Charchapatra

રવીદ્રનાથ ટાગોરનું અંગત જીવન અત્યંત દુ:ખી હતું

રવીદ્રનાથ ટાગોરનો જન્મ એક અતિ શ્રીમંત કુટુંબમાં થયો હતો. તેઓ વિશ્વ કવિ હતા. પરંતુ તેમનું અંગત જીવન અત્યંત કરુણામય હતું. તેઓ 14 વર્ષના હતા ત્યારે તેમની માતા શારદાદેવીનું મૃત્યુ થયું હતું. માતાનાં મૃત્યુ બાદ તેઓ ઘરમાં એકલતા અનુભવતા હતા. ટાગોર માટે તેમના જીવનમાં આ એક અત્યંત આઘાતજનક ઘટના હતી. જેમાંથી બહાર આવતા તેમને વર્ષો લાગ્યા હતા. 1902માં તેમની પત્ની મૃણાલીનીનું મૃત્યુ થયું. તેથી પાંચ સંતાનોને ઉછેરની જવાબદારી તેમના શીરે આવી પડી. ત્યારબાદ 1905માં તેમના પિતા દેવેન્દ્રનાથનું મૃત્યુ થયું અને હવે 1907માં તેમના વ્હાલસોયા દીકરા શમીન્દ્રનાથનું કોલેરાથી મૃત્યુ થયું.

તેમનો પહેલો પ્રેમ 17 વર્ષની વયે મુંબઇના ડો. આત્મારામની પુત્રી અન્નપૂર્ણા સાથે થયો હતો. પણ તેમના પિતા રુઢિચુસ્ત હોવાને કારણે અન્નપૂર્ણા સાથે લગ્ન કરવાની ના પાડી. તેઓ પ્રેમભગ્ન થયા. 1924માં આર્જેન્ટિના ગયા ત્યારે માંદગીને કારણે ત્યાંની જાણીતી લેખિકા વિકટોરીયાના ઘરે રોકાયા. 1901માં ટાગોરે શાંતિનિકેતન શરૂ કર્યા બાદ તેમને ઘણી આર્થિક મુશ્કેલી પણ પડી. આ તમામ દુ:ખોના અનુભવોને કારણે ટાગોરે જીવન અને મૃત્યુની ફિલોસોફીને તેમની કવિતાઓમાં વણી લીધી અને ગીતાંજલિનું સર્જન થયું. જેને કારણે 1913માં નોબેલ પ્રાઇઝ મળ્યું. આજે પણ રવીદ્રનાથ ટાગોર પ્રત્યેક ભારતીયના હૃદયમાં જીવે છે!
સુરત     – ડો. કિરીટ એન. ડુમસિયા   – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top