India

‘પૂજારીઓના કામમાં દખલ ન કરો’: સુપ્રીમ કોર્ટે પગાર નક્કી કરવાની અરજી ફગાવી

મંદિરના પૂજારીઓ અને કર્મચારીઓના પગાર સંબંધિત એક મહત્વપૂર્ણ અરજી પર સુપ્રીમ કોર્ટે સુનાવણી કરવાનો ઇનકાર કર્યો છે. અરજીમાં રાજ્યના નિયંત્રણ હેઠળ ચાલતા મંદિરોમાં પૂજારીઓ, સેવકો અને અન્ય કર્મચારીઓના પગાર તથા સુવિધાઓની સમીક્ષા કરવા માટે ન્યાયિક કમિશન અથવા નિષ્ણાત સમિતિ બનાવવાની માંગ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટની જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની બેન્ચે સ્પષ્ટ કહ્યું કે આ પ્રકારની અરજી બંધારણની કલમ 32 હેઠળ સાંભળી શકાય નહીં. કોર્ટએ અરજદારને અન્ય કાનૂની ઉપાયો અપનાવવાની છૂટ આપતા અરજી પાછી ખેંચવાની મંજૂરી આપી હતી. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે અરજદાર અને વકીલ અશ્વિની ઉપાધ્યાયને કડક શબ્દોમાં કહ્યું કે, ‘પૂજારીઓના કામકાજમાં દખલ ન કરો.’ કોર્ટનું કહેવું હતું કે શક્ય છે કે પૂજારીઓની વાસ્તવિક આવક અંગે સંપૂર્ણ માહિતી ઉપલબ્ધ ન હોય.

અશ્વિની ઉપાધ્યાયે દલીલ કરી હતી કે દેશની વિવિધ હાઇકોર્ટો, ખાસ કરીને અલ્હાબાદ હાઇકોર્ટે, અગાઉ રાજ્ય નિયંત્રિત મંદિરોમાં પૂજારીઓના પગારની સમીક્ષા કરવાની જરૂરિયાત અંગે ટિપ્પણીઓ કરી છે. તેમનું કહેવું હતું કે પૂજારીઓ અને મંદિર કર્મચારીઓને સન્માનજનક જીવન જીવવા માટે પૂરતું વેતન મળવું જોઈએ. આ અરજીમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોને રાજ્ય નિયંત્રિત મંદિરોમાં કામ કરતા પૂજારીઓ અને કર્મચારીઓના પગાર તથા લાભોની સમીક્ષા કરવા માટે નિષ્ણાત સમિતિ અથવા ન્યાયિક કમિશન રચવાનો નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી હતી. અરજદારે વધુમાં માંગ કરી હતી કે પૂજારીઓ અને મંદિરના કર્મચારીઓને વેતન સંહિતા 2019 હેઠળ “કર્મચારી” તરીકે માન્યતા આપવામાં આવે. અરજીમાં દલીલ કરવામાં આવી હતી કે જ્યારે રાજ્ય મંદિરના વહીવટ, નાણાંકીય વ્યવસ્થા અને સંચાલન પર નિયંત્રણ રાખે છે, ત્યારે માલિક અને કર્મચારી જેવો સંબંધ ઉભો થાય છે.

અરજીમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે ઘણા મંદિરોમાં પૂજારીઓ અને કર્મચારીઓને રાજ્ય દ્વારા નક્કી કરાયેલા લઘુત્તમ વેતન જેટલો પગાર પણ મળતો નથી. અરજદાર મુજબ, આ પરિસ્થિતિ બંધારણની કલમ 21 હેઠળ મળતા આજીવિકાના અધિકારનું ઉલ્લંઘન કરે છે. અશ્વિની ઉપાધ્યાયે જણાવ્યું હતું કે તેઓ વારાણસીના કાશી વિશ્વનાથ મંદિરમાં ગયા ત્યારે તેમણે જોયું કે ત્યાંના ઘણા પૂજારીઓ અને કર્મચારીઓ સન્માનજનક જીવન જીવવા માટે જરૂરી આવક પણ મેળવી શકતા નથી. અરજીમાં આંધ્રપ્રદેશ અને તેલંગાણાના ઉદાહરણો પણ આપવામાં આવ્યા હતા, જ્યાં પૂજારીઓ અને મંદિર કર્મચારીઓએ લઘુત્તમ વેતનની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યા હતા. અરજદારનું કહેવું હતું કે આ સમગ્ર વ્યવસ્થા ‘વ્યવસ્થિત શોષણ’ જેવી બની ગઈ છે.

અરજીમાં તામિલનાડુના મદુરાઈ સ્થિત દંડયુધપાણી સ્વામી મંદિરમાં ફેબ્રુઆરી 2025માં જાહેર કરાયેલા એક પરિપત્રનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તેમાં પૂજારીઓને આરતીની થાળીમાં દક્ષિણા સ્વીકારવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવાનું જણાવાયું હતું. અરજદારના મતે, આ નિર્ણયથી પૂજારીઓની આવકનો એક મહત્વપૂર્ણ સ્ત્રોત બંધ થઈ ગયો. જોકે, સુપ્રીમ કોર્ટે આ મુદ્દે વિગતવાર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો અને સ્પષ્ટ કર્યું કે અસરગ્રસ્ત લોકો સીધા સંબંધિત કોર્ટ અથવા યોગ્ય કાનૂની મંચનો સંપર્ક કરી શકે છે.

Most Popular

To Top