Gujarat

ખેડૂતોના પાકને પ્રાણીઓથી બચાવવા 20 કરોડની સોલાર પાવર યુનિટ યોજનાનો આરંભ

ગાંધીનગર : આજે ગાંધીનગર (Gandhinagar) ખાતેથી રાજ્યના ખેડૂતોને (Farmer) વ્યક્તિગત ધોરણે સોલર પાવર યુનિટ કીટ ખરીદી માટે સહાયની નવીન યોજનાનો રાજ્ય વ્યાપી આરંભ થયો છે. આ યોજનાનો આરંભ કરાવતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે કહ્યું હતું કે રાજ્યમાં હાલ આ માટે લોખંડની કાંટાળી તારની વાડની યોજના કાર્યરત છે જે અંતર્ગત ખેડૂતોને ક્લસ્ટરના ધોરણે લાભ મળે છે, ત્યારે વધુને વધુ ખેડૂતોને સહાયરૂપ થવા માટે રાજ્ય સરકારે આ સોલાર પાવર યુનિટ/કીટ ખરીદીની વ્યકિતગત નવીન યોજના એક વિકલ્પ રૂપે શરૂ કરી છે. આ માટે વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન રૂ.૨૦ કરોડની જોગવાઈ પ્રથમ વર્ષે જ કરવામાં આવી છે. જેના ભાગરૂપે ચાલુ વર્ષે કુલ ૧૩૦૭૦ ખેડૂત ખાતેદારોને વન્ય/રખડતાં પ્રાણીઓથી પાકના રક્ષણ માટે સોલાર પાવર યુનિટ/કીટમાં ગુણવત્તા યુક્ત ENERGIZER, સોલાર પેનલ, બેટરી, EARTHING SYSTEM, HOOTER (એલાર્મ), MODULE STAND ખરીદ કરવા માટે કુલ ખર્ચના ૫૦% અથવા રૂપિયા ૧૫,૦૦૦ મુજબ ખાતા દીઠ સહાય આપવામાં આવશે.

રાજ્યના ખેડૂતોના કૃષિ ઇનપુટસની જાળવણી, જણસીઓનો સંગ્રહ અને મૂલ્ય વૃદ્ધિ થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મલ્ટીપર્પઝ ઉપયોગ હેતુ HDPE માર્કવાળા પ્લાસ્ટિકના ડ્રમ (200 લિટર) તેમજ 10 લિટરના બે ટોકર (ટબ) કીટ ખરીદ કરવા માટે સહાય આપવામાં આવે છે. આ માટે ચાલુ વર્ષે રૂ ૧૪૧ કરોડની મંજૂરી મળી છે. જે હેઠળ અંદાજિત ૭ લાખ ખેડૂત લાભાર્થીઓને કીટની ખરીદ કિમત અથવા રૂ.૨૦૦૦ લેખે સહાય આપવામાં આવશે. આ યોજના માટે i-khedut પોર્ટલ મારફત ૧૩.૯૨ લાખ અરજી મળી છે. જેનો ડ્રો કરી દિવ્યાંગ તથા મહિલા લાભાર્થીઓને અગ્રતા ક્રમ આપી કિટ ખરીદી માટે પુર્વ મંજૂરી આપવાનો આજથી શુભારંભ કરાયો છે.

તેમણે કહ્યું હતું કે ખેડૂતોને ગુણવતાવાળા અને વ્યાજબી કિંમતવાળા રાસાયણિક ખાતરો, ગુજરાત એગ્રો દ્વારા ઉત્પાદીત જૈવિક પ્રવાહી ખાતરો, જંતુનાશક દવાઓનું વિતરણ, આધુનિક વૈજ્ઞાનિક ખેત પદ્ધતિની માહિતી તેમજ રાજ્ય સરકારની ખેડૂતલક્ષી યોજનાઓનું અમલીકરણ સઘન રીતે થાય એ માટે રાજ્યમાં નવા ૫૫ ઉમેદવારોને નવીન એગ્રી બિઝનેસ સેન્ટર સ્થાપવાની મંજૂરી આજે આપવામાં આવી છે. જે સેન્ટરો આજથી કાર્યરત થઈ જશે. હાલ રાજ્યમાં કુલ: ૧૪,૦૦થી વધુ એગ્રી બિઝનેશ સેન્ટરો અને એગ્રી સર્વિસ સેન્ટરો કાર્યરત છે.

Most Popular

To Top