Comments

ભા…હવે તો ઝપ(જપ) શંભુ મેળામાં હજુ કેટ – કેટલાને ભેળા કરવાના છે

એક સમયે ભાજપ અને નરેન્દ્ર મોદી માટે જાતભાતના અને ચિત્રવિચિત્ર શબ્દોનો છડેચોક ઉપયોગ કરીને આખીયે રાજ્ય વ્યવસ્થાની ખુલ્લેઆમ તીરીઓ ઉડાડતા પાટીદાર અનામત આંદોલનના એક સમયના પાવરફુલ નેતા હાર્દિક પટેલને કેસરિયો ખેસ ઓઢાડવામાં એવું તે શું નાસી જતું હતું કે જેમની સામે હાર્દિકે હાકોટા કર્યા હતા. એ નેતાઓ હાર્દિકને કેસરી ટોપી પહેરાવવા કમલમમાં ભીડરૂપે ભેગા થયા હતા! ભાજપવાળા પણ હાર્દિકને લેવા આટલા હરખપદુડા કેમ થયા છે, એની ગુસપુસ ભાજપના હિતેચ્છુ કાર્યકર્તાઓમાં પણ થઇ રહી છે. ભાજપના રાષ્ટ્રસેવાના કાર્યમાં નાનકડો સિપાઇ થઇને કામ કરીશ – એવી ડાહી ડાહી વાતો હવે હાર્દિક પટેલ કેમ કરે છે એની ચર્ચા ચોમેર ચાલી રહી છે.

કોંગ્રેસ જે રીતે હાર્દિક પટેલના મામલે પસ્તાય છે ને ભૂલ કર્યાનો અહેસાસ કરે છે, એવું કહે છે કે ભાજપનું પણ થશે. આમ છતાં હાર્દિક પટેલના યુવાવૃંદમાં ભાજપનો કેસરિયો ઓઢ્યાની વ્યાપક ખુશાલી પ્રવર્તી રહી છે. ભાજપમાં વર્ષો સુધી નિષ્ઠાપૂર્વક કામગીરી કરનારા કંઇક કાર્યકર્તાઓ હાર્દિકના ભાજપ પ્રવેશથી નારાજ હોવાના વાવડ મળી રહ્યા છે. ભાજપના જે – જે નેતાઓની સામે હાર્દિક પટેલે મોરચા માંડીને હેરાન પરેશાન કર્યા હતા, એવા ઉત્તર ગુજરાતના રજનીભાઇ પટેલ, ઋષિકેશ પટેલથી માંડીને સુરત સુધીના કંઇક નેતાઓ પણ હાર્દિકના ભાજપ પ્રવેશથી ખુશ તો નથી જ નથી.

નરેન્દ્રભાઇ મોદી જેવી વૈશ્વિક પ્રતિભાના ચુંબકીય વ્યક્તિત્વ થકી જેની આજકાલ હાક વાગી રહી છે, એવા દેશના સૌથી મોટા પક્ષ ભાજપે હાર્દિક પટેલ સહિતના અનેકાનેક આગેવાનોને પાર્ટીમાં લેવાની એવી તે શી નોબત આવેલી છે? હાર્દિક વિના હવે ભાજપનું શું લૂંટાઇ જવાનું હતું? સાથે જોવાની વાત એ છે કે પાટનગર ગાંધીનગરના ભાજપ કાર્યાલય કમલમ ખાતે હાર્દિકને પ્રદેશ પ્રમુખ C.R. પાટીલે કેસરિયો ખેસ ઓઢાડ્યો ત્યારે સ્ટેજ પર હોંશભેર ફોટા પડાવવા જાણે ધક્કામુક્કી કરી રહેલાઓમાં 2 – 3 તો વગદાર સાધુસંતો પણ હતા. એનો અર્થ એ પણ થયો કે આ સાધુઓને વળી શું નાસી જતું હતું, તે હાર્દિકના પ્રવેશોત્સવના સાક્ષી બનવા છેક કમલમ્ લગી લાંબા થયા હતા! માત્ર આશીર્વાદ આપવા કે આશીર્વાદ થકી આ પ્રવેશોત્સવ થયો છે તે જતાવવા માટે?

હાર્દિકના ભાજપ પ્રવેશની પછવાડેની લાઇનદોરીનો આના થકી અહેસાસ થઇ શકે છે. કહે છે કે કોંગ્રેસમાં પ્રદેશ કાર્યકારી પ્રમુખ તરીકેના હોદ્દે હાર્દિક પટેલ હોવા છતાં પાર્ટીમાં એમનો કોઇ ભાવ પૂછાતો નહોતો. ભાજપી નેતાગીરીએ હાર્દિક પટેલનો પાર્ટીમાં સમાવેશ કર્યો પણ મનથી કે ઉમંગથી નહીં, કરવા ખાતર કર્યો હોવાની છાપ ઉપસી રહી છે. પાર્ટીના કોઇ મોટા પાટીદાર નેતા પ્રવેશોત્સવમાં ન આવ્યા એ આડકતરી નારાજી જરૂર દેખાડે છે.

ભાજપમાં અંદરખાને હાર્દિકનો ભારોભાર વિરોધ છે. ભાજપ જેવો મોટો પક્ષ અનેક મજબૂરી હોય, તો પણ દેખાડે નહીં એટલી શાણી એની નેતાગીરી છે. હાર્દિક પટેલ સામે હોય તો જેટલું બોલે એના કરતા ઘરમાં હોય તો જરા માપમાં રહે એવી ગણતરીપણ આ પ્રવેશોત્સવ પછવાડે થઇ રહી છે. બાકી તો ભાજપમાં શેઠ આવ્યા, તો નાખો વખારે જેવો જ ઘાટ છે.

ભૂતકાળમાં હાર્દિક પટેલની જેમ ટૂંકાગાળામાં ઉભરી આવેલા ઠાકોર નેતા અલ્પેશ ઠાકોરની આજે પાર્ટીમાં કેવી હાલત છે! હાર્દિક પટેલને પણ એટલી સમજ તો છે જ કે ભાજપમાં ગયા વિના ઉદ્ધાર નથી ને ગયા પછી કોરાણે રહેવા વિના બીજો કોઇ આરો નથી. પાર્ટીમાં એવી પણ ચર્ચા છે કે હાર્દિક પટેલને એમના વતન વિરમગામની વિધાનસભા બેઠકની ટિકિટ આપીને માપ કાઢવામાં આવશે. પરંતુ પ્રવેશોત્સવમાં વિરમગામના ભાજપના બબ્બે માજી ધારાસભ્યો ડો. તેજશ્રીબહેન અને પ્રાગજીભાઇ પટેલને પણ પ્રવેશોત્સવના મંચ પર હાજર રાખીને ભાજપી નેતાગીરીએ સંકેત આપી દીધો છે કે વિરમગામની ટિકિટ માટે પણ ડો. તેજશ્રીબહેન અને પ્રાગજીભાઇ પટેલ પણ હજુ દાવેદાર રૂપે છે જ.(માટે માપમાં રહેવું).

આમ છતાં હાર્દિક પટેલે પ્રવેશોત્સવ બાદ પ્રેસ સાથે વાત કરતા પોતાના પાટીદાર અનામત આંદોલનને જસ્ટિફાય કરવાનું છોડ્યું નહોતું અને દાવો કર્યો હતો કે આ આંદોલનને લીધે આર્થિક નબળા વર્ગો માટે 10 % અનામતની જાહેરાત થઇ હતી. આંદોલન અને એનાથી થયેલી તબાહી માટે માફી માંગવાનું તો દૂર હાર્દિક પટેલે તેને જનહિત માટેનું લોકઆંદોલન ગણાવ્યું હતું અને સાથે એવું પણ કહ્યું હતું કે બાળક માબાપ પાસે જ કોઇ વસ્તુ ન માગે તો કોની પાસે માગે? હાર્દિક પટેલને ભાજપ પ્રવેશથી પાર્ટીને થનારા નુકસાનને ભરપાઇ કે સરભર કરીને અસંતુષ્ટોને સાથે રાખવાની વધારાની જવાબદારી હવે નરેન્દ્રભાઇ મોદી પર આવી પડી છે. ‘સુબહ કા દેશદ્રોહી શામ કો ભાજપમેં જુડ જાયેં, તો ઉસે દેશભક્ત કહેતેં હૈં’ જેવા લખાણોવાળા અનેકાનેક મેસેજીસ સોશિયલ મિડિયા પર આજકાલ વહી રહ્યા છે, તે ભાજપી નેતાગીરી સામેની લાલબત્તી જરૂર દર્શાવે છે.

આમ છતાં એક બાબત નોંધનીય છે કે ભાજપ આજકાલ કંઇક લોકોને પોતાના તંબુમાં સામેલ કરવા આતુર છે. એને છુપો ભય એ છે કે માનો કે હાર્દિક પટેલ જેવાઓ કોંગ્રેસમાં તો નહીં પણ આમઆદમી પાર્ટીમાં જોડાઇ જાય તો ભાજપને જરૂર ડેમેજ કરે. આમેય આમઆદમી પાર્ટીથી ભાજપવાળા આજકાલ સૌથી વધુ ગભરાઇ રહ્યા છે. અરવિંદ કેજરીવાલ સોમવારે મહેસાણામાં રોડ – શો કરવા આવી રહ્યા છે. સુરત, અમદાવાદ, ભરૂચ અને રાજકોટ પછી તેઓ હવે ઉત્તર ગુજરાત પર ફોકસ કરવાની કોશિશમાં છે.

ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને બનાસકાંઠા, અરવલ્લી અને પાટણમાં કોંગ્રેસે તરફી હવા છે. એટલે હાર્દિક પટેલના મામલે ભાજપની સ્ટ્રેટેજી આવા નેતાઓને કેસરિયો ખેસ પહેરાવી દેવાની એટલે જ રહી છે. આ તો નરેશ પટેલ માટે દાળ ગળતી નથી, બાકી નરેશભાઇને પણ છોડાયા ન હોત. એમને કેસરી ખેસ ઓઢાડવા કંઇક ભાજપી નેતાઓએ અત્યાર સુધીમાં ખોળા પાથર્યા છે, પરંતુ પ્રશાન્ત કિશોરનું કોંગ્રેસમાં નહીં ગોઠવાતા નરેશભાઇનો કોંગ્રેસ પ્રવેશ પણ લટકી પડેલો છે. બાકી નરેશભાઇને પાટીદાર નેતા તરીકે કોંગ્રેસ CM પદના પોતાના ભાવિ ઉમેદવાર તરીકે જાહેર કરી દે અને બાકીના 2 OBC ચહેરા આગળ કરે તો ભાજપને જરૂર ભીંસ

પડી જાય. પરંતુ કોંગ્રેસનો સંઘ કાશીએ કદી પહોંચતો જ નથી. હાર્દિક પટેલના ભાજપ પ્રવેશ બાદ નરેશભાઇ હવે શું કરે છે? રાજકારણમાં આવે છે કે નહીં એ વાત પર હજુ પણ કંઇકની મીટ મંડાયેલી છે. અત્યાર સુધીની સ્થિતિઓ જે આકાર પામતી રહી છે તે જોતાં તેઓ કદાચ કોઇ પાર્ટીમાં જોડાશે નહીં. કારણ કે રાજકારણમાં જોડાવાની એમની તીક્ષ્ણતા જાણે ઘટી ગયેલી જણાય છે. એમની સરખામણીએ હાર્દિક પટેલ વધુ સમજદાર છે કે ભાજપમાં તો જોડાયા. ભાજપમાં કંઇક જોડાશે તો પાર્ટીની અંદરવાળાનું શું થશે? એમને કાબૂમાં રાખનાર એક માત્ર જ નરેન્દ્રભાઇ છે. એટલે જ કહેવાનું મન થાય છે કે ‘ભા… હવે તો ઝપ(જપ) શંભુમેળામાં હજુ કેટ – કેટલાને ભેળા કરવાના છે!’
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top