વડાપ્રધાનની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો : નરસિમ્હા કોમાર
‘સરદારધામ’ના ઉદ્ઘાટન પૂર્વે કલેક્ટર કચેરી ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ
વડોદરા, તા. 9
આગામી 11મી મે ના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરાના પ્રવાસે આવી રહ્યા છે. વડોદરાના આંગણે યોજાનારા ‘સરદારધામ’ના ભવ્ય ઉદ્ઘાટન કાર્યક્રમને ધ્યાનમાં રાખીને શહેર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ તેજ કરવામાં આવી છે. કાર્યક્રમને સફળ અને સુરક્ષિત બનાવવા માટે આજે શનિવારે દિવાળીપુરા સ્થિત નવીન કલેક્ટર કચેરી ખાતે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી.
બેઠકમાં વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર, જિલ્લા કલેક્ટર, પોલીસના ઉચ્ચ અધિકારીઓ તેમજ વિવિધ વિભાગોના જવાબદાર અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન વડાપ્રધાનના આગમનથી લઈને કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધીની સમગ્ર સુરક્ષા વ્યવસ્થા, રૂટ મેનેજમેન્ટ અને ટ્રાફિક નિયંત્રણ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
શહેર પોલીસ કમિશનરે મીડિયા સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે વડાપ્રધાનની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે. કાર્યક્રમ સ્થળ તેમજ વડાપ્રધાનના રૂટ પર વિશેષ નજર રાખવા માટે પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા સતત મોનીટરીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. સુરક્ષા પ્રોટોકોલ અનુસાર તમામ વ્યવસ્થાઓને અંતિમ રૂપ આપવામાં આવી રહ્યું છે અને ટૂંક સમયમાં રિહર્સલ પણ યોજાશે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે કાર્યક્રમ દરમિયાન કોઈપણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય તે માટે વિવિધ વિભાગો સાથે સંકલન સાધવામાં આવ્યું છે. જીએસઆરટીસી, વીએમસી, રેવન્યુ વિભાગ, એમજીવીસીએલ, ટ્રાફિક વિભાગ તેમજ વાહન પાર્કિંગ વ્યવસ્થા સહિતના મુદ્દાઓ પર પણ વિશેષ ચર્ચા કરવામાં આવી છે. શહેરમાં વાહન વ્યવહાર સરળ રહે અને કાર્યક્રમમાં આવતા લોકો માટે સુવિધાજનક વ્યવસ્થા ઉભી થાય તે માટે તંત્ર દ્વારા આયોજનબદ્ધ કામગીરી હાથ ધરાઈ રહી છે. વડાપ્રધાનના આગમનને લઈને શહેરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. બીજી તરફ સુરક્ષા એજન્સીઓ દ્વારા કાર્યક્રમ સ્થળ અને આસપાસના વિસ્તારોનું નિરીક્ષણ શરૂ કરી દેવામાં આવ્યું છે. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે તૈયારીઓ ચાલી રહી છે.