Comments

ઉંમર તારાં વળતાં પાણી..!

એક્ચ્યુલી…આશ્ચર્ય તો એ વાતે થાય, કે પ્રસંગ પરમાણે લોકો તરત હખણાં પણ થઇ જાય. પેટ્રોલનો ભાવ પણ આડો નહિ આવે ને મોંઘવારી પણ ટાઢી પડી જાય. રાષ્ટ્રીય પર્વ આવવો જ જોઈએ, એવાં ‘ડાહ્યા-ડમરા’  થઇ જાય કે, “એક-એક આદમી સ્વાતંત્ર્ય સેનાની દિખાય દેતા હૈ..!” રાષ્ટ્રીય ભાવનાની રસી મુકાવીને આવ્યા હોય એવાં લાગે. ઠેર ઠેર ‘ધોળા બગલા’  ને શાંતિના ‘કબુતર’  દેખાવા માંડે.

પહેરવેશ જ એવો કાઢે કે, પૂછવા વગર ખબર પડી જાય કે મજકુર, મહાન ભારતના મહાન ઘડવૈયા છે, કોઈ શ્રમજીવી પ્લમ્બર નથી..! જેને જથ્થાબંધ દેશસેવાનું કામ હોય, એ રોજની ખાદી પહેરે ને મારાં જેવાં દહાડિયા સેવક પાસે તો એક જ જોડ ખાદીની હોય..! જે જગન્નાથ ભગવાનની રથયાત્રાની માફક રાષ્ટ્રીય પર્વે જ લોકદર્શન માટે નીકળે..!

હશે, વાડકો ભરીને આપે કે, ચમચીથી આપે, શીખંડ જ જોવાનો, પાત્ર નહિ જોવાનું..! ઓડકાર આવવો જોઈએ..! જેને આવડ્યું એણે  રાષ્ટ્રગીત ગાયું, ને બાકીનાએ હોઠ તો ફફડાવ્યા ને..?  એક વિધિ પૂરી થઇ..!  લોકોમાં સભાનતા આવવી જોઈએ કે, ‘દેશનું કરી નાંખવું ને કલ્યાણ કરવા વચ્ચે ‘ગાંધીગીરી’ ને ‘માલ્યાગીરી’  જેટલો ‘ડીફરન્સ’ છે..!  હમણાં-હમણાં તો જો કે, નબળા ગ્રહો મુઠ્ઠીમાં છે એટલે, વાડ ચીભડાં ગળતી નથી.

પછી અંદરખાને ચીભડું વાડ ગળતી હોય તો, માઝા માલૂમ નાહીં..! જો કે, લોકો હવે જાગૃત થઇ ગયા કે, દેશભક્તિના બે-ચાર ગીત લલકારી નાંખવાથી, કે સંભળાવી દેવાથી વાર્તા પૂરી થતી નથી. આ ભારત કોઈ સામાન્ય દેશ નથી. કીર્તન અને નર્તનનો દેશ છે.

‘કીર્તન’ શબ્દને  ઊંધો વાંચો તો ‘નર્તકી’ વંચાય, ને ‘ નર્તકી’ ને ઊંધો વાંચો તો, કીર્તન થાય. કીર્તન હરિરસ પીવડાવે, ને નર્તકી મદિરા પીવડાવે.  કીર્તનમાં મંજીરા-કીરતાલ ને તંબુરાની જાહોજલાલી હોય, ને નર્તકીના કોઠામાં ઢોલ, સારંગી, ઘુઘરા ને નાચગાન હોય..! મદિરા સાંજે પીવડાવી હોય તો સવારે ઉતરી જાય, ત્યારે હરિરસ ચઢ્યો એટલે ચઢ્યો, જિંદગીભર ચઢેલો રહે. ઉતારવા મથે તો પણ ઉતરે નહિ..! બાકી, અમુક ફિલ્મી ધૂનની વાત કરીએ તો, ‘ધૂઉઉમ’ બાઈકની માફક ધુણાવી તો નાંખે, પણ મોટી ઉંમરવાળા લલકારવા જાય, તો, પાછલી ઉંમરનાં પરાક્રમ દેખાડતાં હોય એવું લાગે.

સાંભળીને કૂતરું પણ ભસવા માંડે કે, આ પાનખરિયો,  ધોળામાં આજે ધૂળ શેનો ચઢાવવા બેઠો..? ‘મનકી બાત’ સાંભળવા એક વાર રેડિયો ‘ઓન’ કર્યો તો, મૂળ સ્ટેશન ઉપર ઉતરવાને બદલે કોઈ ભળતા જ સ્ટેશન ઉપર ઉતરી જવાયું, ને સાલું પેલું ખુબ ગાજેલું ‘ચીકની ચમેલી’ વાળું ગીત લપસી પડ્યું..! બે-ચાર ઘડી તો એમ પણ થયું કે, છોડ ‘મનકી બાત’ આજે  આ ગીતમાં જ  ‘ચીકણા’ થઈએ. પણ ગીત સાંભળવાની વસંત ઓછી પડી. ‘રાખનાં રમકડાં’વાળા ગીત સાંભળીને ઘરડા થયાં હોય,  એને ‘ચમેલી’  ફાવે..?  સમય-સમયના પરિવર્તન છે દાદૂ..! ઉંમર તારાં વળતાં પાણીએ એવાં ‘એસીડ ટેસ્ટ’ નહિ કરાય..!

શ્રીશ્રી ભગાનું જનમ મોડલ મૂળ ૧૯૪૮ નું..! એવો પ્રભાવી કે, એનો જનમ થતાંની સાથે જ ગાંધીજીએ ધરતી છોડી દીધેલી. ગાંધીજીને એ જાણવામાં ખરો, પણ જોવામાં નહિ, ફોટાથી જ ઓળખે. અત્યાર સુધીમાં જીવતરના ૭૨ વર્ષનો કચ્ચરઘાણ કાઢી નાંખ્યો..! એ ૭૨ પાણીમાં ગયા કે, પાણીદાર ગયા, એનો હિસાબ હજી સુધી કર્યો નથી. પણ વટથી જ કહે કે, હવે ૨૮ ઘટે, એટલે આપણી સેંચુરી પૂરી..! મને કહે, ‘રમેશીયા..!

આ લકો વિકાસ-વિકાસની શું જોઇને બુમરાણ ચલાવતા હશે ? મારી ઉમરનો વિકાસ આ બંદાએ એકલા હાથે કર્યો છે, બોલ્લો..! જાત મહેનત ઝીંદાબાદ..! નથી કોઈ સરકારી સહાય લીધી કે, નથી ઉંમર વધારવા ‘માલ્યાગીરી’ કરીને કોઈ બેંકનું કરી નાખ્યું..!  એ સ્થળચરને કોણ સમજાવે કે, ધરતી ઉપર ટકવાના વિઝા  જો ભગવાને વધાર્યા ના હોત તો, તું ક્યારનો વધેરાઈ ગયો હોત..!

તારો વીંટો વળી ગયો હોત..! પણ એના કપાળમાં ફુલ્લી ઊઠે, સરકારને જે જશ નહિ આપે તે ભગવાનને આપે..? રસ્તે મંદિર મળે ત્યારે, નમન કરવા મૂડી તો એવી નમાવે કે, જાણે સલુન માં હજામત કરાવવા નહિ બેઠો હોય..?  ‘૭૨ ગયા તો ૨૮ કયા ખેતરની મુળી..?’ યું ગયા ઔર યું આયા..! ( હસો છો શું યાર?  લુખ્ખો તો લુખ્ખો, પાવર તો આવો જ રખાય, તો જ જીવાય..!)

 સમય-સમયનાં વહેણ હવે બદલાતાં ચાલ્યાં..! બળદના મોંઢે બંધાતો માસ્ક માણસના મોંઢે લાગ્યો જ ને..? ‘ડાયપર’ ચઢાવ્યા વગર હવે છોકરું પણ ઘોડિયામાંથી બહાર નીકળતા ડરે..! મા તરત જ કહે, ‘ જલ્દી ‘ડાયપર’  લગાવ, નહિ તો નરેન્દ્ર મોદી આયેગા..!’  એમાં ભારત ચોખ્ખું થઇ ગયું..! 

જીવવાની મૌસમ બેઠી ત્યારે ઉમર પૂરી થવા આવી. ઉમર જયા ભાદુડી જેવી થઇ ગઈ, ને તૃષ્ણાઓ અમિતાભ બચ્ચનની માફક લાંબી રહી ગઈ. આપણે ભારતમાં ને ભારતમાં ભારતીય બનીને રહ્યા ને પેલા ભાગેડુઓ બેંકનું કરી નાંખીને, માથા ઉપર બરફ ઓઢી વિદેશમાં લીલાલહેર કરે..! આપણને રોજના મરવાના ઉબકા આવે..! અમુક તો એટલી હદે હતાશ થઇ જાય, કે જાણે ધરતી ઉપર ભૂલમાં ‘એન્ટ્રી’ લેવાય હોય એમ, ફાંસાનું દોરડું ગળે ભેરવીને જ ફરતા હોય..!

આજે  કાગડાને કોયલ બનવાની હોડ છે, ને મોરલાને ચંદ્રની છાતી ઉપર ચઢીને કળા કરવાની હોંશ છે. જિંદગીને ફેસિયલ કરવી હોય તો સંકટોના પાર્લર પણ વેઠવા પડે દાદૂ..! ઉતાવળા બનીને દુનિયા છોડી ચાલી થોડું જવાય..?

જે દેશમાં ખુદ ભગવાને જનમ લીધો હોય, એ જ દેશમાં જનમ આપીને ભગવાને ભૂલ કરેલી કે, રીટર્ન થવા ફાંસો ખાઈને ‘રીટર્ન ટીકીટ’ કઢાવવી પડે..? મરવાના જેમને મેલા વિચાર આવતાં હોય, એમણે સ્વ. પ્રાણલાલ વ્યાસે ગાયેલું આ ભજન ૧૦૦૮ વખત સાંભળવા જેવું છે.ભાગું તો મારી ભોમકા લાજે, ને ભોરીંગ ઝીલે ના ભાર

એ…મેરુ સરીખા ડોલવા લાગે એને આકાશનો આધાર

મહેરામણ માઝા ન મૂકે, ચેલૈયો સત ના ચૂકે…..(૨) આખું ગીત એટલે નથી લખતો કે, અ-માન્યવર વિજય માલ્યા જેવા ભાગેડુઓને નાહકની હેડકીઓ આવશે..! 

લાસ્ટ ધ બોલ

વેરી ફાઈન..! તમે તો ઘસી-ઘસીને સરસ ફેસિયલ કર્યું ને ‘ક્લીન-અપ’ કરી દીધી. ચકચકિત કરી નાંખી. બહુ અનુભવી લાગો છો…!

ના મેડમ..! આજે તો મારો આ પહેલો જ દિવસ છે. ગઈકાલ સુધી તો હું વાસણ ઘસવાનું  કામ કરતી હતી..!

         -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top