National

નવરાત્રિ પહેલાં કેન્દ્રીય કર્મચારીઓને મળી શકે છે ખુશખબર

નવી દિલ્હી: આ વખતે કેન્દ્રીય કેબિનેટ નવરાત્રિ દરમિયાન કર્મચારીઓના ડીએ અને ડીઆર અંગે જાહેરાત કરી શકે છે. છેલ્લાં કેટલાંક વર્ષો પર નજર કરીએ તો કેન્દ્રીય કેબિનેટ (Central Cabinet) નવરાત્રિ (Navratri) દરમિયાન DA અને DR પર સારા સમાચાર આપે છે. તેથી કેન્દ્રીય કર્મચારીઓ (Central Government) અને પેન્શનરો (Pensioner) DA/DR પર વધારવાની રાહ જોઈ રહ્યા છે.

એક કરોડથી વધુ કર્મચારીઓ અને પેન્શનરોને વર્ષના બીજા ભાગમાં એટલે કે 1 જુલાઈથી ડીએમાં (DA) વધારાથી રાહત મળશે. આશા છે કે સરકાર 15 ઓક્ટોબર પછી કોઈ પણ દિવસે સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર જાહેર કરી શકે છે. બીજી તરફ ચૂંટણી પંચ દ્વારા પાંચ રાજ્યોની વિધાનસભા (MLA) ચૂંટણીને (Election) લઈને જાહેરનામું પણ બહાર પાડવામાં આવનાર છે.

ચૂંટણીને લઈને જાહેરનામું બહાર પડતાં પહેલાં જ DAમાં વધારો થશે
જો પાંચ રાજ્યોની ચૂંટણી સંબંધિત જાહેરનામું બહાર પાડવામાં આવે છે, તો સરકાર દ્વારા ડીએમાં વધારો કરવાની જાહેરાત કોઈ પડકારથી ઓછી નહીં હોય. ચુંટણી મેદાનમાં આ મુદ્દો વત્તા-ઓછા પ્રમાણમાં સારી-ખરાબ અસર કરી શકે છે. તેથી આ જોતાં સરકાર ચૂંટણી અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવે તે પહેલા ડીએની જાહેરાત કરવાનો પ્રયાસ કરી રહી છે. સરકાર દ્વારા દર વર્ષે બે વાર ડીએને લઈને જાહેરાત કરવામાં આવે છે.

પ્રથમ જાહેરાત માર્ચની આસપાસ કરવામાં આવે છે, અને કર્મચારીઓને 1 જાન્યુઆરીથી ચૂકવણી કરવામાં આવે છે. જ્યારે ડીએ સંબંધિત બીજી જાહેરાત ઓક્ટોબર મહિનામાં કરવામાં આવે છે, અને કર્મચારીઓને તેનો લાભ 1 જુલાઈથી આપવામાં આવે છે.

કેન્દ્રના કર્મચારીઓને ડીએ 42 ટકાના દરે ઉપલબ્ધ
હાલમાં સાતમા કેન્દ્રીય પગાર પંચ પ્રમાણે કેન્દ્રના કર્મચારીઓ અને પેન્શનરોને 42 ટકાના દરે DA ચૂકવવામાં આવે છે. આ વખતે તે વધીને 45 ટકા થવાની ધારણા છે. જો કે, કર્મચારી યુનિયન ડીએમાં 4 ટકાના વધારાની માંગ કરી રહ્યું છે. જો DAમાં ત્રણ ટકાનો વધારો થશે તો 1 જુલાઈથી કેન્દ્રના 47 લાખ કર્મચારીઓને તેનો લાભ મળશે. એ જ રીતે 68 લાખ પેન્શન ધારકોને પણ 1 જુલાઈથી વધેલા DR એરિયર્સની ચૂકવણી કરવામાં આવશે.

Most Popular

To Top