National

ખડગેએ મોદીને મળવાનો સમય માંગ્યોઃ કહ્યું-તમને કોંગ્રેસનો મેનિફેસ્ટો સમજાવવા માંગુ છું, જેથી તમે..

નવી દિલ્હી: (New Delhi) કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ (Mallikarjun Khadge) 4 દિવસમાં બીજી વખત મોદીને મળવાનો સમય માંગ્યો છે. ગુરુવારે તેમણે પીએમ મોદીને પત્ર લખ્યો હતો. જેમાં તેમણે કહ્યું કે તેઓ પીએમને કોંગ્રેસનો ઢંઢેરો સમજાવવા માંગે છે જેથી દેશના વડાપ્રધાન તરીકે તેઓ એવા નિવેદનો ન કરે જે ખોટા હોય.

ખડગેએ આ પહેલા 22 એપ્રિલે પીએમ પાસેથી સમય માંગ્યો હતો. તેમણે ગુરુવારે લખેલા બે પાનાના પત્રમાં લખ્યું છે કે પીએમએ તેમના તાજેતરના ભાષણોમાં જે પ્રકારની ભાષાનો ઉપયોગ કર્યો છે તેનાથી તેમને જરાય આશ્ચર્ય નથી. ખડગેએ કહ્યું કે તમારા સલાહકારો તમને એવી બાબતો વિશે ખોટી માહિતી આપી રહ્યા છે જે અમારા ન્યાય પત્રમાં નથી. તેથી તમને વ્યક્તિગત રીતે મળીને અને તમને મારો મેનિફેસ્ટો સમજાવવામાં મને આનંદ થશે.

ખડગેએ પત્રમાં લખ્યું કે એવી અપેક્ષા હતી કે મતદાનના પ્રથમ તબક્કામાં ભાજપનું ખરાબ પ્રદર્શન જોઈને તમે અને તમારી પાર્ટીના નેતાઓ સમાન ભાષામાં વાત કરશો. કોંગ્રેસ ગરીબો અને તેમના ન્યાયની વાત કરે છે. અમે જાણીએ છીએ કે તમે અને તમારી સરકારને ગરીબો અને વંચિતોની પરવા નથી.

તમારી સૂટ-બૂટ સરકાર કોર્પોરેટ માટે કામ કરે છે જેમના ટેક્સ તમે ઘટાડી દીધા છે. જ્યારે પગારદાર વર્ગને વધુ ટેક્સ ચૂકવવો પડે છે. ગરીબોએ ખોરાક અને મીઠા પર વધુ જીએસટી ચૂકવવો પડે છે જ્યારે અમીરો કોર્પોરેટ જીએસટી રિફંડનો દાવો કરી રહ્યા છે. તેથી જ્યારે અમે ગરીબ અને અમીર વચ્ચે સમાનતાની વાત કરીએ છીએ ત્યારે તમે તેને જાણીજોઈને હિંદુઓ અને મુસ્લિમો સુધી વિસ્તારો છો.

ખડગેએ કહ્યું કે અમારો મેનિફેસ્ટો દેશના લોકો માટે છે પછી તે હિન્દુ હોય, મુસ્લિમ હોય, શીખ હોય, ખ્રિસ્તી હોય, જૈન હોય કે બૌદ્ધ હોય. મને લાગે છે કે તમે હજુ સુધી તમારા આઝાદી પહેલાના સાથીઓ મુસ્લિમ લીગ અને અંગ્રેજોને ભૂલી શક્યા નથી. કોંગ્રેસે હંમેશા ગરીબોના સશક્તિકરણ માટે કામ કર્યું છે અને મોદી સરકારે નોટબંધી દ્વારા ગરીબોના પૈસા લૂંટવાનું કામ કર્યું છે.

તેમણે કહ્યું કે તમારી સરકારે નોટબંધીનો ઉપયોગ વ્યવસ્થિત લૂંટ અને કાનૂની લૂંટના એક સ્વરૂપ તરીકે ગરીબો દ્વારા જમા કરાયેલા નાણાંને અમીરોને લોન તરીકે ટ્રાન્સફર કરવા માટે કર્યો હતો. 2014 થી અત્યાર સુધી તમારી સરકારે લાખો કરોડોની કોર્પોરેટ લોન માફ કરી છે જે ગરીબોમાંથી અમીરોમાં સંપત્તિનું ટ્રાન્સફર છે. તમે કોઈ ખેડૂતની લોન, કારીગરોની લોન, MSME લોન કે વિદ્યાર્થીની લોન માફ કરી નથી.

ગરીબ અને પછાત વર્ગની મહિલાઓ પર થતા અત્યાચારો પ્રત્યે ભાજપ સરકારે સતત આંખ આડા કાન કર્યા છે. આજે તમે મંગલસૂત્ર વિશે વાત કરો. શું તમારી સરકાર મણિપુરની મહિલાઓ અને દલિત છોકરીઓ પરના અત્યાચાર માટે અને બળાત્કારીઓને માળા પહેરાવવા માટે જવાબદાર નથી? તમારી સરકારમાં ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે ત્યારે તમે તેમની પત્ની અને બાળકોને કેવી રીતે સુરક્ષા આપી રહ્યા છો? હું તમને મહિલા ન્યાય વિશે વાંચવા વિનંતી કરું છું કે જે અમારી સરકાર બનશે તો અમે અમલ કરીશું.

ખગડેએ કહ્યું કે તમારી આદત બની ગઈ છે કે તમે સમગ્ર વાતમાંથી થોડાક શબ્દો પસંદ કરો છો અને તેને ખોટી રીતે રજૂ કરો છો અને તેના દ્વારા કોમી વિભાજન કરો છો. આવી વાતો કરીને તમે વડાપ્રધાન પદની ગરિમા ઘટાડી રહ્યા છો. જ્યારે આ બધું સમાપ્ત થશે ત્યારે લોકોને યાદ હશે કે દેશના વડાપ્રધાને ચૂંટણીમાં હારના ડરથી આવા અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો.

Most Popular

To Top