Comments

કેનેડા-ભારત સંબંધો અને તેનો સૂચિતાર્થ

તાજેતરમાં કેનેડાની સંસદમાં ત્યાના વડા પ્રધાને કેનેડાના વેનકુંવર શહેરમાં ખાલિસ્તાની રાષ્ટ્રના એક ચળવળિયાની થયેલી હત્યામાં ભારત સરકારનો હાથ હોવાનો ખુલ્લો આરોપ મૂકતાં કેનેડા-ભારતના સંબંધો ખૂબ વણસી ગયા છે અને આ આરોપથી આક્રોશિત ભારત સરકારે કેનેડાના અહીંના રાજદૂતની હકાલપટ્ટી કરી છે તેમજ કેનેડાનાં નાગરિકોને ભારતના વિઝા આપવાની મનાઈ ફરમાવી દીધી છે. કેનેડાની ગણના જગતના એક વિકસિત અને શક્તિશાળી રાષ્ટ્રમાં થાય છે.

કેનેડાનો ભૌગોલિક વિસ્તાર ભારત કરતાં ત્રણ ગણો છે અને તેની GDP Per Capita ભારત કરતાં આશરે વીસ ગણી વધુ છે. કેનેડા ખેતીવાડી, જંગલ અને ખનિજ સંપદા, શિક્ષણ, આધુનિક ટેકનૉલોજી, ઉદ્યોગો અને અન્ય રાષ્ટ્રોમાંથી સ્થળાંતરિત થયેલ કુશળ માનવબળની દૃષ્ટિએ પણ અતિ સંપન્ન છે અને ત્યાં નાગરિક જીવનની ગુણવત્તા ઉચ્ચ કક્ષાની હોવાથી આપણા દેશનાં વિદ્યાર્થીઓ/નાગરિકો કેનેડા સ્થળાંતરિત થવા લાલાયિત હોય છે અને થાય છે.

તાજેતરનાં વર્ષોમાં આપણા દેશના સંબંધો ઘણાં રાષ્ટ્રો સાથે વણસ્યા છે, જેમાં આ વધુ એકનો ઉમેરો થયો છે. આ દુ:ખદ ઘટનાને આપણે આપણી આગવી વિચારસરણી મુજબ મૂલવી શકીએ. પરંતુ એક વાત પાકી છે કે વિકસિત રાષ્ટ્રની હરોળમાં બેસવાની મહેચ્છા ધરાવનાર પરંતુ એ માટે જેણે હજુ ખૂબ લાંબી મંજિલ કાપવાની છે એવા આપણા રાષ્ટ્ર માટે અંદરની જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સહકાર અને સૌહાર્દ જાળવવાની તાતી આવશ્યકતા છે અને તેમાં જ આપણી રાજકીય નેતાગીરીની અગ્નિપરીક્ષા છે.
નવસારી – કમલેશ આર. મોદી- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top