થા સમજણ, પરંપરાઓ ને અભિવ્યક્તિનો વારસો છે. જો કોઈ ને ગુજરાતના સમાજ જીવન, લોક સંસ્કૃતિનો અભ્યાસ કરવો હોય તો તેણે ગુજરાતના લોકસાહિત્યનો અભ્યાસ કરવો જોઈએ. લોક સાહિત્ય એ દર્પણ છે તે સમાજનો જેવો હોય તેવો જ ચહેરો બતાવે છે. આજે ગુજરતમાં નવરાત્રીનો ઉત્સવ ચરમ સીમાએ છે. યુવા પેઢી પાર્ટી પ્લોટમાં અને નાના બાળકો કે ઉમર વાળા લોકો સોસાઈટી કે પોળમાં ગરબા રમી રહ્યા છે. આજે નવમાં નોરતે આ ગવાતા ગરબામાં રહેલા સમાજ શાત્ર ને સમજવાનો નાનો પ્રયત્ન કરીએ.

એક તો ભરતમાં વર્ષમાં દેવી પુજાના મહત્વની દ્રષ્ટીએ ચાર નવરાત્રી આવે છે એમાં ચેત્રી નવરાત્રી ઉપાસકો માટે અગ્તની છે તો આ શરદની નવરાત્રી ગુજરતમાં ગરબા પ્રેમીઓ માટે મહત્વની છે. નવરાત્રી આખા દેશમાં ઉજવાય છે પણ નવરાત્રીઓ માં ગરબા ગવા કે નાચવાની પરમ્પરા માત્ર ગુજરતમાં છે. કદાચ દેશ જ્યારે ખેતી પ્રધાન હતો ત્યારે ગુજરતમાં ચોમાસું પાક ઉગ્યા પછી ખેડૂતો આ સમયમાં પાક સાચવવા મોડી રાત સુધી જાગતા હશે. આ સમયમાં ઘરકામ પતાવ્યા પછી નવરી પડેલી સ્ત્રીઓ એ માતાની ઉપાસનાના ગીત સ્તુતિ આરતી બહાર ચોકમાં કરવાનું વિચાર્યું હશે.

જેમાં થોડું નૃત્ય ભળ્યું હશે તાળીઓ ના તાલે સમુહમાં નાચવાની ગાવાની પ્રવુતિ શરુ થઇ હોવી જોઈએ શરૂઆત હમેશા ધર્મ કે શ્રધ્ધા કેન્દ્રી થાય પછી તેમાં સમાજ ઉમેરાય તે ન્યાયે શરૂઆતમાં માતાની આરાધના અને માતાના ભક્તિ ગરબાથી થઇ હશે પછી તેમાં બહેનો એ પોતાના ઊર્મિ ગીતો ગાવાનું શરુ કર્યું હશે. છિદ્રો વાળા માટીના ઘડાની જરુઅરિઆત જ એટલે સર્જાય કારણ દીવો ચોકમાં મુકવાનો હોય.તે પવનથી ઓલવાય નહી અને તેણે જ્રુરુઈ હવ મળતી રહે. વચમાં દીવો મૂકી ગોલમાં ફરતી બહેનો તાલી લેવા કેદ માંથી સહેજ નમે તો આ દ્રશ્ય પોતે પણ એક ગરબાનું સર્જન કરે છે.

આપણા પ્રાચીન ગરબામ અ માતાની ભક્તિ છે પણ આર્વાચીન ગરબામાં તો માત્ર જીવનની અનુભૂતિ છે જેમકે “માનો ગરબો એ રમે રાજને દરબાર..અલી સુથારની નાર તું તો સુતી હોય તો જાગ.આ ગરબો ધ્યાનથી સાંભળો એમાં સુથારને માની ગરબી બનાવવાનું કહેવાય છે પછી માળી ને ફૂલ સજાવાનું કહેવાય છે. ઘાંચી ની નારને દીવામાં તેલ પુરવાનું કહેવાય છે. સમાજ રૂપી ગરબો પણ બધી કોમ ભેગી મળી ને સજાવે છે. એક ગરબો છે માં પાવા તે ગઢ થી ઉતર્યા માં કાળી રે માએ વસાવું ચાંપાનેર પાવાગઢ વાળી રે..આ ગરબા મા પણ શહેર કેવી રીતે વસે તેની વાત છે શહેરમાં ચાર ચૌતા હોય એક સોની નો એક સુથારનો એક માળીનો, આ ગરબા એમ બતાવે છે કે કોઈ સમાજ કોઈ દેશ કોઈ સભ્યતા કોઈ એક થી નથી વિકસતી એતો સૌ સાથે મળી ને વિકસાવે છે. દેશ ત્યારે જ વિકસે જ્યારે માળી, મોચી,ઘાંચી, વાણીયા બ્રાહ્મણ સૌ સાથે મળી ને કામ કરે. ગરબામાં દેશ પ્રેમ પણ ભળે તો કેસરિયો રંગ તને લાગ્યો અલ્યા ગરબા જેવો ગરબો આપણને મળે.

ગુજરતના લોકપ્રિય ગરબામાં એક ગરબો છે મહેદી તેવાવી માળવે તેનો રંગ ગયો ગુજરાત રે મહેદી રંગ લાગ્યો સાંભળવા અને સમજવા જેવો ગરબો છે. ભૌગોલિક કથા મુજબ મહેદી મૂળ રાજસ્થાનમાં મળતી હતી. મહેદી ની શોખીન કોઈ દીકરી પરણી ગુજરતમાં આવી હશે ત્યારે તે સાથે મહેદીનો છોડ પણ સાથે લાવી હશે અને ગુજરાતમાં મહેદી ઉગવાની શરુ થઇ હશે..પણ આતો બાયોલોજીકલ વાત છે ગરબામાં તો વાત આ નથી ગરબો તો એક પરણિત સ્ત્રી ની ઉર્મીઓ લાગણીઓ વ્યક્ત કરે છે.

જ્યાં મહેદી તે વાવી માળવે નો અર્થ છે દીકરી માળવામાં પરણાવી અને તેનો રંગ એટલે કે પતિ ગુજરતમાં નોકરી અર્થે ગયો. ગીતમાં આગળ આવે છે નાનો દીયારીઓ લાડકો અને લાવ્યો મહેદી નો છોડ. વાટી ઘુટી ને ભર્યો વાટકો ભાભી રંગો તમારા હાથ……દિયર ભાભીને આગ્રહ કરે છે કે હાથમાં મહેદી મુકો પણ ભાભી શું કહે છે? મહેદી મૂકી ને વીરા શું રે કરું તેનો જોનારો પરદેશ રે……..આ પરણીતાની વેદના છે. તહેવાર છે, ઉત્સવ છે , સાજ શણગાર છે પણ એનો જોનારો હાજર નથી

ગરબા પહેલા ગવાતો એક છંદ યાદ કરો અષાડ ઉચ્ચારમ મેઘ મલહાર્મ બની બહારમ જ્લ્ધર્મ..આમાં અષાડમાં વરસતા વરસાદનું વર્ણન છે. સુકા પ્રદેશમાં ઉનાળામાં પશુ પાલકો ચાર માટે બીજા પ્રદેશમાં જતા ત્યારે પોતાની પત્નીઓ ને આશ્વાસન આપતા કે વરસાદ થાય એટલે પાછા આવીશું. હવે વરસાદ આવ્યો એટલે ઘરે બેઠેલી પત્ની પોતાના વર ને સાદ કરે છે કે વરસાદ વરસે છે.દેડકા બોલે છે. પક્ષીઓ ટહુકે છે. આમતો હું બળવાન હતી બધી ઋતુ સહન કર્યું પણ..આ વરસાદ આવ્યો છે ને તમે “ના લઇ સ્મ્ભાલમ.. સંભાળ લેતા નથી માટે “મેં બલી..હારી..હું હવે હરી ગઈ છું માટે ગિરધારી હવે ગોકુલ માં પાછા આવો

ભરતમાં રાધા કૃષ્ણ નહોય એવું કોઈ સાહિત્ય ના હોય.. આ પ્રતીકાત્મ્કા સમજવી જરૂરી છે. ગરબાઓ માં પ્રેમ છે..ઓ રંગ રસિઆ ક્યાં રમી આવ્યા રાસ..જેવા મીઠા જગડા છે. સાસરિયા ના ત્રાસની ફ્રીઆય્દ છે પીડા છે ઉર્મીઓ છે. કે જોબનીયું આજ આવ્યું ને કાલ જાશે જેવા યુવાની ના ગીતો છે. આ ગરબા ના અર્થ સમજીએ તો સમાજ ને સમજી શકાય. આ લોક શિક્ષણનું માધ્યમ છે જો ઉપયોગમાં લઈએ તો. એ માત્ર મનોરંજન થી ઘણું આગળ છે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top