Gujarat

સુરતની ગ્રીષ્મા હત્યાકાંડની યાદ તાજા થઈ, અમદાવાદમાં પ્રેમીએ પરીણિતાને ગળા પર છરીના ઘા માર્યા

અમદાવાદ : અમદાવાદ (Ahmedabad) શહેરના સરદારનગર વિસ્તારમાં એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ યુવતીના ગળા ઉપર છરીના ઘા મારી ગંભીર ઇજાઓ પહોંચાડતા સનસનાટી મચી જવા પામી હતી. ઇજાગ્રસ્ત પરીણિતાને સારવાર માટે હોસ્પિટલમાં (Hospital) ખસેડવામાં આવી છે. અમદાવાદની આ ઘટનાથી સુરતમાં બનેલી ચકચારભરી ગ્રીષ્મા હત્યા કેસની યાદ તાજા થઈ હતી.

આ બનાવો અંગે મળતી માહિતી મુજબ અમદાવાદ શહેરના સરદારનગરમાં રહેતી પરીણિતા સાથે લગ્ન કરવા માટે એક તરફી પ્રેમમાં પાગલ યુવક તેના પરિવાર સાથે પરીણિતાના ઘરે પહોંચ્યો હતો અને લગ્નની વાત કરી હતી. જોકે પરીણિતા ના છૂટાછેડા ન થયા હોવાથી તેણે લગ્ન કરવાની ના પાડી હતી. આથી પ્રેમી નવીન ઉર્ફે રાજુ કોસ્ટીએ છરી વડે પરીણિતાના ગળા ઉપર ઘા ઝીંકી યુવક ત્યાંથી નાસી છૂટ્યો હતો. ઇજાગ્રસ્ત પરીણિતાને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

આ બનાવ અંગે મળતી માહિતી મુજબ સરદારનગર વિસ્તારમાં રહેતી પરીણિતાના લગ્ન રાજસ્થાન ખાતે તેમના સમાજના જ યુવક સાથે થયા હતા. બંનેને સંતાનમાં એક પુત્ર હતો. જોકે બાદમાં પતિ સાથે અણબનાવ બનતા તે રાજસ્થાનથી તેના પિયર અમદાવાદ આવી ગઈ હતી, અને છેલ્લા કેટલાક વર્ષોથી પરીણિતા પોતાના પુત્ર સાથે રહેતી હતી.

પરીણિતા એ પોતાના બાળકને અભ્યાસ માટે શાળામાં મૂક્યો હતો, ત્યારે શાળાએ મૂકવા જવા માટે રિક્ષામાં આવતી જતી હતી ત્યારે રિક્ષાચાલક નવીન ઉર્ફે રાજુ કોષ્ટી સાથે મુલાકાત થઈ હતી, અને એકબીજા સંપર્કમાં આવ્યા હતા. બંને વચ્ચે મુલાકાત સાથે ફોન ઉપર વાતચીત થતી હોવાથી રીક્ષા ચાલક યુવક નવીન પરીણિતાના પ્રેમમાં પડ્યો હતો. આથી પ્રેમી યુવક લગ્ન કરવા માટે જીદ પકડી હતી. જો કે પરીણિતાના છૂટાછેડા ન થયા હોવાથી તેણે લગ્ન કરવાની ના પાડી હતી. પોલીસ તપાસમાં આ બંને વચ્ચે એક વર્ષ પહેલા મૈત્રી કરાર થયો હોવાનું પણ જાણવા મળ્યું હતું. પોલીસે ગુનો દાખલ કરી પ્રેમી યુવકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top