SURAT

સિવિલના તબીબોએ હદ કરી: અકસ્માત મોત થયેલ મૃતદેહ કલાકો રઝળતો રહ્યો

સુરત: સુરત (Surat) શહેરના હદ વિસ્તરણ (Border expansion)ને લઇને સિવિલ હોસ્પિટલ (civil hospital)માં પીએમ (Pm) કરવાને લઇને બબાલ શરૂ થઇ છે. શનિવારે મોડીરાત્રે ઇચ્છાપોર ઓએનજીસી રોડ પર અજાણ્યા વાહન અડફેટે મોત (Accidental death) નીપજેલા અજાણ્યા યુવકનું સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમને લઇને વિવાદ શરૂ થયો હતો.

હદ વિસ્તરણને લઇને જિલ્લાના તબીબોએ રવિવારે સવારે પીએમ કરવાની ના પાડી દેતા સિવિલના તબીબો અકળાઇ ગયા હતાં. જો કે દિવસભર મૃતદેહ પડી રહ્યા બાદ સિવિલના તબીબોએ પીએમ કર્યું હતું. જિલ્લાના તબીબો દ્વારા આ મામલે એવુ કહેવાય છે કે કોઇ પણ જીઆર વગર બારોબાર તેઓએ પીએમ માટે આવવાની ના પાડી હતી. સિવિલના તબીબો દ્વારા આના પાછળ કોઇ કાયદાકીય કાગળ હોયતો બતાવવા જણાવ્યુ હતુ. અલબત તબીબો સિવિલમાં આવવા માટે ઇનકાર કરી દીધો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ અત્યાર સુધી શહેરના સચીન અને ઇચ્છાપોર વિસ્તારનું મૃતદેહનું પોસ્ટમોર્ટમ જિલ્લાના મેડિકલ ઓફિસર સીએસસી તથા સિવિલમાં આવીને કરતા હતા. શનિવારે મોડીરાત્રે ઇચ્છાપોર ઓએનજીસી રોડ પર આસપાસ દાદાના મંદિર પાસે અજાણ્યા વાહન અડફેટે અંદાજે 30 વર્ષના યુવાનનું મોત નીપજ્યું હતું. સ્થાનિક રહિશોને જાણ થતા તેઓએ પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી. જેના પગલે ઇચ્છાપોર પોલીસની પીસીઆર અને ઇન્વેના માણસો ઘટના સ્થળે આવી ગયા હતા. પોલીસે અકસ્માત મોતની નોંધ લઇ અજાણ્યા યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલમાં લઇ આવી હતી. જયાં સિવિલના તબીબોએ પોસ્ટમોર્ટમ માટે જિલ્લાના મેડિકલ ઓફિસરને જાણ કરી હતી. જો કે મેડિકલ ઓફિસરે સુરત મહાનગર પાલિકાના હદ વિસ્તરણમાં ઇચ્છાપોર આવી ગયું હોવાથી પીએમ કરવાની ના પાડી દીધી હતી. જેના કારણે સિવિલના તબીબોએ પણ તેનો વિરોધ કર્યો હતો.

આ અંગે તાલુકા મેડિકલ ઓફિસર ડો. ગામીતે જણાવ્યું હતું કે, ઇચ્છાપોરના તમામ ગામોની મેડિકલની જવાબદારી જિલ્લા પાસેથી સુરત મહાનગર પાલિકાએ લઇ લીધી છે. જેથી હવે તમામ કામગીરી સુરત મહાનગર પાલિકા કરી રહ્યુ છે. જયારે સિવિલના તબીબોએ જણાવ્યું હતું કે, સરકારના આરોગ્ય વિભાગનું સુચન હજી સુધી કરવામાં આવ્યું નથી. તેમ છતા માનવતાના ધોરણે બપોર બાદ અજાણ્યાનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.

Most Popular

To Top