National

મુસ્લિમો અંગે આવું નિવેદન આપી વડાપ્રધાન મોદી ફસાયા, ચૂંટણી પંચે લીધા એક્શન

નવી દિલ્હી: ચૂંટણી પંચે રાજસ્થાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણ વિરુદ્ધ નોંધાયેલી ફરિયાદો પર તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે પીએમના નિવેદનને લઈને કોંગ્રેસ અને માર્ક્સવાદી કોંગ્રેસ પાર્ટી (CPI-M)એ ચૂંટણી પંચનો સંપર્ક કર્યો હતો. જેમાં પીએમ મોદીએ આરોપ લગાવ્યો હતો કે જો કોંગ્રેસ સત્તામાં આવશે તો તે લોકોની સંપત્તિ મુસ્લિમોમાં વહેંચી દેશે.

ચૂંટણી પંચના સૂત્રોના જણાવ્યા અનુસાર પીએમના નિવેદનને લઈને નોંધાયેલી ફરિયાદો પર વિચાર કરવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસે 140 પેજમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ પંચને 17 ફરિયાદો કરી છે. કોંગ્રેસે ચૂંટણી પંચને વડાપ્રધાન મોદી સામે નક્કર કાર્યવાહી કરવાની અપીલ કરી હતી.

પાર્ટીએ દલીલ કરી છે કે પીએમ મોદીએ વિભાજનકારી અને દૂષિત નિવેદનો કરીને સ્પષ્ટપણે આચારસંહિતાનું ઉલ્લંઘન કર્યું છે. પાર્ટીનું એક પ્રતિનિધિમંડળ ચૂંટણી પંચ પહોંચ્યું અને વડાપ્રધાન મોદીની ટિપ્પણી અને અન્ય 15 મુદ્દાઓ અંગે ફરિયાદ કરી. આ પ્રતિનિધિમંડળમાં કોંગ્રેસના નેતાઓ અભિષેક મનુ સિંઘવી અને ગુરદીપ સપ્પલનો સમાવેશ થાય છે.

બીજી તરફ, CPI(M) એ સોમવારે કહ્યું હતું કે તેણે રાજસ્થાનમાં સંપત્તિના વિતરણ અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ટિપ્પણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ દાખલ કરવા સાથે દિલ્હી પોલીસ વડાને ફરિયાદ મોકલી છે. આ મામલે દિલ્હી પોલીસ કમિશનરને પત્ર મોકલવામાં આવ્યો હતો. 

ભાષણાં શું બોલ્યા હતા પીએમ મોદી?
વડાપ્રધાન મોદીએ રવિવારે રાજસ્થાનમાં એક ચૂંટણી રેલીમાં કહ્યું હતું કે જો કોંગ્રેસ કેન્દ્રમાં સત્તામાં આવશે તો તે લોકોની સંપત્તિ લઈ લેશે અને તેને ઘૂસણખોરો અને વધુ બાળકો ધરાવતા લોકોને વહેંચી દેશે. મોદીએ આ વાત પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના એક નિવેદનને ટાંકીને કહી હતી, જેમાં તેમણે કથિત રીતે કહ્યું હતું કે દેશના સંસાધનો પર લઘુમતી સમુદાયનો ‘પ્રથમ અધિકાર’ છે.

Most Popular

To Top