Columns

તુનિશા શર્માએ આપઘાત કર્યો હતો કે તેની હત્યા કરવામાં આવી હતી?

ટી.વી. સિરિયલો અને ફિલ્મોની જાણીતી અભિનેત્રી તુનિશા શર્માનાં અપમરણને એક સપ્તાહનો સમય વીતી ગયા પછી પણ દિશા સાલિયાન અને સુશાંત સિંહ રાજપૂતના કેસની જેમ તેનો વિવાદ શાંત પડવાનું નામ લેતો નથી. તુનિશા શર્માના મરણ બાબતમાં વસઈની પોલીસ દ્વારા આપઘાતનો કેસ દર્જ કરવામાં આવ્યો છે, પણ તુનિશાની માતા વનિતા શર્માને લાગે છે કે શીઝાન ખાને તુનિશાની હત્યા કરી છે. વનિતાના કહેવા મુજબ તુનિશા શીઝાન ખાન સાથે લગ્ન કરવા માગતી હતી, પણ તેનાં કુટુંબીજનોનો આગ્રહ હતો કે તુનિશાએ નિકાહ પઢતાં પહેલાં ધર્મપરિવર્તન કરીને ઇસ્લામ અંગિકાર કરવો જોઈએ. તે વાત માનીને તુનિશા હિજાબ પહેરવા લાગી હતી અને તેણે ઉર્દૂ બોલવાની પણ પ્રેક્ટિસ કરવા માંડી હતી.

તુનિશાની માતાના કહેવા મુજબ તુનિશાના હાથમાં શીઝાદનો મોબાઈલ ફોન આવી ગયો હતો, જેમાં કોઈ બીજી સ્ત્રી સાથેના વ્હોટ્સ એપ ચેટ તેના વાંચવામાં આવ્યા હતા. તુનિશાએ જ્યારે આ બાબતમાં શીઝાન સાથે ઝઘડો કર્યો ત્યારે તેણે તુનિશાને લાફો મારી દીધો હતો. તુનિશાએ ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો ત્યારે શીઝાદ સેટ પર જ હતો. તેણે મેક અપ રૂમનો દરવાજો તોડીને તુનિશાને બચાવવાની કોશિશ કરી નહોતી. તુનિશાને હોસ્પિટલમાં પણ શીઝાદ જ લઈ ગયો હતો. તુનિશાની માતાના જણાવ્યા મુજબ શીઝાન ડ્રગ્સનું સેવન પણ કરે છે.

તેના ૫-૬ યુવતીઓ સાથે સંબંધો હતા. તે માત્ર પોતાની વાસના સંતોષવા માટે જ યુવતીઓ સાથે સંબંધો બાંધતો હતો. શરીરની ભૂખ સંતોષાઈ જાય ત્યારે તે સંબંધ તોડી પાડતો હતો. તેણે તુનિશાની જેમ બીજી કોઈ યુવતી સાથે સંબંધો બાંધીને તોડી નાખ્યા ત્યારે તેણે પણ આપઘાતની કોશિશ કરી હતી. તે આજે સાઇકિયાટ્રિસ્ટ પાસે સારવાર લઈ રહી છે. તુનિશાની માતાના જણાવ્યા મુજબ શીઝાને જ્યારે તુનિશા સાથે બ્રેક અપ કર્યું ત્યારે તે પણ ડિપ્રેશનમાં આવી ગઈ હતી. તુનિશાની માતા તેને સાઇકિયાટ્રિસ્ટ પાસે લઈ ગઈ હતી, જ્યાં તેને સારવાર આપવામાં આવી હતી.

શીઝાન ખાન હેન્ડસમ હોવાથી ગ્લેમરની દુનિયામાં કામ કરતી અનેક યુવતીઓ તેના પ્રત્યે આકર્ષાતી હતી. શીઝાન ખાન દરેક સાથે પ્રેમમાં પડવાનો ઢોંગ કરતો, તેમને લગ્ન કરવાનું વચન આપતો, તેમની સાથે શારીરિક સંબંધો બાંધતો અને પછી મન ભરાઈ જાય ત્યારે તેમને તરછોડી દેતો હતો. તુનિશા ઘણી વખત શીઝાનના ઘરે રહેવા જતી અને તેઓ બેડરૂમમાં સૂતા હતા. શીઝાન પણ ઘણી વખત તુનિશાના ઘરે આવતો અને રાત રહેતો હતો. તેમના સંબંધો પતિ-પત્ની જેવા જ હતા, જેની જાણ તેમનાં કુટુંબીજનોને પણ હતી.

તુનિશાની મિત્ર રય્યા લબીબના જણાવ્યા મુજબ શીઝાન એક સાથે ૬થી ૧૦ સ્ત્રીઓ સાથે સંબંધ ધરાવતો હતો. તેના કહેવા મુજબ તુનિશા શીઝાન સાથેના સંબંધોને કારણે ગર્ભવતી બની હતી. તે શીઝાન સાથે લગ્ન કરવા માગતી હતી અને તેના બાળકની માતા બનવા માગતી હતી, પણ શીઝાનને લગ્ન કરવામાં કોઈ રસ નહોતો. તેણે તુનિશાને દબાણ કરીને ગર્ભપાત કરાવડાવી નાખ્યો હતો. તે પછી તુનિશા ડિપ્રેશનમાં રહેવા લાગી હતી. તુનિશાની કમાણી શીઝાન કરતાં વધારે હતી. તુનિશા શીઝાનને મોંઘી ભેટસોગાદો પણ આપતી હતી.

તુનિશાના કરુણ મરણ માટે તેની માતા હવે ભલે શીઝાન ખાનને જવાબદાર ગણાવતી હોય, પણ તુનિશા સાથે જે બન્યું તેમાં માતા તરીકે તેની પોતાની ભૂમિકા પણ જવાબદાર છે. તુનિશાએ ૧૩ વર્ષની ઉંમરથી ફિલ્મોમાં અને ટી.વી. સિરિયલોમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. તુનિશાની માતા માટે તુનિશા પૈસા કમાવાનું મશીન હતી. તેની કમાણીમાંથી જ તેણે ભાયંદરમાં પોશ ફ્લેટ ખરીદ્યો હતો. તુનિશાના પોર્ટફોલિયો બનાવીને તે નિર્માતાઓને મળવા જતી અને તેને કામ આપવા વિનવણી કરતી હતી. તુનિશા આવારા જણાતાં શીઝાન ખાનના પ્રેમમાં પડી ત્યારે પણ તેની માતાએ તેનો વિરોધ નહોતો કર્યો, પણ તેને પ્રોત્સાહન આપ્યું હતું.

તેણે પોતાની પુત્રીના ભવિષ્યની ચિંતા પણ કરી નહોતી. શીઝાન ખાને તુનિશાને દગો દીધો ત્યારે તેની આંખો ખૂલી ગઈ હતી, પણ ત્યારે બહુ મોડું થઈ ગયું હતું. શીઝાન ખાને તુનિશાને તરછોડી દીધી તે પછી તે તુનિશાને લઈને શીઝાનના ઘરે ગઈ હતી અને તેની સાથે ઝઘડી પણ હતી. શીઝાને તેને ચોખ્ખું સંભળાવી દીધું હતું કે તેના અને તુનિશાના સંબંધો પૂરા થયા છે. હવે તુનિશાની માતા દોષનો ટોપલો શીઝાનના માથે નાખી રહી છે. તુનિશાના અપમરણ માટે શીઝાનનાં કુટુંબીજનો પણ ઓછાં જવાબદાર નથી. તેમના પુત્રે કોઈ યુવતી સાથે સંબંધો બાંધ્યા અને તેને તરછોડી દીધી તેમાં તેમનો પણ સાથ હતો. શીઝાનના અનેક સ્ત્રીઓ સાથે સંબંધો છે, તે વાતની જાણ તેમને હોવી જોઈએ. તેમણે શીઝાનને મનમાની કરવાની છૂટ આપી હતી.

ફિલ્મોદ્યોગમાં શીઝાન જેવા ઘણા સિતારાઓ ડ્રગ્સ લેતા થઈ ગયા છે. બોલિવૂડના માંધાતાઓને ખુલ્લા કરવા મેદાને પડેલી કંગના રનૌતે કહ્યું છે કે બોલિવૂડમાં ડ્રગ્સની કેવી બોલબાલા છે, તે બાબતમાં તેની પાસે ચિક્કાર માહિતી છે. તે નેર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોને તમામ માહિતી આપવા તૈયાર છે. કંગના રનૌતે ચોંકાવનારી માહિતી આપી હતી કે તે જ્યારે સગીર હતી ત્યારે બોલિવૂડમાં તેને આશરો આપનારે તેનાં પીણાંમાં નશાકારક પદાર્થ ભેળવીને તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. આ સિલસિલો લાંબા સમય સુધી ચાલતો રહ્યો હતો. તેની કેદમાંથી મુક્ત થઈને તે સફળ હિરોઈન બની તે પછી તેને બોલિવૂડની પાર્ટીઓનાં નિમંત્રણો આવવા લાગ્યાં હતાં. તેમાં દારૂ અને ડ્રગ્સની રેલમછેલ જોઈને તે ચોંકી ગઈ હતી. તેમાં ડ્રગ્સ માફિયાઓ પણ આવતા હતા. જો બોલિવૂડના ઘણા સિતારાઓનું લોહી ચકાસવામાં આવે તો તેમાં હેરોઈન જેવી ડ્રગ્સ મળી આવશે.

વાચકોને યાદ હશે કે બોલિવૂડનો કલાકાર સંજય દત્ત તેના યુવાનીના દિવસોમાં નશાકારક પદાર્થોના રવાડે ચડી ગયો હતો, જેમાંથી મુક્તિ મેળવવા તેને રિહેબ સેન્ટરમાં મોકલવામાં આવ્યો હતો. બોલિવૂડની પાર્ટીઓમાં દારૂ ઉપરાંત ડ્રગ્સની પણ રેલમછેલ હોય છે તે જાણીતી બાબત છે. પોલીસે ભૂતકાળમાં જેમની ધરપકડ કરી હતી તેવા કેટલાક ડ્રગ પેડલરોએ પણ કબૂલ કર્યું હતું કે તેઓ બોલિવૂડના કલાકારોને પણ ડ્રગ્સ સપ્લાય કરે છે. કંગના રનૌતની ફેશન ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું હતું કે જાણીતા મોડેલો અને કલાકારો ડ્રગ્સના રવાડે ચડી ગયાં છે. સુશાંત સિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી તેને ડ્રગ્સ આપતી હતી અને તે કેટલાક ડ્રગ્સ પેડલરના સંપર્કમાં પણ હતી. રિયા ચક્રવર્તી પોતે પણ ડ્રગ્સ લેતી હતી કે કેમ? તે હજુ સ્પષ્ટ થયું નથી.

મુંબઈના નેર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો દ્વારા રિયા ચક્રવર્તી સામે નશાકારક દ્રવ્યોનો ઉપયોગ કરવા બદલ કેસ કરવામાં આવ્યો છે તેમાં ચોંકાવનારી વાતો બહાર આવશે. રિયા ચક્રવર્તીના ડિલિટ કરવામાં આવેલા વ્હોટ્સ એપ મેસેજો રિટ્રાઇવ કરવામાં આવ્યા તેમાં તેણે હોટેલ માલિક ગૌરવ આર્યા સાથે વાતચીત કરી હતી, જેમાં રિયા ચક્રવર્તી તેણે અજમાવેલી એલએસડી, એમડીએમએ વગેરે ડ્રગ્સ બાબતમાં માંડીને વાત કરે છે. ઇડી દ્વારા જ્યારે રિયા ચક્રવર્તીની મની લોન્ડરિંગ કેસમાં તપાસ ચાલી રહી હતી ત્યારે તેના ડ્રગ્સ બાબતના સંદેશા ધ્યાન પર આવ્યા હતા. રિયા ચક્રવર્તીએ જે ગૌરવ આર્યા સાથે ડ્રગ્સ બાબતમાં વાતચીત કરી હતી તે ગોવામાં હોટેલની માલિકી ધરાવે છે. ગોવા નશાકારક પદાર્થોનું મોટું કેન્દ્ર માનવામાં આવે છે. ફિલ્મ કલાકારોને ડ્રગ્સની સપ્લાય કોણ કરે છે? તેની પણ તપાસ કરવાની જરૂર છે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top