SURAT

સુરતની વિચિત્ર ઘટના, દિયરે પકવેલી શેરડી ભાભીએ સળગાવી દેતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો!

સુરત(Surat): શહેરના વરિયાવ વિસ્તારમાં વિચિત્ર બનાવ બન્યો છે. મિલકતના હિસ્સાના (Property Dispute) ચાલતા ઝઘડામાં ગુસ્સે ભરાયેલી વિધવા (Widow) ભાભીએ દિયરે ખેતરમાં પકવેલી શેરડી સળગાવી દીધી હતી. દિયર અને તેના પુત્રએ ભાભીની આ હરકતને વીડિયોમાં કેદ કરી લીધી હતી. સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.

  • જહાંગીરપુરાના વરીયાવની ઘટના
  • ભાભી-ભત્રીજીએ દીવાસળી ચાંપી 5 લાખની કિંમતનો શેરડીનો ઉભો પાક સળગાવ્યો
  • દીયરે વિધવા ભાભી અને ભત્રીજી વિરુદ્ધ ફરિયાદ આપી

વરીયાવના કંટારા ફળિયામાં રહેતા ખેડૂત પ્રવિણભાઈ ગણેશભાઈ પટેલે (ઉં.વ. 53) જહાંગીરપુરા પોલીસ મથકમાં પોતાની વિધવા ભાભી વિરુદ્ધ ફરિયાદ આપી છે. પ્રવીણભાઈએ ફરિયાદ અનુસાર તેઓ પોતે કંટારા ફળિયામાં રહે છે અને વરિયાવમાં વડીલો પાર્જિત 7 વીંઘા જમીનમાં ખેતીકામ કરે છે. પરિવારમાં ત્રણ બહેનો પાર્વતી, મણી અને પ્રતીભા તથા ચાર ભાઈઓ મહાદેવ, અર્જુન, હસમુખ અને પોતે હતા. 7 ભાઈ-બહેન પૈકી ચોથા નંબરનો ભાઈ અર્જુન મૃત્યુ પામ્યો છે.

અર્જુનના મૃત્યુ પહેલાં જ છૂટાછેડા થઈ ગયા હતા. ત્યાર બાદ વડીલો પાર્જિત મિલકતના હિસ્સાની વહેંચણી શરૂ થઈ હતી. ભાઈઓ ત્રણ સગી બહેનોને હિસ્સો આપવા માંગતા હતા પરંતુ સ્વર્ગસ્થ ભાઈ અર્જુનની ડિવોર્સ લઈ છૂટી થયેલી પત્ની જ્યોતિ અને તેની દીકરી ખુશ્બુ તેનો વિરોધ કરે છે. અને પોતે મિલકતમાં હિસ્સો માંગે છે. આ મામલે સુરતની રેવન્યુ કોર્ટમાં 2016થી દાવો ચાલે છે.

દરમિયાન ગઈ તા. 26 જાન્યુઆરીના રોજ ખેતરમાં પ્રવીણભાઈએ શેરડીનું વાવેતર કર્યું હતું. તેની સામે વિધવા ભાભી જ્યોતિએ કામરેજ વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિ. નવી પારડીમાં 3 ફેબ્રુઆરીએ દાવો કર્યો હતો, તેથી શેરડીની કાપણી અટકી ગઈ હતી.

દરમિયાન ગઈ તા. 17 એપ્રિલના રોજ પ્રવીણભાઈ ઘરે બેઠાં હતાં ત્યારે અડધો કિલો મીટર દૂર ખેતરમાંથી આગનો ધૂમાડો નીકળતા પ્રવીણભાઈ અને તેમનો દીકરો તરત ખેતર તરફ દોડ્યા હતા. ત્યાં જ્યોતિબેન અને તેમની દીકરી ખુશ્બુ શેરડીને આગ ચાંપતા નજરે પડ્યા હતા. પ્રવીણભાઈના દીકરાએ બંનેની હરકતનો વીડિયો ઉતાારી લીધો હતો. વિધવા ભાભી અને ભત્રીજીની હરકતના લીધે પ્રવીણભાઈનો 5 લાખની કિંમતનો શેરડીનો પાક બળી ગયો હતો. આ મામલે પ્રવીણભાઈએ વિધવા ભાભી વિરુદ્ધ ફરિયાદ આપતા જહાંગીરપુરા પોલીસે તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top