Comments

દરેક વ્યક્તિ પોતાના ગણપતિની જય બોલાવે છે..!

બાપા..! આખ્ખર એ દિવસ આવી ગયો, જેની તપસ્યા કરતાં હતાં..! ફરી ડી.જે. ના ધૂમધડાકા શરૂ થશે. (ડી.જે. એટલે (દેરાણી-જેઠાણી) નહિ. યુવાનોનું સાંસ્કૃતિક ડીવાઈસ..!) આપની આરાધના-પૂજા કરવાનો અને પ્રેમથી ડુબાડવાનો વળી એક લહાવો મળશે. આપ તો દેવાધિદેવ છો બાપા..! બધું જ જાણો છો કે, આપને ઘરે લાવતા કે ઘરમાંથી બહાર કાઢતાં અમારું હૈયું હાથ નથી રહેતું, એટલે તો અમારે ‘લૈલા હો લૈલા’જેવાં ગાયન ઉપર પણ ‘ડેન્સ’કરીને હળવા થવું પડે. શું કરીએ..? ભજનો અમને ફાવતાં નથી અને ગાયનો અમને રોકતાં નથી..! ડી.જે. વાગે ને શ્વાસમાં ‘ધમ્મ..ધમ્મ’ થવા માંડે.

આવું થાય ત્યારે આપે બહુ ચિંતન કે મનોમંથન નહિ કરવાનું .! ક્યારેક અમારું મનોરંજન પણ ચલાવી લેવાનું..! આપની આરતી કરતાં ક્યારેક અમારા ઓરતા પણ ઊંચા હોય..! આપની સેવામાં એવાં લીન થઈ જઈએ કે, અમે ઉજાગરાને બદલે ક્યારેક જાગરણ પણ કરીએ. બોલો ગણપતિ ગજાનન મહારાજકી જય..! જય તો બોલો યાઆઆર..? આમ તો બાપાની ખોટ અમને સાલતી નથી. ઘર-ઘરના રેશનકાર્ડમાંથી બાપા નીકળે. એ બધાં ખાટલાવાળા બાપા કહેવાય ને આપ રહ્યા પાટલાવાળા ને ઓટલાવાળા બાપા..! ખાટલાવાળા સાથે તો અમારે રોજના સંબંધ.! આપ તો વર્ષમાં એક વાર આવો, એટલે અમારા અતિથિ દેવો ભવ: કહેવાય..! એટલે તો પાટલાવાળા બાપાની સેવા-ચાકરી કરવામાં ઘણી વાર મહેણું પણ સાંભળવા મળે કે, ‘પાટલાવાળા બાપા કરતાં ઘરના ખાટલાવાળા બાપાની આટલી દરકાર રાખતાં હોય તો..? ‘

સાંભળીને બેસી રહીએ બાપા..! છોરું કછોરું થતાં નથી. વડીલ વાંકા થાય તો ભલે થાય, અમે રાંકા રહીને ચૂપ રહીએ..! અમારી વેદના કોને કહેવા જઈએ..? આપ રહ્યા સંસ્કૃતભાષી એટલે અમારી આંટીઘૂંટી સમજાવીએ પણ કેમ..? આપની સાથે મન મૂકીને વાત કરવા માટે સંસ્કૃત ભાષા શીખવાનો સંકલ્પ કર્યો, તો એમાં બબાલ થઇ..! શ્રીશ્રી ભગાને સંસ્કૃત શીખવવા એક ‘નોન ગુજરાતી’શિક્ષકને ટ્યુશન આપવા ફાળો કરીને ભાડે રાખ્યો, તો એ પણ માથે પડ્યો. શિક્ષકે એક દિવસ ભગાને કહ્યું કે, ‘તમસો મા જ્યોતિર્ગમય’નું ગુજરાતી કરો..! ભગાએ ગુજરાતી કરતાં એટલું જ કહ્યું કે, ‘મા તમે સૂઈ જાઓ, હું જ્યોતિના ઘરે જઈને આવું છું’ ત્યારથી શિક્ષક પણ ગુમ અને સંસ્કૃત પણ..! દુ:ખ એ વાતનું થયું કે, અમારા પૈસે શિક્ષક અમારું ગુજરાતી શીખી ગયો, પણ સંસ્કૃત અમારા ભેજામાં નહિ ઊગ્યું ..!

એક વાત છે ગણપતિબાપા..! અમારા ઓટલે આપને બેસાડ્યા પછી, કોઈ મોટી મિલકત વસાવી હોય એટલાં અમે હરખપદુડા તો થઇ જઈએ. એવાં શ્રદ્ધાળુ થઇ જઈએ કે, આપના ઉંદરડાને પણ માનભેર બોલાવીએ. કહો ને કે, શેતાન પણ શ્રદ્ધાળુ બની જાય..! ગાળો તો કોઈ બોલતું જ નથી, પણ બોલતાં હોય તે પણ ‘શ્રી ગણેશાય નમ:’ના સ્વસ્તિ વચનનું આદાનપ્રદાન કરતાં થઇ જાય. માતાને પણ માતેશ્રી ને પિતાને પિતા શ્રી કહેતાં થઇ જઈએ. આપના આગમન સાથે એવો પવિત્ર પવન ભરાવા માંડે કે, વાણી-વર્તન અને વ્યવહારમાં ફરક પડવા માંડે. પોતાના ગણપતિ સિવાય, બીજાના ગણપતિની જય પણ નહિ બોલાવીએ.

સામેવાળાનો ગણપતિ ગમે એટલો મોંઘો કે જાજરમાન હોય, તો પણ એની અદેખાઈ સુદ્ધાં નહિ આવે, એટલાં નિર્મોહી બની જઈએ. પોતાના ગણપતિ છોડીને બીજા કોઈ ગણપતિની આરતી કરવા પણ નહિ જાય. પોતાનાથી ઊંચા ગજાના ગણપતિ જોઇને, નહિ એ જીવ બાળે કે નહિ પોતાની ભક્તિમાં ભાંગફોડ કે બાંધછોડ કરે. માનસિકતા જ એવી જડબેસલાક બનાવી દે કે, પોતાના ગણપતિ જેવા હોય તેવા, સીદીના છોકરાં સીદીને વ્હાલાં..! પોતાના જ ગણપતિ સજીવ અને બાકીના નિર્જીવ હોય તેમ, બીજાના ગણપતિના ઉંદરની પણ જય નહિ બોલાવે..!

બાકી બધાં જ ગણપતિ સરખા હોય એ તો અમે પણ જાણીએ. બહુ બહુ તો બંને ગણપતિ વચ્ચે ભાવફેર કે બ્રાંડ-ફેર હોય એટલું જ..! દુકાનદારને ત્યાં ભલે બધાં ગણપતિ ભાઈબંધ જેવાં હોય, પણ વેચાયા પછી બાજુવાળાના ગણપતિ કોઈ બીજા ગ્રહમાંથી ઉતરી આવેલાં હોય એવો જ ભાવ પ્રગટે.! અમુક જગ્યાએ તો, હારેલા નેતા જેવી આભડછેટ હોય..! તેમનો પ્રસાદ લેવામાં પણ ડૂમો આવી જાય..! તેમના પ્રસાદમાંથી પણ ફોરાં કાઢે..! જે હોય તે, સલમાનખાન- શાહરૂખખાન કે આમિરખાન જેવી આજની પેઢી, પવિત્ર રહીને, પોતાના ગણપતિનું પૂજન-અર્ચન કરે એ કંઈ ઓછું નથી..! પોતાના તો પોતાના, ગણપતિની જય તો બોલાવે છે ને..? ગણપતિદાદા ખુદ જ્યારે મૂર્તિ બનાવનાર ગરીબ કારીગર અને મજૂરો ભૂખ્યા નહિ રહે, એ માટે વેચાવા તૈયાર થયા હોય ત્યારે, લોકોની માનસિકતા નહિ જોવાની..! ભાવ અને ભક્તિમાં ડોકિયું કરવાનું..! શું કહો છો રતનજી..!

વિસર્જન વખતે એક ભાઈ રેંકડીમાં ૧૦-૧૫ ગણપતિ લઈને પોતાના ગણપતિની જય બોલાવી જતા હતાં. મેં પૂછ્યું, ‘આ વખતે આટલા બધા ગણપતિને તમે પાટલે બેસાડેલા..? મને કહે, ‘પાટલે નહિ, વેચવા માટે ઓટલે બેસાડેલા..! વેચાયા એટલાનું બીજા વિસર્જન કરે છે ને નહિ વેચાયા તેનું હું વિસર્જન કરવા નીકળ્યો છું..!’તારી ભલી થાય તારી..! મઝાની વાત તો એ છે કે, અમુક લોકો તો ૩૬૫ દિવસના ગણપતિ માંડ્યા હોય એમ, પોતાની દુકાનના નામ જ ગણપતિબાપા સાથે જોડી દીધેલાં. જેમ કે, ગણેશ લોન્ડ્રી, ગજાનન આઈસ્ક્રીમ, ગણેશ બીડી, ગણેશ પાન હાઉસ કે ગણેશ કરિયાણા હાઉસ વગેરે વગેરે..! એમને ત્યાં બારેય માસ ગણેશદાદાની બરકત હોય..! પણ ગણપતિ ઉત્સવ માટે ફાળો લેવા કોઈ જાય તો સૂંઢને બદલે માથું હલાવે..! એમ કહે કે, ‘ધંધામાં મંદી જ એટલી ચાલે છે કે, તમને ખાલી હાથે મોકલતા મને શરમ આવે છે બોલ્લો..! એમ થાય કે, ફાળો આપવા કરતાં, તમારા માંડવે આવીને હું જ ગણપતિની જેમ બેસી જાઉં..! ચમનિયો એટલો ચાલુ તે કહે, “કાકા, છેલ્લા દિવસે તમને ડુબાડી દેવાનું પાપ લાગે એટલે, બાકી ચાલે તો ખરું..!’
લાસ્ટ ધ બોલ
આ દુનિયા એટલી મતલબી છે કે,માત્ર પાનવાળો જ પૂછે છે કે,“સાહેબ ચૂનો કેટલો લગાવું.?”
આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top